Voter Adhikar Yatraમાં રાહુલ ગાંધીએ ભાજપના કાર્યકરોને કેમ આપી ફ્લાઈંગ કિસ? જૂઓ વીડિયોમાં
- બિહારમાં મતદાર અધિકાર યાત્રાનો 14મો દિવસ (Voter Adhikar Yatra)
- રાહુલ ગાંધીની યાત્રા બિહારના ભોજપુર જિલ્લામાં પહોંચી
- ભાજપના કાર્યકરોએ ફાકલા સામે કાળા ઝંડા બતાવી નારા લગાવ્યા
- રાહુલ ગાંધીએ વિરોધનો સ્મિત અને ફ્લાઈંગ કિસ આપીને જવાબ આપ્યો
Voter Adhikar Yatra : આજે બિહારમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની 'મતદાર અધિકાર યાત્રા'નો 14મો દિવસ હતો અને યાત્રા ભોજપુર જિલ્લામાં પહોંચી હતી. આ સમય દરમિયાન રાજકીય વાતાવરણ ખૂબ ગરમાયું હતું. ભોજપુરમાં, ભાજપના કાર્યકરોએ રાહુલ ગાંધીના કાફલાને કાળા ઝંડા બતાવ્યા અને "નરેન્દ્ર મોદી ઝિંદાબાદ" ના નારા લગાવ્યા. રાહુલ ગાંધીએ આ વિરોધનો સ્મિત અને ફ્લાઈંગ કિસ સાથે જવાબ આપ્યો, અને તેમની યાત્રા ચાલુ રાખી.
ભોજપુરના વીર કુંવર સિંહ સ્ટેડિયમમાં એક મોટી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાહુલ ગાંધી સાથે વિપક્ષી ગઠબંધનના ઘણા મોટા નેતાઓ સ્ટેજ પર હાજર હતા.
નીતિશ કુમાર પર તેજસ્વી યાદવનો કટાક્ષ
આરજેડી નેતા તેજસ્વી યાદવે મુખ્યમંત્રી નીતિશ કુમાર પર નિશાન સાધતા કહ્યું, "જેમ બાળકો કાગળની હોડી અને વિમાન બનાવીને ઉડાવે છે, તેવી જ રીતે નીતિશ કુમારના વચનો પણ એવા જ છે. બિહારને શિક્ષણ, દવા, આવક અને સિંચાઈવાળી સરકારની જરૂર છે." તેમણે જનતાને "મૂળ મુખ્યમંત્રી" અથવા "ડુપ્લિકેટ" વચ્ચે પસંદગી કરવાની અપીલ કરી.
અખિલેશ યાદવે ભાજપને ઘેરી
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે પણ ભાજપ પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે બિહારના લોકોએ પહેલા પણ ભાજપનો રથ રોક્યો છે અને આ વખતે પણ તેને રોકશે. તેમણે આરોપ લગાવ્યો કે આ સરકાર લોકો પાસેથી મત, રાશન અને નોકરીનો અધિકાર છીનવી લેવા માંગે છે. આ રેલીમાં આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્યની હાજરીએ પણ ગઠબંધનની એકતાનો મજબૂત સંદેશ આપ્યો.
રાહુલ ગાંધી શાળાના બાળકોને મળ્યા (Voter Adhikar Yatra)
ભોજપુરના બરહરા વિધાનસભા ક્ષેત્રના રાજાપુરમાં રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવનું પરંપરાગત 'લૌંડા નાચ' સાથે સ્વાગત કરવામાં આવ્યું, જેમાં ભારે ભીડ એકઠી થઈ. આ ઉપરાંત રાહુલ ગાંધીએ સ્થાનિક શાળામાં બાળકોને મળ્યા અને તેમને ચોકલેટ વહેંચીને તેમના દિલ જીતી લીધા.
14 દિવસથી ચાલી રહી છે યાત્રા (Voter Adhikar Yatra)
સતત 14 દિવસથી ચાલી રહેલી આ યાત્રા હવે બિહારમાં વેગ પકડી રહી છે. વિપક્ષી નેતાઓની હાજરીથી સ્પષ્ટ થાય છે કે આ વખતે મહાગઠબંધન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી નીતિશ કુમારને સીધા પડકારવાની રણનીતિ પર કામ કરી રહ્યું છે. ભોજપુરથી મળેલા સમર્થનથી યાત્રાને વધુ મજબૂતી મળી છે.
આ પણ વાંચો : પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે રાજસ્થાન વિધાનસભામાં પેન્શન માટે અરજી કરી