સુપ્રીમ કોર્ટે રાજ્યપાલની જેમ રાષ્ટ્રપતિ માટે પણ ડેડલાઇન નક્કી કરી, ત્રણ મહિનામાં લેવો પડશે નિર્ણય
- સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક નિર્ણય
- રાષ્ટ્રપતિએ ત્રણ મહિનાની અંદર નિર્ણયલેશે
- તમિલનાડુના રાજ્યપાલે બિલોને કર્યો ઇનકાર
Supreme Court: સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક (Supreme Court)નિર્ણયમાં કહ્યું છે કે રાજ્યપાલ દ્વારા મોકલવામાં આવેલા બિલો પર રાષ્ટ્રપતિએ ત્રણ મહિનાની અંદર નિર્ણય લેવો ફરજિયાત રહેશે. સુપ્રીમ કોર્ટમાં, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ આર મહાદેવનની બેન્ચે ચુકાદામાં કહ્યું કે કલમ 201 હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલા કાર્યો ન્યાયિક સમીક્ષાને પાત્ર છે. તમિલનાડુના રાજ્યપાલ દ્વારા લંબિત બિલોને મંજૂરી આપવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો હતો. જે બાદ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણી કરી અને તમિલનાડુના રાજ્યપાલના નિર્ણયને ફગાવી દીધો. સુપ્રીમ કોર્ટે મંગળવારે આ ચુકાદો આપ્યો અને શુક્રવારે સંબંધિત આદેશ સાર્વજનિક કરવામાં આવ્યો.
આદેશમાં કહેવામાં આવ્યું કે બંધારણના અનુચ્છેદ 201 મુજબ,જ્યારે કોઈ બિલ રાજ્યપાલ દ્વારા રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવે છે. ત્યારે રાષ્ટ્રપતિએ કાં તો તેના પર સંમતિ આપવી પડે છે અથવા અસંમતિ વ્યક્ત કરવી પડે છે. જોકે, બંધારણમાં આ પ્રક્રિયા માટે કોઈ સમયમર્યાદા નક્કી કરવામાં આવી નથી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે રાષ્ટ્રપતિ પાસે 'પોકેટ વીટો'નો અધિકાર નથી. તેનો અર્થ એ કે તેઓ પોતાનો નિર્ણય અનિશ્ચિત સમય માટે મુલતવી રાખી શકતા નથી.
'...તો યોગ્ય કારણો આપવા પડશે'
બેન્ચે કહ્યું કે, કાયદાની આ સ્થિતિ સ્થાપિત છે કે જો કોઈ જોગવાઈમાં કોઈ સમય મર્યાદા નિર્દિષ્ટ ન હોય તો પણ, સત્તાનો ઉપયોગ વાજબી સમયની અંદર થવો જોઈએ. કલમ 201 હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા સત્તાનો ઉપયોગ કાયદાના આ સામાન્ય સિદ્ધાંતથી મુક્ત ન કહી શકાય. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો ત્રણ મહિનાથી વધુ વિલંબ થાય છે, તો યોગ્ય કારણો નોંધવા જોઈએ અને સંબંધિત રાજ્યને તેની જાણ કરવી જોઈએ. બેન્ચે નિર્દેશ આપ્યો, અમે એ નિર્ધારિત કરીએ છીએ કે રાજ્યપાલ દ્વારા વિચારણા માટે મોકલવામાં આવેલા બિલો પર રાષ્ટ્રપતિએ એ સંદર્ભ મળ્યાની તારીખથી ત્રણ મહિનાની અંદર નિર્ણય લેવો જરૂરી છે.
આ પણ વાંચો -Earthquake : ભારત સહિત 5 દેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા
અસંમતિ વ્યક્ત કરવી પણ ન્યાયિક સમીક્ષાના દાયરામાં
સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે જો નિર્ધારિત સમયમર્યાદામાં કોઈ કાર્યવાહી નથી થતી તો સંબંધિત રાજ્ય કોર્ટનો સંપર્ક કરી શકે છે. જો કોઈ બિલ તેની બંધારણીય માન્યતાને કારણે અટકાવવામાં આવે છે, તો સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે કાર્યપાલિકાએ અદાલતની ભૂમિકા ભજવવી જોઈએ નહીં. આવા કેસોને કલમ 143 હેઠળ સુપ્રીમ કોર્ટમાં મોકલવા જોઈએ. કોર્ટે કહ્યું, અમે સ્પષ્ટપણે કહીએ છીએ કે જ્યારે કોઈ બિલમાં ફક્ત કાનૂની મુદ્દાઓનો સમાવેશ થાય છે, ત્યારે કાર્યપાલિકાના હાથ બંધાયેલા હોય છે અને ફક્ત બંધારણીય અદાલતોને જ આવા મામલાઓનો અભ્યાસ કરીને સૂચનો આપવાનો અધિકાર હોય છે.