Ethanol નો વૈશ્વિક ઇતિહાસ અને કેટલીક અગ્રણી અર્થવ્યવસ્થાઓમાં વર્તમાન ઇથેનોલ બ્લેન્ડિંગ વિશે જાણો
Ethanol એ કોઈ નવું અથવા પ્રાયોગિક ઓટોમોટિવ બળતણ નથી.તેનો ઉપયોગ એક સદી કરતાં પણ વધુ સમયથી પરિવહન બળતણ તરીકે કરવામાં આવી રહ્યો છે. તેના શરૂઆતના અને સૌથી પ્રમુખ સમર્થકોમાંના એક ફોર્ડ મોટર કંપનીના સ્થાપક હેનરી ફોર્ડ હતા, જેઓ ઇથેનોલને "ભવિષ્યનું બળતણ" ગણાવતા હતા. ફોર્ડ માનતા હતા કે ઇથેનોલ કૃષિ પેદાશોમાંથી મેળવવામાં આવતું હોવાથી તે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરશે, ખેડૂતોને વધારાની આવક પૂરી પાડશે અને પેટ્રોલિયમ મોનોપોલી (એકાધિકાર) પરની નિર્ભરતા ઘટાડશે.
હેનરી ફોર્ડે સામાન્ય જનતા માટે સસ્તાં, નવીનીકરણીય (રિન્યુએબલ), વનસ્પતિ આધારિત બળતણ તરીકે ઇથેનોલની ભારે હિમાયત કરી હતી. 1908માં રજૂ કરાયેલ પ્રખ્યાત મોડેલ ટી (Model T) શુદ્ધ ઇથેનોલ, ગેસોલિન, કેરોસીન અથવા આના કોઈપણ સંયોજન (કોમ્બિનેશન) પર ચાલવા માટે સક્ષમ હતું.એક સદી કરતાં પણ વધુ સમય પછી, વિશ્વભરના દેશો તેમની ઊર્જા સુરક્ષા અને ડીકાર્બોનાઇઝેશન વ્યૂહરચનાઓના ભાગરૂપે ઇથેનોલ બ્લેન્ડિંગનું વિસ્તરણ કરવાનું ચાલુ રાખે છે.તેથી ભારતનો ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ પ્રોગ્રામ સ્વચ્છ પરિવહન બળતણ તરફના સ્થાપિત વૈશ્વિક સંક્રમણનો એક ભાગ છે અને કોઈ અલગથી શરુ કરાયેલી પહેલ નથી.
અનન્ય હોવાને બદલે, ઇથેનોલ બ્લેન્ડિંગ હવે વૈશ્વિક સ્તરે સ્વીકૃત પ્રથા છે.યુનાઇટેડ સ્ટેટ્સમાં, 10% ઇથેનોલ (E10) ધરાવતું પેટ્રોલ એ પ્રમાણભૂત ઇથેનોલ બ્લેન્ડેડ બળતણ છે.યુએસ સરકારના સમર્થન સાથે યુએસ માર્કેટમાં E15 પણ ઝડપથી વિસ્તરી રહ્યું છે.યુનાઇટેડ સ્ટેટ્સમાં લાખો ફ્લેક્સ ફ્યુઅલ વ્હીકલ્સ (FFVs) E85 સુધીના બ્લેન્ડ્સ પર ચાલવા માટે સક્ષમ છે.ઇથેનોલના ઉપયોગમાં વૈશ્વિક અગ્રણી બ્રાઝિલ, હાલમાં ગેસોલિનમાં 27% ઇથેનોલ બ્લેન્ડિંગ (E27) ફરજિયાત કરે છે અને તાજેતરમાં બ્લેન્ડના સ્તરને વધારીને આશરે 35% કરવાનો નિર્ણય લીધો છે.
બ્રાઝિલમાં વેચાતા નવા પેસેન્જર વાહનોમાંથી 80% થી વધુ ફ્લેક્સ ફ્યુઅલ વ્હીકલ્સ છે, જે E27/E30 થી લઈને 100% હાઇડ્રસ ઇથેનોલ સુધીના કોઈપણ બ્લેન્ડ પર કામ કરવા સક્ષમ છે. કેનેડા, થાઇલેન્ડ, જાપાન (E10) અને કેટલાક યુરોપિયન દેશો સહિતના દેશોએ પણ તેમની સ્વચ્છ બળતણ વ્યૂહરચનાના ભાગરૂપે ઇથેનોલ બ્લેન્ડિંગ અપનાવ્યું છે. આમ, ભારતનો E20 પ્રોગ્રામ પ્રાયોગિક પ્રસ્થાન હોવાને બદલે આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ પ્રથાઓ સાથે સુસંગત છે.
ઇથેનોલના અપવાદરૂપે ઉચ્ચ-ઓક્ટેન નંબર (આશરે 108 RON) એ તેને ઉચ્ચ પ્રદર્શન ધરાવતા ઇન્ટરનલ કમ્બશન એન્જિનો માટે પસંદગીનું બળતણ ઘટક બનાવ્યું છે. ઇથેનોલ અને ઇથેનોલ આધારિત બળતણનો ઐતિહાસિક રીતે કેટલીક સ્પોર્ટ્સ કારમાં ઉપયોગ કરવામાં આવ્યો છે કારણ કે તેમની શ્રેષ્ઠ એન્ટી-નોક લાક્ષણિકતાઓ, ઉચ્ચ પાવર ક્ષમતા અને તેમના બાષ્પીભવનની ઉચ્ચ સુષુપ્ત ઉષ્મા (high latent heat of vaporisation) માંથી ઉદ્ભવતી ઠંડકની અસર છે. વિશ્વભરમાં આધુનિક ટર્બોચાર્જ્ડ અને હાઈ-કમ્પ્રેશન એન્જિનો ઉચ્ચ પ્રદર્શન મેળવવા અને સાથે સાથે ઉત્સર્જન ઘટાડવા માટે ઇથેનોલ બ્લેન્ડ્સ પર ભારે આધાર રાખે છે.
1. ભારતમાં ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ (EBP) પ્રોગ્રામની શરૂઆત (Genesis)
ભારતમાં EBP પ્રોગ્રામની સફર 2001 પછીની અગાઉની સરકારોના શાસન દરમિયાન શરૂ થઈ હતી. પેટ્રોલમાં @5% ઇથેનોલ બ્લેન્ડિંગ માટેના પાયલોટ પ્રોજેક્ટ્સ 2001માં ત્રણ સ્થળોએ શરૂ થયા હતા અને સરકારે સપ્ટેમ્બર 2002માં 1 જાન્યુઆરી 2003થી 9 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોમાં પેટ્રોલમાં 5% ઇથેનોલ બ્લેન્ડ કરવાનો સંકલ્પ કર્યો હતો. ત્યારબાદ, 20 સપ્ટેમ્બર 2006ના રોજની અધિસૂચના (Notification) દ્વારા, 5% ઇથેનોલ બ્લેન્ડિંગ 20 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોમાં લંબાવવામાં આવ્યું હતું.
તત્કાલીન યુપીએ (UPA)
સરકારે 2009માં જૈવઇંધણ પરની પ્રથમ રાષ્ટ્રીય નીતિ (National Policy on Biofuels) સૂચિત કરી હતી, જેમાં 2017 સુધીમાં પેટ્રોલમાં 20% ઇથેનોલ બ્લેન્ડિંગનું સૂચક લક્ષ્ય આપવામાં આવ્યું હતું. વર્ષ 2009-10માં IOCL, ARAI અને SIAM દ્વારા 'હાલના વાહનો પર E10 ની અસરનું મૂલ્યાંકન' કરવા અંગે એક વૈજ્ઞાનિક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. પ્રદર્શનનું મૂલ્યાંકન કરવાના ઉદ્દેશ્યથી અભ્યાસ માટે વાહનોની વિવિધ શ્રેણીઓ લેવામાં આવી હતી.
ટકાઉપણું પ્રદર્શન (durability performance)
ટકાઉપણું પ્રદર્શન તપાસવા માટે વાહનોને માઇલેજ સંચય (mileage accumulation) ને આધીન કરવામાં આવ્યા હતા. ટુ-વ્હીલર માટે દર 5000 કિમીએ અને ફોર-વ્હીલર માટે દર 10,000 કિમીએ પ્રારંભિક અને તૂટક-તૂટક પ્રદર્શન પરીક્ષણ સાથે ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર પર અનુક્રમે 20,000 કિમી અને 40,000 કિમીનું માઇલેજ સંચય હાથ ધરવામાં આવ્યું હતું. તારણો દર્શાવે છે કે ટુ-વ્હીલર અને પેસેન્જર કાર બંને પર શુદ્ધ ગેસોલિનની સરખામણીમાં E10 સાથે હાઇડ્રોકાર્બન અને કાર્બન મોનોક્સાઇડ ઉત્સર્જનમાં આશરે 20% ઘટાડો થયો છે. શરૂ થવામાં (startability) અને ચલાવવામાં (drivability) કોઈ સમસ્યા જોવા મળી ન હતી. માઇલેજ બિલ્ડ-અપ દરમિયાન ઇથેનોલના બ્લેન્ડિંગને કારણે બળતણ અર્થતંત્ર (fuel economy) માં ફેરફારનું કોઈ સ્પષ્ટ વલણ જોવા મળ્યું નથી. ત્યારબાદ, ભારતીય ઓટો OEMs એ E10 બળતણ માટે યોગ્ય વાહન ડિઝાઈન અપનાવી હતી.
જોકે, એક દાયકા કરતાં પણ વધુ સમય પહેલાં સફર શરૂ થઈ હોવા છતાં EBP પ્રોગ્રામની કામગીરી ધીમી રહી હતી. 2013 સુધી, પેટ્રોલમાં ઇથેનોલ બ્લેન્ડિંગ 1% સુધી પણ પહોંચી શક્યું ન હતું. 2014-15થી, વર્તમાન સરકાર દ્વારા લેવામાં આવેલા રમત-બદલનારા (game-changing) પગલાં સાથે EBP પ્રોગ્રામ આક્રમક રીતે આગળ વધ્યો છે. અત્યાર સુધી લેવાયેલા પગલાંની યાદી પરિશિષ્ટ-1 (Annexure-1) માં દર્શાવવામાં આવી છે.
ટેકનિકલ અભ્યાસો અને આ અભ્યાસોના તારણો દ્વારા સમર્થિત, સરકારે તકનીકી પ્રગતિ, બદલાતી ઊર્જા સુરક્ષાની બાબતો અને વિકસતી આબોહવા પ્રતિબદ્ધતાઓને માન્યતા આપીને 2018માં સુધારેલી રાષ્ટ્રીય જૈવઇંધણ નીતિ રજૂ કરી. આ નીતિએ 2030 સુધીમાં પેટ્રોલમાં 20% ઇથેનોલ બ્લેન્ડિંગનું સૂચક લક્ષ્ય આપ્યું હતું. પ્રથમ વખત, સતત બે વર્ષ (2018-19 અને 2019-20) દરમિયાન, ભારતે પેટ્રોલમાં 5% ઇથેનોલ બ્લેન્ડિંગનો સીમાચિહ્ન હાંસલ કર્યો.
ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામની કામગીરીથી પ્રોત્સાહિત થઈને, સરકારે દેશમાં ઉચ્ચ ઇથેનોલ બ્લેન્ડ્સના તબક્કાવાર રોલ-આઉટ માટે રોડમેપ તૈયાર કરવા 2020માં નીતિ આયોગ (NITI-Aayog) હેઠળ એક આંતર-મંત્રાલય સમિતિ (IMC) ની રચના કરી. આ રોડમેપ પાછળથી જૂન 2021માં IMC દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં 2025-26માં 20% ઇથેનોલ બ્લેન્ડિંગની ભલામણ કરવામાં આવી હતી. ભારતમાં ઇથેનોલ બ્લેન્ડિંગ સફરની સમયરેખા પરિશિષ્ટ-2 (Annexure-2) માં દર્શાવ્યા મુજબ છે.
ઇથેનોલ ઉત્પાદન ક્ષમતા એ ઉચ્ચ બ્લેન્ડિંગ માટે એક મહત્વપૂર્ણ પૂર્વશરત છે તે સ્વીકારીને, સરકારે સાથે-સાથે નીતિગત હસ્તક્ષેપોની એક વ્યાપક ઇકોસિસ્ટમ શરૂ કરી. જેમાં નવી ડિસ્ટિલરીઓની સ્થાપના અને હાલની ઇથેનોલ ક્ષમતાઓના વિસ્તરણ માટે ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ (DFPD) દ્વારા વ્યાજ સબવેન્શન યોજના (Interest Subvention Scheme) ની રજૂઆત, OMCs ને સપ્લાય કરવામાં આવતા ઇથેનોલ પર GST 18% થી ઘટાડીને 5% કરવો, કાચા માલ (feedstocks) સાથે જોડાયેલા વિભેદિત ઇથેનોલ ભાવોની રજૂઆત, લાંબા ગાળાના રોકાણનો આત્મવિશ્વાસ પૂરો પાડવા માટે ડેડિકેટેડ ઇથેનોલ પ્લાન્ટ્સ (DEPs) સાથે લોંગ-ટર્મ ઓફટેક એગ્રીમેન્ટ્સ (LTOAs) પર હસ્તાક્ષર કરવા, મકાઈ અને વધારાના અન્નધાન્ય સહિત પાત્ર કાચા માલનો વિસ્તાર કરવો અને જાહેર ક્ષેત્રની OMCs દ્વારા પારદર્શક પ્રાપ્તિ માળખાની રચના સામેલ છે. આ પગલાંના સામૂહિક પરિણામે ભારતની ઇથેનોલ ઉત્પાદન ક્ષમતામાં અભૂતપૂર્વ વધારો થયો જે 2013-14માં આશરે 38 કરોડ લિટરથી વધીને હવે વાર્ષિક 2000 કરોડ લીટર થઈ ગઈ છે.
2. EBP પ્રોગ્રામ અંતર્ગત સિદ્ધિઓ
જાહેર ક્ષેત્રની OMCs એ ડિસેમ્બર 2025માં 20% ઇથેનોલ બ્લેન્ડિંગનું લક્ષ્ય હાસલ કર્યું છે. ESY 2014-15થી (મે 2026 સુધી), ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલપ્રોગ્રામના પરિણામે:
- રૂ. 1.90 લાખ કરોડથી વધુનું વિદેશી હૂંડિયામણ બચ્યું છે,
- ખેડૂતોને રૂ. 1.60 lakh કરોડથી વધુની ઝડપી ચુકવણી થઈ છે,
- આશરે 930 લાખ મેટ્રિક ટનCO_2ઉત્સર્જનમાં ઘટાડો થયો છે,
- 310 લાખ મેટ્રિક ટનથી વધુ ક્રૂડ ઓઇલનું વિસ્થાપન (સબસ્ટિટ્યુશન) થયું છે.
3. વર્તમાન સ્થિતિ
OMCs, ઓટોમોબાઈલ ઉત્પાદકો અને રાજ્યો દ્વારા સમર્થિત સરકારના સંયુક્ત પ્રયાસોથી, ડિસેમ્બર 2025માં સમયપત્રક કરતાં ઘણું વહેલું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં આવ્યું હતું. ઇથેનોલ બ્લેન્ડિંગ 2013-14માં આશરે નજીવા 1.5% ના સ્તરેથી, જેમાં 38 કરોડ લીટર ઇથેનોલ મેળવવામાં આવ્યું હતું, તે વધીને વર્તમાન 20% બ્લેન્ડિંગ સ્તરે પહોંચ્યું છે, જેમાં ESY 2025-26માં 1200 કરોડ લિટરથી વધુની અંદાજિત પ્રાપ્તિ છે. દેશમાં સ્થાપિત ઇથેનોલ ક્ષમતા આજે 2000 કરોડ લિટર છે (તમામ ઉપયોગો માટે - EBP પ્રોગ્રામ, પીવાલાયક આલ્કોહોલ અને ઔદ્યોગિક ઉપયોગો), જે નજીકના ભવિષ્યમાં ઉન્નત બ્લેન્ડિંગ ટ્રેજેક્ટરીને પૂરી કરવા માટે પૂરતી છે.
ESY 2013-14 થી EBP પ્રોગ્રામની કામગીરી નીચેના આલેખ (ગ્રાફ) માં દર્શાવવામાં આવી છે :
4. EBP પ્રોગ્રામ વિશે વિવિધ સો. મીડિયા પ્લેટફોર્મ પર ફેલાતી ભ્રામક માહિતી અને સરકારનો પ્રતિભાવ.
• તાજેતરના મહિનાઓમાં, વાહન માલિકોમાં E20 બળતણના ઉપયોગ અંગે ડર પેદા કરવાના દેખીતા ઉદ્દેશ્ય સાથે કેટલાક ભ્રામક વીડિયો, પસંદગીપૂર્વક એડિટ કરેલી ક્લિપ્સ અને સનસનાટીભર્યા સોશિયલ મીડિયા પોસ્ટ્સ ફેલાવવામાં આવ્યા છે. આવી ઘણી સામગ્રીઓ અસત્યાપિત (unverified) દાવાઓ, તથ્યોની પસંદગીયુક્ત રજૂઆત અને મુખ્યત્વે ઓનલાઈન વ્યુઅરશિપ મેળવવા માટે રચાયેલ ક્લિક-બેટ હેડલાઈન્સ પર આધાર રાખતી જણાય છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય તમામ વાહન માલિકોને સ્પષ્ટપણે ખાતરી આપે છે કે ડર ફેલાવતા આ દાવાઓ ખોટા, પાયાવિહોણા, વૈજ્ઞાનિક રીતે અપ્રમાણિત અને અગ્રણી ઓટોમોટિવ સંશોધન સંસ્થાઓ દ્વારા હાથ ધરવામાં આવેલા વ્યાપક તકનીકી અભ્યાસો સાથે અસંગત છે. નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આવી અસત્યાપિત સામગ્રી પર ભરોસો ન કરે અને તેના બદલે સરકાર, OMCs, ઓટોમોબાઈલ ઉત્પાદકો અને ઓટોમોટિવ સંશોધન સંસ્થાઓ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર સંદેશાવ્યવહારનો સંદર્ભ લે.
દુર્ભાવનાપૂર્ણ ઈરાદા (malafide intention) સાથે ફેલાવવામાં આવી રહેલી વ્યાપક થીમ આધારિત ભ્રામક માહિતી નીચે મુજબ છે :
5. સરકારનો મુદ્દાવાર પ્રતિભાવ
a) ઇથેનોલ ઉત્પાદન માટે પાણીનો અતિશય વપરાશ (1 લીટર ઇથેનોલ માટે 10,000 લીટર પાણી).
• અહીં એ નોંધવું પ્રસ્તુત છે કે ભારતમાં ડાંગર અને ઘઉંની ખેતી મુખ્યત્વે એમએસપી (MSP) મિકેનિઝમ અને એફસીઆઈ (FCI) દ્વારા ખાતરીપૂર્વકની પ્રાપ્તિ દ્વારા સંચાલિત થાય છે. ખેડૂતો આ પાકની ખેતી ખાદ્ય સુરક્ષાના હેતુઓ માટે ખાતરીપૂર્વકની પ્રાપ્તિને કારણે કરે છે નહીં કે ઇથેનોલની માંગને કારણે. તેથી, ડાંગરની ખેતીના સમગ્ર કૃષિ વોટર ફૂટપ્રિન્ટને ઇથેનોલ ઉત્પાદનને આભારી ગણાવવું એ મૂળભૂત રીતે ખોટું છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા જરૂરિયાતો પૂરી કર્યા પછી DFPD દ્વારા નક્કી કરાયેલા અને મંજૂર કરાયેલા માત્ર વધારાના (surplus) ચોખાને જ ઇથેનોલ ઉત્પાદન માટે ડાયવર્ટ કરવામાં આવે છે. આવા ચોખા અન્યથા સરકારી સ્ટોકમાં વધારાના તરીકે પડી રહેતા. તેથી ઇથેનોલ ઉત્પાદન માટે પાણીનો વપરાશ કૃષિ ક્ષેત્રના સ્તરથી શરૂ થાય છે તે ધારણા પાયાવિહોણી છે. ઇથેનોલ ઉત્પાદન માટેની ચોખાની ટોપલીમાં તૂટેલા/બગડેલા ચોખાના દાણા પણ લેવામાં આવે છે, જે ખેડૂતોને આર્થિક વળતર આપે છે.
• તે સર્વવિદિત છે કે શેરડી એ મધ્યમથી ઉચ્ચ પાણીની સઘનતા ધરાવતો પાક છે, જેમાં 1 કિલો શેરડીના ઉત્પાદન માટે 350 લીટરથી વધુ પાણીની જરૂર પડે છે. શેરડીનો પાક મોટે ભાગે ડિસ્ટિલર્સના કેચમેન્ટ એરિયામાં ઉગાડવામાં આવે છે અને શેરડીના ખેડૂતોને ખાતરીપૂર્વકના ચૂકવણા માટે શેરડીની પ્રાપ્તિ પદ્ધતિ FRP સિસ્ટમ હેઠળ સંચાલિત થાય છે. સ્થાનિક બજારમાં ખાંડનો પૂરતો પુરવઠો અને મિલરો દ્વારા શેરડીના ખેડૂતોને બાકી લેણાંની સમયસર ચુકવણી સુનિશ્ચિત કરવા માટે DFPD સંબંધિત શેરડી/ખાંડ નિયંત્રણ આદેશો દ્વારા વિવિધ રાજ્ય સરકારોના સહયોગથી શેરડીના ઉત્પાદન પર નિયમિત દેખરેખ રાખે છે. સ્થાનિક બજારમાં ખાંડની પૂરતી ઉપલબ્ધતા પછી જ DFPD ઇથેનોલ ઉત્પાદન માટે વધારાના કાચા માલને ડાયવર્ટ કરવાની મંજૂરી આપે છે. આમ, શેરડીની લણણીમાં જે પાણી પહેલેથી જ વપરાઈ ગયું છે (જેમાં વધારાનું ઉત્પાદન પણ સામેલ છે) તે ઇથેનોલ ઉત્પાદનને કારણે નથી.
• વધુમાં, મકાઈ ડાંગર કરતાં ઓછી પાણી-સઘન છે, જેને તેની અંદાજે 29% એકર જમીન પર માત્ર આંશિક સિંચાઈની જરૂર પડે છે. તે અર્ધ-શુષ્ક ઝોનમાં વધુ આબોહવા-સ્થિતિસ્થાપક (climate-resilient) વિકલ્પ તરીકે કામ કરે છે. મકાઈ ઉચ્ચ ઇથેનોલ ઉપજને પણ સપોર્ટ કરે છે જે પ્રતિ ટન 360-400 લીટર હોવાનો અંદાજ છે અને રવિ અને વસંતઋતુની મકાઈ સહિત બહુવિધ મોસમી પાક ચક્રોની મંજૂરી આપીને આખું વર્ષ કાચા માલની ઉપલબ્ધતા સક્ષમ બનાવે છે. ઇથેનોલ પ્રોસેસિંગની સહ-ઉત્પાદન (co-product) પ્રોડક્ટ, DDGS, મરઘાઉછેર અને પશુધન ક્ષેત્રોમાં જાય છે, જે સર્ક્યુલર ઇકોનોમીમાં યોગદાન આપે છે.
• સરકારે ડાંગરની સરખામણીમાં પાણીની નોંધપાત્ર ઓછી જરૂરિયાતને કારણે મકાઈને પસંદગીના ઇથેનોલ કાચા માલ તરીકે સભાનપણે પ્રોત્સાહિત કરી છે. મકાઈ માટેની એમએસપી (MSP) માં વર્ષોથી નોંધપાત્ર વધારો થયો છે (એક દાયકા પહેલાં આશરે રૂ. 1300/ક્વિન્ટલથી અત્યારે આશરે રૂ. 2,400/ક્વિન્ટલ), જે ખેડૂતોને ડાંગર, જે પાણી-સઘન પાક છે, તેમાંથી સ્થળાંતર કરવા માટે પ્રોત્સાહિત કરે છે. આજે, ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ પ્રોગ્રામ હેઠળ સપ્લાય કરવામાં આવતા ઇથેનોલમાં મકાઈ 40% થી વધુ યોગદાન આપે છે, જે પાણીની કાર્યક્ષમતા અને કાચા માલના ટકાઉપણાં બંને સુધારવા માટે સરકારના સભાન પ્રયાસ દર્શાવે છે.
• તેથી, ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ પ્રોગ્રામ શેરડીના ખેડૂતોને સમયસર ચુકવણી સુનિશ્ચિત કરીને, ખેતીની આવકમાં સુધારો કરીને, ઇથેનોલના રૂપમાં વધારાની કૃષિ પેદાશો માટે ખાતરીપૂર્વકનું બજાર બનાવીને, ડાંગરના પાકને મકાઈ તરફ સ્થાનાંતરિત કરવા પ્રોત્સાહિત કરીને, ખાંડ ક્ષેત્રમાં નાણાકીય તણાવ ઘટાડીને અને ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવામાં નોંધપાત્ર યોગદાન આપીને ભારતીય કૃષિ માટે એક પરિવર્તનકારી હસ્તક્ષેપ તરીકે ઉભરી આવ્યો છે.
• એક સામાન્ય ઇથેનોલ પ્લાન્ટને ધ્યાનમાં લેતા, ઇથેનોલના ઉત્પાદન માટે પ્રતિ લીટર ઇથેનોલ દીઠ માત્ર 3-5 લીટર પ્રોસેસ્ડ પાણીની જરૂર પડે છે. તદુપરાંત, આધુનિક ડિસ્ટિલરીઓ પાણીને રિસાયકલ કરવા અને પર્યાવરણીય અસર ઘટાડવા માટે ઘણીવાર ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ (ZLD) ટેકનોલોજીનો ઉપયોગ કરે છે.
b) પર્યાવરણીય અસર, ભૂગર્ભજળના અવક્ષય અને કૃષિને સંભવિત નુકસાન અંગેની પાયાવિહોણી ચિંતાઓના આધારે કેટલાક સ્થાનિક રહેવાસીઓ અને ખેડૂતોનો વિરોધ. આ મુદ્દો હનુમાનગઢ, રાજસ્થાન ખાતે ડેડિકેટેડ ઇથેનોલ પ્લાન્ટની સ્થાપનાનો સંદર્ભ આપે છે.
• પ્રદૂષણ સંબંધિત : આધુનિક ઇથેનોલ પ્લાન્ટ્સ લાયસન્સની સંબંધિત શ્રેણી હેઠળ MoEF&CCદ્વારા પર્યાવરણીય મંજૂરી સાથે સ્થાપિત કરવામાં આવે છે, જે ભૂગર્ભજળના ઉપયોગ સંબંધિત ધોરણોની જરૂરિયાત રાખે છે અને ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ (ZLD) સિસ્ટમ ફરજિયાત બનાવે છે. આ ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ (ZLD) પ્લાન્ટ્સ સામાન્ય રીતે બાયોમાસ આધારિત વીજળી ઉત્પાદનનો ઉપયોગ કરીને કાર્ય કરે છે. ઇથેનોલ પ્લાન્ટ્સની આ વિશિષ્ટ વિશેષતાઓ ફેક્ટરી-સ્તરના ઉત્સર્જનને રોકવા માટે માત્ર શ્રેષ્ઠ ઔદ્યોગિક પ્રથા ધરાવીને જ નહીં, પરંતુ વાહનોમાંથી કાર્બન ટેલ-પાઇપ ઉત્સર્જન નોંધપાત્ર રીતે ઘટાડતું જૈવઇંધણ (ઇથેનોલ) ઉત્પન્ન કરીને તેમને સૌથી પર્યાવરણ અનુકૂળ ક્ષેત્ર બનાવે છે. ઉપરાંત, ઇથેનોલમાં કાર્બન પરમાણુને કારણે ઉત્સર્જન બાયોજેનિક છે, એટલે કે તે વાહનના ટેલ-પાઇપ સ્તરે પર્યાવરણમાં કાર્બન ઉત્સર્જનમાં કોઈ ચોખ્ખો વધારો કરતું નથી.
c) E20 બળતણને કારણે વાહનોની ફ્યુઅલ ટેન્ક તરફ કીડીઓ/મધમાખીઓ આકર્ષિત થવાના દાવા.
• BPCL એ વાહનના ફ્યુઅલ ફિલર કેપ્સની આસપાસ એકત્ર થતી કીડીઓ અને E20 પેટ્રોલ સાથેના તેમના કથિત જોડાણ અંગે સોશિયલ મીડિયા પર ફરતા દાવાઓની તપાસ કરી છે. પેટ્રોલ બ્લેન્ડિંગ માટે વપરાતું ફ્યુઅલ-ગ્રેડ ઇથેનોલ આથો (fermentation) અને નિસ્યંદન (distillation) પ્રક્રિયાઓ દ્વારા ઉત્પન્ન થાય છે જે અંતિમ ઉત્પાદનમાંથી અવશેષ શર્કરા (residual sugars) ને દૂર કરે છે. વધુમાં, ફ્યુઅલ ઇથેનોલમાં વિકર્ષકો (denaturants) હોય છે, જે જંતુઓ માટે પ્રતિકારક છે. બ્લેન્ડિંગ કરવા પર, પેટ્રોલની લાક્ષણિક હાઇડ્રોકાર્બન ગંધ કોઈપણ અંતર્ગત ઇથેનોલની ગંધ પર પ્રભુત્વ ધરાવે છે.
આ ઉપરાંત, ઇથેનોલ-બ્લેન્ડેડ પેટ્રોલ પરંપરાગત પેટ્રોલની સરખામણીમાં ઓછું ફ્યુઅલ વેપર ફોર્મેશન દર્શાવે છે. પરિણામે, E20 બળતણ સાથે સંકળાયેલું એવું કોઈ ઓળખી શકાય તેવું આકર્ષક તત્વ નથી કે જે કીડીઓ અથવા અન્ય જંતુઓને વાહનની ફ્યુઅલ કેપ્સની આસપાસ એકત્ર થવાનું કારણ બને. તેથી, E20 બળતણ અને કીડીઓના આકર્ષણ વચ્ચેની લિંક સૂચવતા દાવાઓનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવી રહેલા દાવાઓ પાયાવિહોણા છે અને વૈજ્ઞાનિક પુરાવા દ્વારા સમર્થિત નથી.
d) E20 બળતણના ઉપયોગને કારણે વાહનોની માઇલેજમાં ભારે ઘટાડો થવો.
e) E20 બળતણના ઉપયોગને કારણે વાહન/એન્જિનના ભાગોને નુકસાન/કાટ લાગવો.
f) જો E20 બળતણનો ઉપયોગ કરવામાં આવે તો વીમા કંપનીઓ / કાર ઉત્પાદકો વીમા/વોરંટી દાવાઓ નકારી રહ્યા છે.
• સરકારે સપ્ટેમ્બર 2014માં ARAI ને 'ઇથેનોલ બ્લેન્ડેડ ગેસોલિન (E20) સાથે મટિરિયલ સુસંગતતા અને ઉત્સર્જન પ્રદર્શન માપન' પર અભ્યાસ હાથ ધરવાનું કામ સોંપ્યું હતું. આ અભ્યાસ IOCL, ARAI, IIP-દેહરાદૂન અને SIAM દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. તારણો દર્શાવે છે કે કાર્બન મોનોક્સાઇડ ઉત્સર્જનમાં ટુ-વ્હીલરમાં આશરે 50% અને ફોર-વ્હીલરમાં 30% ઘટાડો થયો છે. ટુ-વ્હીલર અને પેસેન્જર કાર બંનેમાં સામાન્ય ગેસોલિનની સરખામણીમાં E20 સાથે અબર્ન્ટ (નહિ બળેલા) હાઇડ્રોકાર્બન ઉત્સર્જનમાં આશરે 20% ઘટાડો થયો છે. ચલાવવાની ક્ષમતા (drivability), શરૂ થવાની ક્ષમતા (startability), મેટલ સુસંગતતા, પ્લાસ્ટિક સુસંગતતા સહિતના મોટાભાગના પરિમાણોમાં કોઈ સમસ્યા નોંધાઈ નથી.
માત્ર અમુક જૂના વાહનોના કિસ્સામાં, કેટલાક રબરના ભાગો અને ગેસ્કેટ્સ બ્લેન્ડ ન કરેલા બળતણના ઉપયોગના કિસ્સા કરતાં વહેલા બદલવા પડી શકે છે.
વધુમાં, E10 વાહનોમાં કાર્યક્ષમતામાં ઘટાડો (જો કોઈ હોય તો) શુદ્ધ પેટ્રોલની સરખામણીમાં માત્ર નજીવો ઘટાડો જોવા મળ્યો હતો. વ્યાપક ફિલ્ડ ટ્રાયલ્સમાં કાર માટે 40,000 કિમી અને 2-વ્હીલર્સ માટે 20,000 કિમીનો સમાવેશ થાય છે, જેણે કોઈ નોંધપાત્ર નકારાત્મક અસર દર્શાવી નથી.
• આ મંત્રાલય દ્વારા પ્રેસ રિલીઝ દ્વારા વૈજ્ઞાનિક પુરાવાઓ દ્વારા સમર્થિત અહેવાલ આપવામાં આવ્યો છે કે, E-20 બળતણનો ઉપયોગ E10 બળતણની સરખામણીમાં વધુ સારું પ્રવેગક (acceleration), બહેતર રાઇડ ગુણવત્તા અને કાર્બન ઉત્સર્જનમાં અંદાજે 30% ઘટાડો આપે છે.
• ઇથેનોલનો ઉચ્ચ-ઓક્ટેન નંબર (~108.5 પેટ્રોલના 84.4 ની સરખામણીમાં) ઇથેનોલ-બ્લેન્ડેડ બળતણને ઉચ્ચ-ઓક્ટેનની જરૂરિયાતો માટે એક મૂલ્યવાન વિકલ્પ બનાવે છે જે આધુનિક હાઈ-કમ્પ્રેશન એન્જિનો માટે મહત્વપૂર્ણ છે. ઇથેનોલ 20 ના બ્લેન્ડિંગ સાથે RON 95, વધુ સારી એન્ટી નોકિંગ પ્રોપર્ટીઝ અને પ્રદર્શનમાં પરિણમે છે. E20 બળતણ માટે ટ્યુન કરાયેલા વાહનો વધુ સારું પ્રવેગક પ્રદાન કરે છે જે શહેરમાં ડ્રાઇવિંગ પરિસ્થિતિઓમાં ખૂબ જ મહત્વપૂર્ણ પરિબળ છે.
વધુમાં, ઇથેનોલની ઉચ્ચ બાષ્પીભવન ગરમી ઇનટેક મેનિફોલ્ડ તાપમાન ઘટાડે છે, હવાની ઘનતા-બળતણ મિશ્રણ વધારે છે અને વોલ્યુમેટ્રિક કાર્યક્ષમતાને વેગ આપે છે. E20 બળતણ કાર્યક્ષમતામાં "ભારે" ઘટાડો કરે છે તે ચિંતા ખોટી છે. વાહનની માઇલેજ માત્ર બળતણના પ્રકાર સિવાયના વિવિધ પરિબળોથી પ્રભાવિત થાય છે. જેમાં ડ્રાઇવિંગની આદતો, ઓઇલ ચેન્જ અને એર ફિલ્ટરની સ્વચ્છતા જેવી જાળવણી પદ્ધતિઓ, ટાયરનું દબાણ અને અલાઇનમેન્ટ અને એર કંડિશનિંગ લોડનો પણ સમાવેશ થાય છે. વાહનોની વીમા/વોરંટી રદ થવાની પાયાવિહોણી ચિંતા અંગે વીમા કંપનીઓ/OEMs દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે E20 બળતણના ઉપયોગની ભારતમાં વાહનોના વીમા/વોરંટીની માન્યતા પર કોઈ અસર થતી નથી. વધુમાં, PIB એ પણ તેના 16.06.2026 ના રોજની પોસ્ટ દ્વારા 'X' હેન્ડલ પર ફેક્ટ-ચેક કર્યું છે, જેમાં જણાવ્યું છે કે આવી ભ્રામક માહિતી ખોટી છે.
• ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગ વતી બોલતા, SIAM એ પણ સ્પષ્ટપણે જણાવ્યું છે કે ગેસોલિન વાહનો માટે લાગુ પડતું વોરંટી કવરેજ, સંબંધિત વાહન નિર્માતા (OEMs) દ્વારા નિર્દિષ્ટ વોરંટી શરતો અને નિયમો મુજબ, જરૂરી વિશિષ્ટતાઓ ધરાવતા E20 બળતણ સાથે ચાલતા વાહનો માટે સન્માનિત (ચાલુ) રાખવામાં આવશે.
• વધુમાં એવી સ્પષ્ટતા કરવામાં આવે છે કે વર્તમાન E20 બ્લેન્ડ તેના દેશવ્યાપી અમલીકરણ પહેલાં જ વ્યાપક વૈજ્ઞાનિક મૂલ્યાંકન અને માન્યતામાંથી પસાર થઈ ચૂક્યું છે. E20 થી આગળ બેઝ ઇથેનોલ બ્લેન્ડિંગ સ્તરમાં ભવિષ્યમાં કોઈપણ વધારો ઓટોમોબાઈલ ઉત્પાદકો અને અન્ય હિતધારકો સાથે પરામર્શ કરીને, વાહનોની વિવિધ શ્રેણીઓમાં ARAI દ્વારા ઉચ્ચ ઇથેનોલ બ્લેન્ડ્સના વિગતવાર પરીક્ષણ અને માન્યતા પછી જ હાથ ધરવામાં આવશે.
g) સરકાર હાલમાં 20% ઇથેનોલ બ્લેન્ડિંગનો પ્રયોગ કરી રહી છે અને આગામી વર્ષે તેની અસરનું મૂલ્યાંકન કરશે.
• માનનીય સર્વોચ્ચ અદાલત (Supreme Court) સમક્ષની કાર્યવાહી ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ પ્રોગ્રામની યોગ્યતા વિશે ન હતી. કોર્ટ સમક્ષનો મુદ્દો DEPs માંથી OMCs દ્વારા ઇથેનોલની પ્રાપ્તિની કરારબદ્ધ જોગવાઈઓના અર્થઘટન સંબંધિત હતો. કેટલાક પસંદગીપૂર્વક એડિટ કરેલા અને ભ્રામક અહેવાલોએ કાર્યવાહીને E20 પ્રોગ્રામ પર જ સવાલ ઉઠાવતી હોય તે રીતે ચિત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સંપૂર્ણપણે ખોટું છે. વિદ્વાન એટર્ની જનરલની રજૂઆતો પ્રાપ્તિ માળખું (procurement framework), વાર્ષિક ફાળવણી પદ્ધતિ, 'શ્રેષ્ઠ પ્રયાસ' (best endeavour) કલમના અર્થઘટન અને સત્તાવાર ન્યાયિક નિર્ણય માટે માનનીય સર્વોચ્ચ અદાલતમાં વિવિધ વડી અદાલતો (High Courts) સમક્ષ પેન્ડિંગ સમાન બાબતોના સ્થાનાંતરણની જરૂરિયાત પૂરતી મર્યાદિત હતી.
• ભારતના એટર્ની જનરલની કચેરીએ 30.06.2026 ના રોજની પ્રેસ રિલીઝ દ્વારા વિગતવાર સ્પષ્ટતા જારી કરી છે. તે સ્પષ્ટ શબ્દોમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સરકારે માનનીય સર્વોચ્ચ અદાલત સમક્ષ E20 પ્રોગ્રામને "પ્રયોગ" તરીકે વર્ણવ્યો હોવાનું કોઈ પણ સૂચન ખોટું છે અને તે ભારત સરકાર વતી કરવામાં આવેલી રજૂઆતોનું પ્રતિનિધિત્વ કરતું નથી. વિદ્વાન AGI ની કચેરીએ મીડિયાના સભ્યોને ન્યાયિક કાર્યવાહીની યોગ્ય ચોકસાઈ સાથે રિપોર્ટિંગ કરવા માટે પણ સાવધ કર્યા છે, ખાસ કરીને મહત્વપૂર્ણ રાષ્ટ્રીય નીતિ પહેલો સાથે સંકળાયેલી બાબતોમાં.
h) વાહનમાં E20 બળતણની હાજરીને કારણે ફ્યુઅલ ટેન્કમાં પાણી પ્રવેશવા અંગેની ચિંતાઓ.
• સરકાર ઓઇલ માર્કેટિંગ કંપનીઓ, ઓટોમોબાઈલ ઉત્પાદકો, બળતણ પરીક્ષણ એજન્સીઓ અને અન્ય હિતધારકો સાથે પરામર્શ કરીને ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામના અમલીકરણ પર સતત દેખરેખ રાખે છે. E20 બળતણને કારણે વાહનની ફ્યુઅલ ટેન્કમાં પાણી પ્રવેશવાના દાવા અંગે, MoP&NGની 23.06.2026 ના રોજની પ્રેસ રિલીઝ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ફ્યુઅલ ટેન્કમાં પાણીનો પ્રવેશ કોઈપણ બળતણ માટે અનિચ્છનીય છે, પછી તે ઇથેનોલ બ્લેન્ડેડ હોય કે અન્યથા. આધુનિક વાહનો ફ્યુઅલ ટેન્કમાં પાણીના પ્રવેશને રોકવા માટે ડિઝાઈન સુવિધાઓ અને સલામતીના સાધનોથી સજ્જ છે. તદુપરાંત, રિટેલ આઉટલેટ્સ પર ભૂગર્ભ ફ્યુઅલ ટેન્કો પેટ્રોલ/ડીઝલ ફ્યુઅલ ટેન્કોમાં પાણીના પ્રવેશને ટાળવા માટે સિલિકા જેલ ટ્રેપ, ગેસ્કેટ્સ, સીલંટ વગેરે સહિતના તમામ જરૂરી સુરક્ષા ગિયર્સથી સજ્જ છે.
i) કેટલાક વ્યક્તિઓ સોશિયલ મીડિયા પર વીડિયો બનાવીને શેર કરી રહ્યા છે જે શેરડીના રસને પેટ્રોલમાં સીધો મિક્સ કરવામાં આવતો હોવાનું ખોટી રીતે ચિત્રિત કરે છે.
• MoP&NGએ ઉપરોક્ત અખબારી યાદી (press release) દ્વારા સ્પષ્ટ કર્યું છે કે કરવામાં આવી રહેલા દાવા ભ્રામક અને પાયાવિહોણા છે. બળતણ બ્લેન્ડિંગ માટે વપરાતું ઇથેનોલ સ્થાપિત ઔદ્યોગિક પ્રક્રિયાઓ દ્વારા ઉત્પન્ન થાય છે અને પેટ્રોલમાં બ્લેન્ડિંગ કરતા પહેલાં કડક ગુણવત્તા વિશિષ્ટતાઓને અનુરૂપ હોય છે.
પેટ્રોલ અને ડીઝલ અલગ થતા દર્શાવતા વીડિયો નકલી (fake) છે. ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ ઓરડાના તાપમાને અલગ થતું ન હોવાથી અસત્ય અને અફવાઓ ફેલાવવા માટે વીડિયો જાણીજોઈને બનાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો - E20 Ethanol Blending : તથ્યો વિરુદ્ધ ભ્રામક માહિતી-દાવાઓના સરકારે મુદ્દાવાર રીતે આપ્યા જવાબ

