Rajkot murder News: યુવરાજસિંહ જાડેજાની ક્રૂર હત્યા, એક અઠવાડિયામાં બન્યો બીજો બનાવ
- Rajkot ના પડધરી તાલુકામાં વધુ એક હત્યાથી ચકચાર
- એક અઠવાડિયામાં હત્યાની બીજી ઘટના સામે આવી
- ખાખડાબેલા ગામે 40 વર્ષીય યુવરાજસિંહ જાડેજાની હત્યા
- તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો
- લોહીલુહાણ હાલતમાં રસ્તા પરથી મૃતદેહ મળી આવ્યો
- હત્યાને લઈ પડધરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી
Rajkot Paddhari murder News: રાજકોટ (Rajkot) જિલ્લાના પડધરી (Paddhari) તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ વધુ એક સનસનાટીભરી હત્યાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પડધરી તાલુકામાં માત્ર એક જ અઠવાડિયાના ટૂંકા ગાળામાં હત્યાનો આ બીજો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેને પગલે સ્થાનિક રહીશોમાં ભય સાથે ફફડાટ વ્યાપી ગયો છે.
Rajkot ના પડધરી તાલુકામાં વધુ એક હત્યાથી ચકચાર
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, પડધરી તાલુકાના ખાખડાબેલા ગામના વતની 40 વર્ષીય યુવરાજસિંહ જાડેજાની ગત રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. ખાખડાબેલા ગામ તરફ જવાના રસ્તા પર યુવરાજસિંહનો મૃતદેહ તેમની જ કાર પાસે લોહીલુહાણ હાલતમાં પડ્યો હોવાની જાણ સ્થાનિક લોકોને થઈ હતી. કોઈ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને તેમને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હોવાના દ્રશ્યો જોઈને ગ્રામજનો ચોંકી ઉઠ્યા હતા અને તાત્કાલિક ધોરણે પોલીસને આ અંગે માહિતગાર કરવામાં આવી હતી.
પડધરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી
ઘટનાની માહિતી મળતા જ પડધરી પોલીસની ટીમ તાબડતોબ સ્થળ પર દોડી ગઈ હતી અને લોહીથી લથપથ મૃતદેહનો કબજો સંભાળીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. કોઈ અજાણ્યા શખ્સો આ ગંભીર ગુનાને અંજામ આપીને નાસી છૂટ્યા હોવાની પ્રાથમિક વિગતો સાથે પોલીસે ગુનો નોંધી હત્યારાઓને પકડવા માટે અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જો કે, એક જ સપ્તાહમાં ડબલ મર્ડરની ઘટનાઓથી સ્થાનિકોમાં પડધરી પોલીસની નિષ્ક્રિયતા અને પેટ્રોલિંગ સામે ગંભીર સવાલો અને ચર્ચાઓ ઊઠી રહ્યા છે.


