Patan News: પાટણ શહેરમાં વ્યાજખોરોના આતંકનો એક અત્યંત ચોંકાવનારો અને માનવતાને શરમાવે તેવો કિસ્સો સામે આવ્યો છે. માત્ર ઘરખર્ચ માટે પાડોશી પાસેથી ઉછીના લીધેલા 5 હજાર રૂપિયા ચૂકવવા માટે મુદત માંગનાર 35 વર્ષીય પિંકીબેન પટણીની વ્યાજખોરે ક્રૂર હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ભારે આક્રોશ ફેલાયો છે.
Patan માં વ્યાજખોરીનો ખૌફનાક ચહેરો આવ્યો સામે
મૃતક પિંકીબેન પટણીએ આર્થિક તંગીના કારણે પાડોશમાં રહેતા બાબુભાઈ રાવળ પાસેથી વ્યાજે નાણાં લીધા હતા. આ 5 હજાર રૂપિયા પરત કરવા માટે પિંકીબેને વ્યાજખોર બાબુભાઈ પાસે થોડી વધુ મુદત માંગી હતી. જોકે, પૈસાની ઉઘરાણી બાબતે થયેલી રકઝક દરમિયાન આરોપી બાબુભાઈ રાવળે માનવતાની તમામ મર્યાદાઓ ઓળંગીને પિંકીબેન પર જ્વલનશીલ પ્રવાહી છાંટીને દીવાસળી ચાંપી દીધી હતી.
સારવાર દરમિયાન મોત અને પોલીસ તપાસ
આ અમાનવીય ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા પિંકીબેનને તાત્કાલિક સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. મૃત્યુ પૂર્વે પિંકીબેને આપેલા 'ડાઇંગ ડિકલેરેશન' (મૃત્યુ પૂર્વેના નિવેદન) ના આધારે પાટણ પોલીસે આરોપી બાબુભાઈ રાવળ સામે અગાઉ નોંધાયેલા ગુનામાં હવે હત્યાની કલમનો ઉમેરો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં આરોપી બાબુ રાવળ પોતે પણ અંદાજે 40 ટકા જેટલો દાઝી ગયો હોવાનું સામે આવ્યું છે.
સમાજ અને તંત્ર સામે ગંભીર સવાલો
વ્યાજખોરોનો આતંક આખરે ક્યારે અટકશે?
શું નજીવી રકમ માટે કોઈના જીવની કોઈ કિંમત નથી?
શું વ્યાજખોરોને કાયદાનો ડર જ નથી રહ્યો?
ગરીબની મજબૂરીનો ફાયદો ઉઠાવનાર આવા હેવાનોને ક્યારે કડક સજા મળશે?
પોલીસ દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ કરવામાં આવી રહી છે. સમગ્ર રાજ્યમાં આ ઘટનાની ગંભીર નોંધ લેવાઈ છે અને વ્યાજખોરો સામે કડક પગલાં ભરવાની માંગ પ્રબળ બની છે.
આ પણ વાંચો: Ambaji Controversy News: "મંજૂરી આપવી કે નહીં તે ટ્રસ્ટ નક્કી કરશે, હક્ક દાવો ન થઈ શકે" અંબાજી રાત્રિ પૂજા વિવાદ પર હાઇકોર્ટ