કિંમતી જમીન કપાતમાં જવાનો વિરોધ
ખેડૂતોની મુખ્ય ચિંતા તેમની આજીવિકા સમાન ખેતીલાયક જમીનને લઈને છે. આક્ષેપ છે કે હાઇવેના નિર્માણ માટે જે જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે, તેમાં ખેડૂતોની વર્ષો જૂની અને અત્યંત ફળદ્રુપ તેમજ કિંમતી જમીન કપાતમાં જઈ રહી છે. ખેડૂતોનું કહેવું છે કે જો તેમની જમીન છીનવાઈ જશે તો તેમના પરિવારોનું ગુજરાન ચલાવવું અત્યંત મુશ્કેલ બની જશે. પેઢીઓથી જે જમીન પર ખેતી કરીને તેઓ પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે, તે જમીન ગુમાવવાના ડરથી ખેડૂતોમાં ભારે આક્રોશ વ્યાપેલો છે.
ઊંચા હાઇવેથી જળબંબાકારનો ભય
જમીન ગુમાવવા ઉપરાંત, ખેડૂતો એક મોટી તકનીકી અને ભૌગોલિક સમસ્યાનો પણ સામનો કરી રહ્યા છે. બનનાર નેશનલ હાઇવેની ડિઝાઇન ખૂબ જ ઊંચી રાખવામાં આવી છે. ખેડૂતોના આક્ષેપ મુજબ હાઇવેની ઊંચાઈ વધુ હોવાને કારણે ચોમાસાની ઋતુમાં વરસાદી પાણીના નિકાલનો કુદરતી રસ્તો અવરોધાશે. પરિણામે, આજુબાજુના ખેતરોમાં પાણી ભરાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે. જો ખેતરોમાં પાણી ભરાયેલા રહેશે, તો ખેડૂતોનો ઊભો પાક નિષ્ફળ જશે અને જમીનની ફળદ્રુપતા પણ નાશ પામશે, જે ખેડૂતો માટે પડ્યા પર પાટું સમાન સાબિત થશે.
ખેડૂતોનો રસ્તા પર ઉતરીને વિરોધ
આ ગંભીર સમસ્યાઓને લઈને જશાપર અને આસપાસના ગામોના ખેડૂતો એકઠા થયા હતા અને પોતાની કિંમતી જમીન બચાવવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા. ખેડૂતોએ એક વિશાળ રેલીનું આયોજન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા છે. સૂત્રોચ્ચાર અને પ્લેકાર્ડ સાથે ખેડૂતોની આ રેલી મોરબી કલેક્ટર કચેરીએ પહોંચી હતી.
તંત્ર પાસે યોગ્ય નિર્ણયની અપેક્ષા
કલેક્ટર કચેરી ખાતે પહોંચીને ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને એક વિસ્તૃત આવેદન પત્ર આપ્યું છે. માગ કરવામાં આવી છે કે જશાપર ગામ પાસેથી નીકળતો બાયપાસ રદ કરવામાં આવે જેનાથી 110 વિઘા જેટલી જમીનને નુકસાન થતું અટકશે. વધુમાં ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો માગ સ્વીકારમાં નહીં આવે તો ઉગ્ર આંદોલનનની ચીમકી ઉચ્ચારી છે.
આ પણ વાંચોઃ Morari Bapu News : મોરબી, સુરત અને ગોંડલની દુર્ઘટનાના પીડિતોની વહારે આવ્યા મોરારિબાપુ, 19 પરિવારોને મળશે આર્થિક સહાય
આ પણ વાંચોઃ Morbi: કંપનીના કામનો વિરોધ ઉગ્ર બન્યો, પોલીસ અને ખેડૂતો વચ્ચે તકરાર