Somnath Amritparv 2026: PM મોદીની હાજરીમાં રચાશે ઈતિહાસ, 11 તીર્થોના જળથી થશે કુંભાભિષેક
- PM મોદીની હાજરીમાં Somnath માં રચાશે ઈતિહાસ
- 11 તીર્થોના જળથી થશે ભવ્ય કુંભાભિષેક
- રિમોટ કંટ્રોલ અને સેન્સરથી માત્ર 3 મિનિટમાં થશે જલાભિષેક
- 8 ફૂટ ઊંચો ખાસ કળશ સોમનાથના શિખર પર મંત્રોચ્ચાર સાથે ગુંજશે
- 75 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર શિખર પર કુંભાભિષેકનો લ્હાવો
Somnath Amritparv 2026: પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે સોમનાથ અમૃતપર્વ-2026ની ભવ્ય ઉજવણી થઈ રહી છે. આ પર્વ નિમિત્તે સોમનાથ મંદિરના ઈતિહાસમાં પ્રથમવાર શિખર પર 11 તીર્થોના પવિત્ર જળથી કુંભાભિષેક કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ ઐતિહાસિક અને પાવન ક્ષણના સાક્ષી બનશે.
PM મોદીની હાજરીમાં Somnath માં રચાશે ઈતિહાસ
આ કુંભાભિષેક માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાત-દિવસની જહેમત બાદ એક વિશેષ હાઈ-ટેક કળશ તૈયાર કરવામાં આવ્યો છે. આ કુંભની વિશેષતાઓ આસ્થા અને આધુનિક ટેકનોલોજીનો અદભૂત સંગમ દર્શાવે છે. આ વિશાળ કળશ 1,100 લીટર પાણી સમાવવાની ક્ષમતા ધરાવે છે. કળશનું પોતાનું વજન 760 કિ.ગ્રા. છે, જે પાણી ભરાયા બાદ કુલ 1.86 મેટ્રિક ટન (એટલે કે 1,860 કિ.ગ્રા.) થશે. 8 ફૂટની ઊંચાઈ ધરાવતા આ કળશમાં સેન્સર અને રિમોટ કંટ્રોલ સિસ્ટમ બેસાડવામાં આવી છે. આ સિસ્ટમ દ્વારા માત્ર 3 મિનિટમાં જ પવિત્ર જળ શિખર પર પ્રક્ષાલિત થશે. મંદિરની બહાર ઉભી રાખવામાં આવેલી 90 મીટર ઊંચી ક્રેન દ્વારા આ વિશાળ કુંભને મંદિરના શિખર સુધી લઈ જવામાં આવશે.
દક્ષિણ ભારતની પરંપરા હવે સોમનાથમાં
સામાન્ય રીતે દેશના દક્ષિણના રાજ્યોમાં દર 10-12 વર્ષે મંદિરના શિખર પર અભિષેક કરીને શુદ્ધિકરણ કરવાની પરંપરા છે. જોકે, પુનઃનિર્મિત સોમનાથ મંદિરના ઈતિહાસમાં પ્રથમવાર આ પ્રકારે શિખર પર કુંભાભિષેક કરવામાં આવશે. આ ભવ્ય આયોજન માર્ગ અને મકાન વિભાગના સચિવ પી.આર. પટેલિયા અને તેમની ટીમની દેખરેખ હેઠળ સંપન્ન થઈ રહ્યું છે.


