PM મોદી RSS મુખ્યાલય પહોંચ્યા, સ્મૃતિ મંદિરમાં હેડગેવાર-ગોલવલકરને શ્રદ્ધાંજલિ આપી
- PM મોદીએ RSS મુખ્યાલયમાં સ્મૃતિ મંદિરની મુલાકાત લીધી
- PM મોદીએ સંઘના બે મજબૂત સ્તંભોને યાદ કર્યા
- PM મોદીએ સંઘના જૂના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી
- PM મોદીએ એક સંદેશ પણ લખ્યો
PM Modi at RSS headquarters: નવા વર્ષના પ્રારંભે, રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગપુર સ્થિત RSS મુખ્યાલયમાં સ્મૃતિ મંદિરની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે સંઘના સ્થાપક ડૉ. કેશવ બલિરામ હેડગેવાર અને બીજા સરસંઘચાલક એમ.એસ. ગોલવલકરને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી. PM બન્યા બાદ આ તેમની પ્રથમ મુલાકાત હતી.
પૂર્વ કાર્યકર્તાઓ સાથે યાદગાર પળો
PM મોદીએ આજે (રવિવારે) RSS મુખ્યાલયમાં સંઘના બે મજબૂત સ્તંભોને યાદ કર્યા. સ્મૃતિ મંદિર ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ PM મોદીએ સંઘના જૂના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી અને જૂના દિવસોને યાદ કર્યા. તેમણે કહ્યું, "આજનો દિવસ મારા માટે ખૂબ જ ખાસ છે. નવા વર્ષે અહીં આવવું એ મારા માટે સૌભાગ્યની વાત છે." આ સાથે તેમણે એક સંદેશ પણ લખ્યો.
આ પણ વાંચો : PM મોદી આજે નાગપુરની મુલાકાતે, RSS હેડક્વાર્ટરની લેશે મુલાકાત, જાણો PMનો સમગ્ર કાર્યક્રમ
PM મોદીનો સંદેશ
PM મોદીએ સંદેશમાં લખ્યું કે, "પરમ પૂજ્ય ડૉ. હેડગેવાર અને ગોલવલકરની સ્મૃતિને શત શત નમન. તેમની સ્મૃતિને યાદ કરવા આ મંદિરમાં આવીને હું અભિભૂત છું. ભારતીય સંસ્કૃતિ, રાષ્ટ્રવાદ અને સંગઠન શક્તિના મૂલ્યોને સમર્પિત આ સ્થાન આપણને રાષ્ટ્રસેવા માટે પ્રેરણા આપે છે. દેશની સેવા માટે સમર્પિત લાખો સ્વયંસેવકો માટે આ સ્થાન ઉર્જાનો સ્ત્રોત છે. આપણા પ્રયત્નો દ્વારા ભારત માતાનો મહિમા હંમેશા વધતો રહે".
આ પ્રસંગે RSSના સરસંઘચાલક મોહન ભાગવત, પૂર્વ મહાસચિવ સુરેશ ભૈયાજી જોશી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ ઉપસ્થિત રહ્યા હતા. મોદી એવા સમયે સ્મૃતિ મંદિર પહોંચ્યા જ્યારે રવિવારે સંઘનો પ્રતિપદા કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે, જે હિન્દુ નવા વર્ષની શરૂઆત તરીકે ગુડી પડવાના દિવસે ઉજવવામાં આવે છે.
આ પહેલાં, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપેયીએ 27 ઓગસ્ટ, 2000ના રોજ ડૉ. હેડગેવાર સ્મૃતિ મંદિરની મુલાકાત લીધી હતી.
આ પણ વાંચો : ભારત-અમેરિકા વેપાર કરાર પર વાટાઘાટોનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ, વેપાર કરાર પર સહમતિ