Rajkot: ધોરાજીની શાળામાં શિક્ષકની ક્રૂરતા, માસૂમ વિદ્યાર્થીને લાકડીના ફટકા માર્યા!
- Student beaten in Rajkot: શાળામાં શિક્ષક બન્યો ઘાતકી
વિદ્યાના ધામમાં શિક્ષકે માસૂમને કર્યો લોહિલુહાણ!
વર્ગખંડમાં વાતો કરવા જેવી સામાન્ય બાબતે ક્રૂરતા
Student beaten in Rajkot: રાજકોટ જિલ્લાના ધોરાજી (Dhoraji) પંથકમાંથી માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. અહીંની એક શાળામાં ધોરણ-5 માં અભ્યાસ કરતા માસૂમ વિદ્યાર્થી રોનક (Ronak) ને તેના જ શિક્ષક પ્રશાંત ગઢીયા (Prashant Gadhiya) દ્વારા અત્યંત નિર્દયતાપૂર્વક માર મારવામાં આવ્યો હોવાનો સનસનીખેજ આરોપ લાગ્યો છે. મળતી માહિતી મુજબ, વર્ગખંડમાં માત્ર વાતો કરવા જેવી સામાન્ય બાબતે શિક્ષકે પિત્તો ગુમાવ્યો હતો અને માસૂમ બાળક પર લાકડી વડે હુમલો કર્યો હતો.
Student beaten in Rajkot: 'કોઈને કહીશ તો ફરી મારીશ'
આરોપી શિક્ષક પ્રશાંત ગઢીયાએ આવેશમાં આવીને બાળકના માથાના ભાગે લાકડીના સપાટા માર્યા હતા, જેના કારણે બાળકને ગંભીર ઈજા થઈ હતી અને માથામાંથી લોહી વહેવા લાગ્યું હતું. આ જોઈ ગભરાયેલા શિક્ષકે પોતાની ભૂલ સ્વીકારવાને બદલે પાપ પર ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કર્યો હતો. શિક્ષકે પોતે જ બાળકનું માથું ધોવડાવ્યું હતું જેથી લોહીના ડાઘા છુપાવી શકાય. એટલું જ નહીં, માસૂમ રોનકને ધમકાવતા કહ્યું હતું કે, "જો તું ઘરે જઈને આ વિશે વાત કરીશ, તો તને બીજી વાર મારીશ."
આચાર્યનો લૂલો બચાવ
બાળક જ્યારે ઈજાગ્રસ્ત હાલતમાં ઘરે પહોંચ્યું ત્યારે તેની માતાએ સત્ય જાણી તાત્કાલિક તેને સરકારી હોસ્પિટલ (Government Hospital) માં સારવાર અર્થે ખસેડ્યો હતો. બીજી તરફ, શાળાના આચાર્ય સંદીપ સાવલિયા (Sandeep Savaliya) આ ગંભીર ગુનામાં શિક્ષકનો પક્ષ લેતા જોવા મળ્યા હતા. આચાર્યએ એવો લૂલો બચાવ કર્યો કે શિક્ષકે માફી માંગી લીધી છે અને આ બાબતે સમાધાન થઈ ગયું છે. જોકે, માસૂમ બાળકનું લોહી વહાવ્યા બાદ માત્ર માફીથી વાત પતી જાય તે બાબતે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સવાલોના ઘેરામાં શિક્ષણ જગત
આ ઘટનાએ શિક્ષણ જગતની ગરિમા પર અનેક સવાલો ઉભા કર્યા છે. શું શિક્ષાના ધામમાં બાળકો સુરક્ષિત છે? સામાન્ય વાતચીત માટે લાકડી વડે માથામાં ફટકા મારવા તે કેટલી હદે વ્યાજબી છે? આચાર્ય દ્વારા શિક્ષકને બચાવવાનો પ્રયાસ કરવો તે પણ એક મોટો ગુનો ગણાય. વાલીઓ હવે આ ઘાતકી શિક્ષક સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહીની માંગ કરી રહ્યા છે જેથી ભવિષ્યમાં કોઈ અન્ય માસૂમનો ભોગ ન લેવાય.
આ પણ વાંચોઃ Mahisagar: શિક્ષણ કે અંધશ્રદ્ધા? બાલાસિનોરની પીએમ શ્રી શાળાના વિદ્યાર્થીઓનો ધૂણતો વીડિયો વાયરલ
આ પણ વાંચોઃ Ahmedabad: મહારાષ્ટ્રની જેલમાં બંધ પતિને છોડવવા પત્ની પાસેથી 6 લાખ પડાવ્યા, ઠગાઈ કરનાર નકલી પોલીસની ધરપકડ


