Twisha Sharma Case Update : CBI એ પૂર્વ જજ ગિરિબાલા સિંહના ઘરે કર્યું 'સીન રીક્રીએશન', ખુલી શકે છે મોટા રહસ્યો!
Twisha Sharma Case Update : ટ્વિશા શર્માના રહસ્યમય મોત કેસમાં કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI) દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં એક નવો વળાંક આવ્યો છે. આ ગંભીર મામલાની સત્યતા તપાસવા માટે સોમવારે CBI ની ટીમે ઘટનાસ્થળે એટલે કે પૂર્વ જજ ગિરિબાલા સિંહના ઘરે ક્રાઈમ સીનનું ફરીથી નિર્માણ (Scene Recreation) કર્યું હતું. તપાસ એજન્સીનો મુખ્ય ઉદ્દેશ્ય ઘટના સમયે ઉપસ્થિત વ્યક્તિઓની હિલચાલ અને તેમના નિવેદનોની વિશ્વસનીયતા ચકાસવાનો હતો.
Twisha Sharma Case Update : બે કલાક સુધી ચાલી પ્રક્રિયા
તપાસ દરમિયાન, CBI અને ફોરેન્સિક નિષ્ણાતોની ટીમે લગભગ બે કલાક સુધી છત પર આ પ્રક્રિયા હાથ ધરી હતી. ઘટનાક્રમને સમજવા માટે એક ડમી બોડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગિરિબાલા સિંહ અને તેમના પુત્ર સમર્થ સિંહે તપાસકર્તાઓના નિર્દેશ મુજબ ઘટનાના સમયે શું થયું હતું, તેનું ડેમોન્સ્ટ્રેશન આપ્યું હતું. ગિરિબાલા સિંહે ડમી સાથે બેલ્ટ કાપવાની પ્રક્રિયા બતાવી હતી, જ્યારે સમર્થ સિંહે મૃતદેહને નીચે ઉતારવાની સ્થિતિનું નિદર્શન કર્યું હતું.
CBI દ્વારા કરવામાં આવ્યા સવાલો
આ પૂછપરછમાં CBI એ ઘણા મહત્વના પ્રશ્નો કર્યા હતા. તપાસકર્તાઓએ પૂછ્યું કે ઘટના બાદ ટ્વિશાને તાત્કાલિક હોસ્પિટલ કેમ ન લઈ જવામાં આવી, તેને નીચે કોણે ઉતારી, પોલીસને માહિતી કોણે આપી અને તે સમયે ટ્વિશા જીવિત હતી કે નહીં? તે ઉપરાંત, શરીરે જોવા મળેલી ઈજાઓના નિશાન, દહેજને લગતા આરોપો અને આર્થિક વ્યવહારો વિશે પણ કડક સવાલો કરવામાં આવ્યા હતા.
ગિરિબાલાસિંહે ટ્વિશાને માનસિક અસ્વસ્થ કહી
ગિરિબાલા સિંહે પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે દાવો કર્યો કે ટ્વિશા માનસિક રીતે અસ્વસ્થ હતી, તેને પર્સનાલિટી ડિસઓર્ડર અને એન્ઝાયટીની સમસ્યા હતી. તેમણે એમ પણ કહ્યું કે ટ્વિશા પોતાની પ્રેગ્નન્સી (Pregnancy) ને લઈને ખૂબ જ તણાવમાં રહેતી હતી. બીજી તરફ, સમર્થ સિંહે દાવો કર્યો કે તે પોતાની પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો અને તે દિવસે બધું સામાન્ય હતું. સમર્થના કહેવા મુજબ, ટ્વિશાનું ગર્ભાવસ્થાને લઈને બદલાતું મન તેના માનસિક તણાવનું કારણ હતું.
આગામી દિવસોમાં સત્ય આવશે સામે
CBI એ આ તમામ નિવેદનોને ઘટનાસ્થળની વાસ્તવિકતા સાથે સરખાવવાની કવાયત હાથ ધરી છે. આ સીન રીક્રીએશન દ્વારા એજન્સી એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આરોપીઓના બયાન અને ઘટનાસ્થળની સ્થિતિમાં કોઈ વિરોધાભાસ છે કે નહીં. આ તપાસ હવે કેસના મુખ્ય વળાંક પર છે અને આગામી દિવસોમાં સત્ય સામે આવવાની આશા છે. ટ્વિશાના પરિવારજનો માટે આ તપાસ ન્યાય મેળવવા તરફનું એક મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે. CBI ની આ ઝીણવટભરી તપાસ હવે આગામી કાનૂની કાર્યવાહી માટે મહત્વની સાબિત થશે.
આ પણ વાંચો : સેક્સ વર્કર્સ માટે સુપ્રીમ કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો, સ્વેચ્છાએ દેહવ્યાપાર ગુનો નથી!


