સુપ્રીમ કોર્ટનો પગાર મર્યાદા વધારવા માટે સરકારને આદેશ, 4 મહિનામાં નિર્ણયની સૂચના!
- PF salary limit revision : સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પગાર મામલે આપ્યા નિર્દેશ
- ચાર મહિનામાં પગાર મર્યાદામાં સુધારો કરવાનો આપ્યા નિર્દેશ
- સ્થિર પગાર મર્યાદાવાળા EPFO માંથી બાકાત રખાયા છે
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ને પગાર મર્યાદામાં સુધારો કરવા અંગે આગામી ચાર મહિનાની અંદર અંતિમ નિર્ણય લેવા માટે મહત્વનો નિર્દેશ આપ્યો છે. અદાલતમાં દાખલ કરવામાં આવેલી એક અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે, લાંબા સમયથી પગારની મર્યાદા સ્થિર રહેવાને કારણે દેશના અસંખ્ય મધ્યમ અને નીચલા વર્ગના કર્મચારીઓ EPFO ના કલ્યાણકારી કાર્યક્ષેત્રમાંથી બહાર થઈ ગયા છે. ન્યાયાધીશ જે.કે. મહેશ્વરી અને અતુલ એસ. ચાંદુરકરની બેન્ચે આ મામલે સુનાવણી કરતા અરજદારને બે અઠવાડિયામાં આદેશની નકલ સાથે વિગતવાર રજૂઆત કરવા માટે પણ સમય આપ્યો છે.
કોર્ટે ચાર મહિનામાં નિર્ણય લેવા આપ્યા આદેશ
PF salary limit revision : વર્તમાન નિયમો અનુસાર, કેન્દ્ર સરકારે પીએફ કવરેજ માટે લઘુત્તમ વેતન મર્યાદા 15,000 રૂપિયા પ્રતિ માસ નક્કી કરેલી છે, જે સપ્ટેમ્બર 2014 થી યથાવત છે. ડૉ. નવીન પ્રકાશ નૌટિયાલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં દલીલ કરવામાં આવી છે કે, આ 15,000 રૂપિયાની મર્યાદા અતાર્કિક અને મનસ્વી છે, કારણ કે આજના સમયમાં વધતી જતી મોંઘવારી, લઘુત્તમ વેતનમાં વધારો અને માથાદીઠ આવક સાથે તેને કોઈ લેવાદેવા નથી. આ મર્યાદાને કારણે જે કર્મચારીઓ 15,000 રૂપિયાથી સહેજ વધુ કમાણી કરે છે, તેઓ સામાજિક સુરક્ષા અને પીએફના લાભોથી વંચિત રહી જાય છે.
The #SupremeCourt directs the central government and #EPFO to decide within four months on revising the wage ceiling under the Employees’ Provident Fund Scheme (#EPFS), unchanged for 11 years.
The court passed the directions while hearing a #PIL highlighting that the stagnant… pic.twitter.com/bA5eK2E2Os
— All India Radio News (@airnewsalerts) January 6, 2026
કેન્દ્ર સરકાર લઇ શકે છે આ નિર્ણય
PF salary limit revision : અરજદારે છઠ્ઠી લોકસભાની જાહેર હિસાબ સમિતિના 34માં અહેવાલનો હવાલો આપતા જણાવ્યું હતું કે, જો નીચલા સ્તરના કર્મચારીઓને આવી સામાજિક સુરક્ષા યોજનાઓમાં સામેલ ન કરવામાં આવે તો યોજનાનો મૂળ હેતુ જ નિષ્ફળ જાય છે. સમિતિએ અગાઉ ભલામણ કરી હતી કે ફુગાવા સામે રક્ષણ આપવા માટે દર ત્રણથી પાંચ વર્ષે વેતન મર્યાદામાં સમયાંતરે સુધારો કરવો જોઈએ. જોકે, આ ભલામણોને જુલાઈ 2022 માં સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ દ્વારા મંજૂરી આપવામાં આવી હોવા છતાં, કેન્દ્ર સરકાર દ્વારા હજુ સુધી તેના પર કોઈ મંજૂરીની મહોર મારવામાં આવી નથી. સરકાર કોર્ટના નિર્દેશ મુજબ કર્મચારીના હિતમાં નિર્ણય લઇ શકે છે.
સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ હવે કેન્દ્ર સરકાર પર વેતન મર્યાદા વધારવાનું દબાણ વધ્યું છે. જો આ મર્યાદા વધારવામાં આવે તો પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરતા લાખો નવા કર્મચારીઓ પીએફ (EPF) અને પેન્શન (EPS) ના દાયરામાં આવશે, જે તેમના લાંબા ગાળાના આર્થિક ભવિષ્ય માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે. હવે આગામી ચાર મહિનામાં સરકાર આ મર્યાદા વધારીને કેટલી કરે છે તેના પર સૌની નજર રહેશે.
આ પણ વાંચો: લશ્કરે તૈયબાની PM મોદીને ધમકી, ગજવા-એ-હિંદ માટે પાકિસ્તાની સેના તૈયાર હોવાની શેખી મારી!


