Acharya Devvrat in Gondal: રાજ્યપાલે દલિત પરિવારના ઘરે સાત્વિક ભોજન કરીને આપ્યો સમરસતાનો સંદેશ, પ્રાકૃતિક કૃષિ અપનાવવા કર્યું આહ્વાન
- રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની (Acharya Devvrat) હૃદયસ્પર્શી ગોંડલ ( Gondal) મુલાકાત
- પ્રાકૃતિક કૃષિ અને સમરસતાનો આપ્યો સંદેશ
- રાજ્યપાલે દલિત પરિવાર સાથે કર્યું ભોજન
- પ્રાકૃતિક કૃષિ અપનાવવા કર્યું આહ્વાન
Acharya Devvrat in Gondal: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ (Acharya Devvrat) ગોંડલ ( Gondal) તાલુકાના લુણીવાવ ગામ ખાતે રાત્રી સભામાં ગ્રામજનોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહવાન કર્યું હતું. આ સાથે તેમણે ઊંચનીચના ભેદ ભુલાવીને સામાજિક સમરસતા જાળવવા તથા યુવાનોને વ્યસન મુક્ત બનવા તેમજ ભાવિ પેઢીને સશક્ત બનાવવા બાળકોનો કાળજીપૂર્વક ઉછેર કરવા પ્રેરણા આપી હતી.
રાજ્યપાલે ઝેરમુકત ખેતી થકી ધરતી માતાની સેવા કરવા કર્યું આહ્વાન
લુણીવાવના ગ્રામજનો સાથે સંવાદ કરતા રાજ્યપાલએ ઝેરમુકત ખેતી થકી ધરતી માતાની સેવા કરવા આહ્વાન કરતા કહ્યું હતું કે, આવનારી ભાવિ પેઢીને ફળદ્રુપ જમીનનો વારસો આપવો એ આપણી ફરજ છે. પ્રાકૃતિક ખેતી કરવાથી પર્યાવરણ, પાણી, ગૌમાતા અને દેશનું ધન બચશે.
ઊંચનીચના ભેદ ભુલાવીને તેમણે ભાઈચારો રાખવા જણાવ્યું
તેમણે કહ્યું હતું કે, આ સમાજ આપણા શરીર જેવો હોય છે. શરીરના તમામ અંગો મહત્વના હોય છે તેમ સમાજમાં પણ દરેક વ્યક્તિ મહત્વની છે. ઊંચનીચના ભેદ ભુલાવીને તેમણે ભાઈચારો રાખવા અને સામાજિક સમરસતા કાયમ બની રહે તે માટે પ્રેરણા આપી હતી. તેમણે દીકરો-દીકરી એક સમાન હોવાનું જણાવીને દીકરીઓને શિક્ષિત કરવા પર ભાર મૂક્યો હતો.
વ્યસનમુક્ત સમાજ નિર્માણ ઉપર મૂક્યો ભાર
રાજયપાલ આચાર્ય દેવવ્રતએ ભાવિ પેઢીના ઉદ્ધાર માટે વ્યસનમુક્ત સમાજ નિર્માણ ઉપર ભાર મૂકતા કહ્યું હતું કે, યુવાનો એ ઘરની સાથે રાષ્ટ્રનું પણ ભવિષ્ય છે. યુવાનોને ખરાબ આદત ના લાગે અને વ્યસનમુક્ત રહે તે જરૂરી છે. ભાવિ પેઢીને સશક્ત અને સંસ્કારી બનાવવા બાળકોનો ઉછેર કાળજીથી કરવો જોઈએ.
પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે સંકલ્પબદ્ધ થવા આહવાન
આ તકે તેમણે ગામના ખેડૂતોને રાસાયણિક ખેતીને જાકારો આપીને પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે સંકલ્પબદ્ધ થવા આહવાન કર્યું હતું.
ગામમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો
રાજ્યપાલ આગમન પ્રસંગે ગામમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેનો 1473 લોકોએ લાભ લીધો હતો. રાજ્યપાલના હસ્તે વિવિધ નાગરિકોને યોજનાકીય સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.
ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
આ રાત્રિ સભામાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, જિલ્લા કલેકટર ડૉ. ઓમ પ્રકાશ, રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જર, ગામના સરપંચ રાજેશભાઈ રૂપારેલીયા તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ લુણીવાવમાં અનુસૂચિત જાતિના પરિવારનું આતિથ્ય માણ્યું
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ લુણીવાવ ગામે અનુસૂચિત જાતિના પરિવાર સાથે રાત્રી ભોજન ગ્રહણ કર્યું હતું. રાજ્યપાલએ ગામના જેન્તીભાઈ પરમારના ઘરે પરિવારના સભ્યની જેમ રોટલા, રોટલી, બટેટા, ગાજર, વાલ, લીલી તુવેરનું મિક્સ શાક, દાળ-ભાત, ગોળ, પાપડનું સાદું, સાત્વિક ભોજન આરોગ્યું હતું. આ તકે તેમણે ખૂબ સહજતાથી વડીલ ભાવે આ પરિવારના સભ્યોની પૃચ્છા કરી હતી. તેમણે પરિવારના બાળકોના અભ્યાસ વિશેની વિગતો મેળવી, શિક્ષણ અને સંસ્કારની મહત્તા જણાવી હતી. તેમજ ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.
અહેવાલ: વિશ્વાસ ભોજાણી


