Rajkot News: બાબા બાગેશ્વરના દિવ્ય દરબાર પહેલા વિવાદનો વંટોળ, પુરુષોતમ પીપળીયાને મળી ધમકી
Rajkot News: રાજકોટમાં આગામી 5, 6 અને 7 જૂનના રોજ બાબા બાગેશ્વર ઉર્ફે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ છે, પરંતુ બીજી તરફ કાર્યક્રમના આયોજન અને બાબાની કાર્યપદ્ધતિ પર સવાલ ઉઠાવનાર લોકો પણ સક્રિય થયા છે. આ ઘટનાક્રમ વચ્ચે કાર્યક્રમ પહેલા જ વિવાદે જોર પકડ્યું છે, જેમાં હવે ધમકીઓનો સિલસિલો શરૂ થતા પોલીસ તંત્ર પણ સતર્ક બન્યું છે.
પુરુષોતમ પીપળીયાને મળી ધમકી
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારનો વિરોધ કરનાર અને સતત સવાલો ઉઠાવનાર જાણીતા સામાજિક કાર્યકર પુરુષોતમ પીપળીયાને ધમકી આપવામાં આવી છે. તેમને કથિત રીતે ધમકીભર્યા મેસેજ અને ફોન કોલ્સ મળ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે રાજકોટના સામાજિક અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. કાર્યક્રમના આયોજકો અને વિરોધ કરનાર પક્ષો સામસામે આવી જતા વાતાવરણ તંગ બન્યું છે.
સોશિયલ મીડિયા પર વળતો પ્રહાર
ધમકી મળ્યા બાદ પુરુષોતમ પીપળીયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી ધમકી આપનારાઓને જવાબ આપ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું છે કે, "ભલે હું શારીરિક રીતે અશક્ત છું, પરંતુ માનસિક રીતે અત્યંત સશક્ત છું." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "ધર્મના નામે થતા ધતિંગ અને અંધશ્રદ્ધાના વિરોધ માટે મને કોઈ રોકી શકશે નહીં."
આ પણ વાંચોઃ Rajkot News: હથોડીના ઘા ઝીંકી પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી, પતિ શા માટે બન્યો હત્યારો?


