Rajkot : અટલ સરોવરમાં ફરતા ચકડોળમાં 5 લોકો ફસાયા! ઓપરેટર રાઇડ બંધ કરી ઘરે ચાલ્યો ગયો અને પછી...
- Rajkot થી એક ચોંકાવનારી ઘટના સામે આવી
- અટલ સરોવરમાં ફરતા ચકડોળમાં એક જ પરિવાર ફસાયો
- પરિવારના પાંચ સભ્યો 100 ફૂટ ઉંચે ફસાઈ ગયો હતો
- ઓપરેટરે રાઇડ બંધ કરી ઘરે ચાલ્યો ગયો અને પરિવાર ફસાયેલો રહ્યો
- 100 ફૂટ ઉપર રડતો પરિવાર, ઓપરેટર ઘરે પહોંચી ગયો!
- એક જ પરિવારના 5 સભ્યો ચકડોળમાં ફસાયા, સુરક્ષાનો ભંગ
- ફાયર વિભાગે 100 ફૂટથી 5 લોકોને સુરક્ષિત ઉતાર્યા
- અટલ સરોવર કોન્ટ્રાક્ટરની બેદરકારી પર સવાલ
Rajkot : રાજકોટમાં સમયાંતરે કોઇને કોઇ એવી ઘટનાઓ બને છે જે સૌ કોઇને ચોંકાવી દે છે. હજું ગેમઝોન અગ્નિકાંડને લોકો ભૂલ્યા પણ નથી અને તંત્ર એકવાર ફરી નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં અટલ સરોવર ખાતે બનેલી એક ચોંકાવનારી ઘટનાએ ફરી મહાનગર પાલિકા સંચાલિત રાઇડ્સની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. રવિવારે સાંજે અહીં એક પરિવાર ચકડોળમાં લગભગ 100 ફૂટની ઊંચાઈએ ફસાયા હતો. જાણકારી મુજબ રાઇડનો ઓપરેટર ચકડોળ બંધ કરીને સીધો ઘરે ચાલ્યો ગયો હતો. આ ગંભીર બેદરકારીના કારણે અટલ સરોવરમાં મોટો હોબાળો મચી ગયો હતો.
ખુલ્લી પડી ઓપરેટરની ઘોર બેદરકારી
આ ઘટના રવિવારે સાંજે બની હતી. એક પરિવારના 5 સભ્યો અટલ સરોવરમાં ફરવા માટે આવ્યા હતા, જ્યા તેઓ ચકડોળમાં બેસીને મજા માણી રહ્યા હતા. રાઇડ પૂરી થયા બાદ ઓપરેટરે નિયમ મુજબ ચકડોળ બંધ કર્યું અને લાઇટ-ફેન બધું બંધ કરીને પોતાનું કામ પૂરું થયું તેમ માનીને ઘરે જવા રવાના થઈ ગયો. દરમિયાન ઓપરેટરે એ પણ તપાસ કરી નહીં કે તમામ કેબિન ખાલી થઈ ગઈ છે કે કેમ. પરિણામે, એક કેબિનમાં ફસાયેલા 5 લોકો લગભગ 100 ફૂટની ઊંચાઈએ અધવચ્ચે લટકી રહ્યા હતા. 100 ફૂટની ઉંચાઇએ ફસાયેલા પરિવારના સભ્યો મદદ માટે બૂમો પાડતા રહ્યા, પરંતુ ઓપરેટર ત્યાં સુધીમાં ગેટ બહાર નીકળી ગયો હતો. મળી રહેલી માહિતી અનુસાર, અટલ સરોવરના સિક્યોરિટી ગાર્ડ્સના ધ્યાનમાં આ બૂમો આવતાં, તેમણે તાત્કાલિક ઓપરેટરનો સંપર્ક કર્યો અને તેને પાછો બોલાવ્યો. સાથે જ, તેમણે ફાયર બ્રિગેડને ઘટનાની જાણ કરી.
ફાયર વિભાગની સમયસર કામગીરી
મામલો ગંભીર હોવાથી ફાયર વિભાગની ટીમ ઝડપથી ઘટનાસ્થળે પહોંચી હતી. તેમણે તાત્કાલિક લેડર (સીડી)ની મદદથી બચાવ કામગીરી શરૂ કરી. ફાયર વિભાગના જવાનોએ કુશળતાપૂર્વક કામગીરી કરીને 100 ફૂટની ઊંચાઈએ ફસાયેલા પાંચેય સભ્યોને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યા. સદભાગ્યે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, અને પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.
Rajkot | પરિવારને ચકડોળમાં બેસાડી ઓપરેટર ઘરે પહોંચી ગયો!, પૂછ્યું તો કહ્યું હું ભૂલી ગયો હતો | Gujarat First
100 ફૂટ ઉપર રડતો પરિવાર, ઓપરેટર ઘરે પહોંચી ગયો!
રાજકોટ અટલ સરોવરમાં ફરતા ચકડોળમાં એક પરિવાર ફસાયો
પરિવારના પાંચ સભ્યો 100 ફૂટ ઉંચે ફસાઈ ગયો હતો
ઓપરેટરે રાઇડ બંધ કરી… pic.twitter.com/yhPdCFzs6N— Gujarat First (@GujaratFirst) December 8, 2025
સુરક્ષા વ્યવસ્થા અને કોન્ટ્રાક્ટર પર સવાલો
આ ઘટનાએ અટલ સરોવરના સંચાલક કોન્ટ્રાક્ટરની બેદરકારી અને પાર્કની સુરક્ષા વ્યવસ્થા પર મોટા સવાલો ઊભા કર્યા છે. સૌથી મોટો સવાલ એ થાય છે કે એક જ પરિવારના 5 સભ્યો ઊંચાઈએ ફસાઇ જાય છે છતાં ઓપરેટરને ખબર પણ ન પડી. અહીં એ પણ સવાલ ઉભો થાય છે કે, રાઇડ શરૂ થતાં પહેલાં અને બંધ થયા પછી તેમાં બેઠેલા લોકોની ગણતરી કરવાની કેબિન-ટુ-કેબિન ચેક કરવાની જવાબદારી કોની છે? આટલી ઊંચાઈ પર રાઇડ અટકી જાય તો ઇમરજન્સી પાવર બેકઅપ અને ઉતારવાની વૈકલ્પિક વ્યવસ્થા કેમ નહોતી?
હોબાળા બાદ બેદરકાર ઓપરેટરને બરતરફ કરાયો
રાજકોટના અટલ સરોવરમાં 100 ફૂટની ઊંચાઈએ એક પરિવારને ફસાવીને જતા રહેલા ચકડોળના ઓપરેટરની ઘોર બેદરકારીને કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા હતા, જોકે ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોંચીને પરિવારને સુરક્ષિત નીચે ઉતાર્યો હતો. આ ઘટના બાદ જનતાના ઉગ્ર હોબાળાને પગલે ઓપરેટરને તાત્કાલિક નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. જોકે, માત્ર ઓપરેટરને બરતરફ કરવાથી આ ઘટનાનો અંત આવતો નથી; રાઇડની સુરક્ષા વ્યવસ્થાની દેખરેખ રાખનાર મુખ્ય કોન્ટ્રાક્ટર સામે કેવા પગલાં લેવાય છે, અને આવી બેજવાબદારી ભવિષ્યમાં ન રિપિટ થાય તે માટે શું ખાતરી આપવામાં આવે છે, તે અંગે અનેક ગંભીર સવાલો ઊભા થયા છે.
આ પણ વાંચો : Rajkot Civil Hospital: હોસ્પિટલના TB વોર્ડમાં આગની ઘટનામાં દર્દીનો જીવ ગયો


