ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રી સમક્ષ કરી રજૂઆત
આ સમગ્ર સ્થિતિને ધ્યાનમાં રાખીને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સહાય પહોંચાડવાની માગ કરી છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે અનેક ગામોમાં પાણી ભરાવાને કારણે લોકોનું ભારે આર્થિક નુકસાન થયું છે. ઘરવખરી, અનાજ તેમજ અન્ય આવશ્યક સામાન પાણીમાં બગડી ગયો છે. સાથે જ ખેતરોમાં પાણી ભરાતા લીલા અને સુકા ઘાસચારાની અછત સર્જાઈ છે, જેના કારણે પશુપાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે.
અસરગ્રસ્ત ગામોમાં સર્વે અને સહાયની માગ
ધારાસભ્યે સરકારને અસરગ્રસ્ત ગામોમાં તાત્કાલિક સર્વે હાથ ધરી નુકસાનનું મૂલ્યાંકન કરવાની અને યોગ્ય સહાય ચૂકવવાની માંગ કરી છે. ઉપરાંત જ્યાં પાણી ભરાયા છે ત્યાં પાણીના નિકાલની વ્યવસ્થા કરવા, વરસાદથી નુકસાન પામેલા રસ્તાઓનું ઝડપથી સમારકામ કરવા અને જ્યાં વીજ પુરવઠો ખોરવાયો છે ત્યાં વહેલી તકે વીજ સેવા પુનઃસ્થાપિત કરવાની પણ રજૂઆત કરી છે.
સમી તાલુકાના વાહેદપુરા ગામે તળાવ ફાટતા પાણી ઘૂસ્યા
સમી તાલુકાના વાહેદપુરા ગામમાં ભારે વરસાદ બાદ તળાવ ફાટતાં સ્થિતિ વધુ ગંભીર બની હતી. તળાવનું પાણી ગામમાં ફરી વળતાં અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયું હતું. સ્થાનિક લોકોએ 'ગુજરાત ફર્સ્ટ' સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું કે ઘરનો માલસામાન સંપૂર્ણપણે પાણીમાં બગડી ગયો છે. સુરક્ષાના ભાગરૂપે અસરગ્રસ્ત પરિવારોને પ્રાથમિક શાળામાં ખસેડવામાં આવ્યા હતા. જોકે સમયસર યોગ્ય કાર્યવાહી ન થવાનો આક્ષેપ કરતાં લોકોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો.
સાંતલપુરમાં કોઝવે પર પાણી, ટ્રક તણાતો વીડિયો વાયરલ
સાંતલપુર તાલુકાના લોદરા ગામ નજીક આવેલા કોઝવે પર વરસાદી પાણી ફરી વળતાં વાહનવ્યવહાર પર ગંભીર અસર પડી હતી. કોઝવે પરથી પસાર થવાનો પ્રયાસ કરતી ખોળ અને પાપડી ભરેલી એક ટ્રક ધસમસતા પાણીના પ્રવાહમાં પલટી મારી તણાઈ ગઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો હતો. કોઝવે પર પાણી ફરી વળતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને ઘણા વાહનોને લાંબો સમય રાહ જોવી પડી હતી.
હારીજ પોલીસ બની શ્રમિકોનો સહારો
બીજી તરફ હારીજ શહેરમાં વરસાદના કારણે રોજ મજૂરી કરીને ગુજરાન ચલાવતા શ્રમિકોની મુશ્કેલીઓ વધી હતી. આવી સ્થિતિમાં હારીજ પોલીસ માનવતાનું ઉત્તમ ઉદાહરણ બની સામે આવી હતી. વાડી વસાહતમાં પહોંચી પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. મહેરિયાએ શ્રમિકો માટે ભોજનની વ્યવસ્થા કરી હતી. પોલીસની આ સરાહનીય કામગીરીથી શ્રમિકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. સાથે જ PI એ.બી. મહેરિયાએ કોઈપણ મુશ્કેલી પડે તો પોલીસનો સંપર્ક કરવાની અપીલ કરી હતી તેમજ શ્રમિકોને પોતાના બાળકોને શિક્ષણથી વંચિત ન રાખવા અનુરોધ કરતાં જણાવ્યું હતું કે શિક્ષણ જ ગરીબી દૂર કરવાનો સૌથી અસરકારક માર્ગ છે.
આ પણ વાંચોઃ Kheda જીલ્લામાં વરસાદ બાદ પણ જળબંબાકારની સ્થિતિ, હજારો વિઘા ખેતરો પાણીમાં ગરકાવ, ખેડૂતોને મોટું નુકસાન