Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પ્રખ્યાત વૈજ્ઞાનિક પ્રોફેસર જયંત નાર્લીકરનું 86 વર્ષની વયે નિધન

ભારતના પ્રખ્યાત ખગોળશાસ્ત્રી, વિજ્ઞાન લેખક અને પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતા ડૉ. જયંત વિષ્ણુ નાર્લીકરનું આજે પુણે ખાતે નિધન થયું.
પ્રખ્યાત વૈજ્ઞાનિક પ્રોફેસર જયંત નાર્લીકરનું 86 વર્ષની વયે નિધન
Advertisement

Tribute To Narlikar: ભારતના પ્રખ્યાત ખગોળશાસ્ત્રી, વિજ્ઞાન લેખક અને પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતા ડૉ. જયંત વિષ્ણુ નાર્લીકરનું આજે, 20 મે, 2025ના રોજ પુણે ખાતે તેમના નિવાસસ્થાને નિધન થયું છે. તેઓ 86 વર્ષના હતા. પરિવારે જણાવ્યુ કે, તેમણે થોડા સમયની બીમારી બાદ ઊંઘમાં જ અંતિમ શ્વાસ લીધો. તેમના અવસાનથી ભારતીય વિજ્ઞાન જગતે એક મહાન વૈજ્ઞાનિક અને વિચારક ગુમાવ્યા છે.

પ્રારંભિક જીવન અને શિક્ષણ

જયંત નાર્લીકરનો જન્મ 19 જુલાઈ, 1938ના રોજ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં થયો હતો. તેમના પિતા, વિષ્ણુ વાસુદેવ નાર્લીકર, બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU)માં ગણિત વિભાગના વડા હતા, જેના કારણે જયંતને નાનપણથી જ શૈક્ષણિક અને બૌદ્ધિક વાતાવરણ મળ્યું. તેમણે BHUમાંથી પ્રારંભિક શિક્ષણ પૂર્ણ કર્યું અને પછી ઉચ્ચ શિક્ષણ માટે કેમ્બ્રિજ યુનિવર્સિટી ગયા. ત્યાં તેમણે ગણિતના ટ્રાયપોસમાં વ્રેંગલર અને ટાયસન મેડલિસ્ટનો ખિતાબ મેળવ્યો. 1963માં તેમણે પ્રખ્યાત ખગોળશાસ્ત્રી સર ફ્રેડ હોયલના માર્ગદર્શન હેઠળ PhD પૂર્ણ કર્યું.

Advertisement

હોયલ-નાર્લિકર સિદ્ધાંત અને વૈજ્ઞાનિક યોગદાન

ડૉ. નાર્લીકરનું સૌથી નોંધપાત્ર યોગદાન છે હોયલ-નાર્લિકર સિદ્ધાંત, જે તેમણે 1960ના દાયકામાં સર ફ્રેડ હોયલ સાથે મળીને વિકસાવ્યો. આ સિદ્ધાંત બિગ બેંગ થિયરીનો વિકલ્પ રજૂ કરે છે અને ગુરુત્વાકર્ષણ તેમજ વિશ્વની રચના સાથે સંબંધિત છે. આ સિદ્ધાંતમાં મૅકના સિદ્ધાંત (Mach’s Principle)નો સમાવેશ કરવામાં આવ્યો, જે વિશ્વના દળ અને ગુરુત્વાકર્ષણની વિભાવનાઓને નવી દિશા આપે છે. આ ઉપરાંત, તેમણે વિશ્વની રચના અને ખગોળશાસ્ત્રના અન્ય ક્ષેત્રોમાં પણ મહત્વનું સંશોધન કર્યું.

Advertisement

1972માં, તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના આમંત્રણ પર તેઓ ભારત પાછા ફર્યા અને ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફંડામેન્ટલ રિસર્ચ (TIFR)માં જોડાયા. 1988માં તેમણે પુણેમાં ઇન્ટર-યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ (IUCAA)ની સ્થાપના કરી, જે આજે વિશ્વભરના સંશોધકો માટે એક પ્રતિષ્ઠિત કેન્દ્ર છે.

વિજ્ઞાન સંચાર અને સાહિત્ય

ડૉ. નાર્લીકર માત્ર એક વૈજ્ઞાનિક જ નહીં, પરંતુ એક પ્રખર વિજ્ઞાન સંચારક પણ હતા. તેમણે જટિલ વૈજ્ઞાનિક વિષયોને સરળ અને આકર્ષક રીતે સામાન્ય લોકો સુધી પહોંચાડવાનું કામ કર્યું. તેમના પુસ્તકો, લેખો, રેડિયો અને ટેલિવિઝન કાર્યક્રમો દ્વારા તેમણે વિજ્ઞાનને લોકપ્રિય બનાવ્યું. ખાસ કરીને, તેમની મરાઠી ભાષામાં લખાયેલી વિજ્ઞાનકથાઓ અને વૈજ્ઞાનિક સાહિત્યે લાખો લોકોનું હૃદય જીત્યું. તેમની આત્મકથાને 2014માં સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી.

તેમણે અંધશ્રદ્ધા સામે લડવા અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણને પ્રોત્સાહન આપવા માટે પણ મહત્વનું યોગદાન આપ્યું. તેમની લેખનશૈલીએ જટિલ વિજ્ઞાનને સરળ બનાવીને લોકોમાં જિજ્ઞાસા જગાડી.

ડૉ. નાર્લિકરની પ્રતિભાને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો દ્વારા સન્માનવામાં આવ્યા. માત્ર 26 વર્ષની ઉંમરે તેમને 1965માં પદ્મભૂષણ અને પછી પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. આ ઉપરાંત, તેમને યુનેસ્કોનો કલિંગા પુરસ્કાર (1996), મહારાષ્ટ્ર ભૂષણ અને અન્ય અનેક પુરસ્કારો મળ્યા.

વ્યક્તિગત જીવન

ડૉ.નાર્લીકરના પરિવારમાં તેમની પત્ની ડૉ. મંગલા નાર્લિકર, જે પોતે એક પ્રખ્યાત ગણિતજ્ઞ હતા, અને તેમની ત્રણ પુત્રીઓ છે. મંગલા નાર્લિકરે તેમની સંશોધન અને વ્યક્તિગત જીવનમાં હંમેશા સાથ આપ્યો.

રાજ્ય સન્માન સાથે અંતિમ વિદાય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે ડૉ. નાર્લીકરના અંતિમ સંસ્કાર રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે. તેમણે ડૉ. નાર્લીકરના વિજ્ઞાન પ્રસાર અને સંશોધનના યોગદાનને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી. PM મોદીએ પણ તેમના અવસાનને વિજ્ઞાન જગત માટે એક મોટી ખોટ ગણાવી.

ડૉ. જયંત નાર્લિકરનું અવસાન ભારતીય ખગોળશાસ્ત્ર અને વિજ્ઞાન સાહિત્યના ક્ષેત્ર માટે અપૂરણીય ખોટ છે. તેમના સંશોધન, શિક્ષણ અને વિજ્ઞાન પ્રસારનું કાર્ય આવનારી પેઢીઓને પ્રેરણા આપતું રહેશે. તેમના હોયલ-નાર્લિકર સિદ્ધાંતથી લઈને IUCAAની સ્થાપના અને લોકપ્રિય વિજ્ઞાન સાહિત્ય સુધી, તેમનો વારસો વિશ્વભરમાં અમર રહેશે.

ડૉ. જયંત નાર્લિકરને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ!

Tags :
Advertisement

.

×