શું હતી સમગ્ર ઘટના?
ઘટનાની વિગત એવી છે કે, હાજીપુર ગામે દેવીપૂજક જ્ઞાતિના એક યુવકના લગ્ન હતા. આનંદ અને ઉત્સાહ સાથે વરઘોડો નીકળ્યો હતો, જે ગામના એક વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે અચાનક સ્થાનિક શખ્સોએ હુમલો (Attack) કરીને વરઘોડો રોકી દીધો હતો. હુમલાખોરોએ "અમારા વિસ્તારમાંથી વરઘોડો કેમ કાઢ્યો?" તેવા પ્રશ્ન સાથે જાનૈયાઓ પર લાકડીઓ અને પથ્થરોથી હુમલો કરી દીધો હતો. આ ઘટનાને કારણે ખુશીનો માહોલ ક્ષણવારમાં ભય અને અફરાતફરીમાં ફેરવાઈ ગયો હતો.
વરરાજા અને પરિવારજનો પર ઘાતક હુમલો
આરોપ છે કે, હુમલાખોરોએ ઘોડા પર સવાર વરરાજાને નીચે પાડી દઈને તેમની સાથે મારપીટ કરી હતી. હુમલાખોરોની આટલી હિંમત વધી ગઈ હતી કે તેમણે વરરાજાનો કિંમતી શૂટ પણ ફાડી નાખ્યો હતો. આ હંગામા દરમિયાન પરિવારના સોનાના દાગીના પણ ખોવાયા હોવાની વાત સામે આવી છે. એટલું જ નહીં, વરરાજાને બચાવવા માટે વચ્ચે પડેલા તેમના માતા, કાકા અને કાકીને પણ હુમલાખોરોએ નિર્દયતાથી માર માર્યો હતો.
જ્ઞાતિસૂચક અપશબ્દો અને જાનથી મારવાની ધમકી
પીડિત પરિવારે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હુમલાખોરોએ માત્ર મારપીટ જ નથી કરી, પરંતુ જ્ઞાતિસૂચક અપશબ્દો બોલીને સમગ્ર જ્ઞાતિનું અપમાન કર્યું છે. હુમલાખોરોએ જાનૈયાઓને જાહેરમાં હડધૂત કરી ગંભીર પરિણામો ભોગવવાની અને જાનથી મારી નાખવાની ધમકી (Death Threat) પણ આપી હતી, જેના કારણે સમગ્ર પંથકમાં ભયનું વાતાવરણ ફેલાયું છે.
તારક ઠાકોરનું નિવેદન: "આ આખા સમાજની ભૂલ નથી"
આ ઘટના બાદ ઠાકોર સમાજના અગ્રણી તારક ઠાકોરે આ હિંસાને અમાનવીય ગણાવી છે. તેમણે જણાવ્યું કે, "હું મારા સમાજ વતી દેવીપૂજક સમાજના યુવાન અને તેમના સમગ્ર પરિવારની દિલથી માફી મગુ છું. એક ક્તિઓની ભૂલ માટે આખો ઠાકોર સમાજ જવાબદાર નથી. સમાજને ખોટી રીતે જોવામાં ન આવે. જેણે આ ગુનો કર્યો છે, તેને કાયદેસરની કડકમાં કડક સજા થવી જ જોઈએ."
પોલીસ કાર્યવાહી: 5 શખ્સો સામે ગુનો દાખલ
પીડિત પરિવારે બાલીસણા પોલીસ મથકે (Balisana Police Station) તાત્કાલિક ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગંભીરતા દાખવીને 5 સ્થાનિક શખ્સો રામુજી ઠાકોર, સંજયજી ઠાકોર, મેહુલજી ઠાકોર, રાહુલજી ઠાકોર અને કૌશીકજી ઠાકોર વિરુદ્ધ નામજોગ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Patan: હાજીપુરમાં વરઘોડા પર હુમલો, વરરાજાને ઘોડા પરથી નીચે પછાડી માર માર્યો, જાણો સમગ્ર મામલો