Babesia Virus: 900 સિંહને બેબીસીયા વાયરસથી બચાવવા 300 અધિકારીઓ મેદાને, જાણો વન વિભાગનો 'પ્લાન'
- બેબેસિયા વાયરસ (Babesia Virus) ના ખતરા સામે વન વિભાગ એલર્ટ
- 900 સિંહોના સ્વાસ્થ્ય માટે 300 અધિકારીઓ તૈનાત
- જામવાળા, જસાધાર અને બાબરીયા રેન્જમાં તપાસ તેજ
- શંકાસ્પદ લક્ષણો ધરાવતા 15 સિંહો સારવાર હેઠળ
- સિંહબાળો પર સૌથી વધુ જોખમ હોવાથી વિશેષ ધ્યાન અપાઈ રહ્યું છે
Babesia Virus News: ગીરના જંગલમાં એશિયાટિક સિંહો માટે જીવલેણ ગણાતા 'બેબીસીયા' (Babesia) વાયરસના ખતરાને લઈને વન વિભાગ અત્યંત સતર્ક બન્યું છે. જંગલમાં વસતા આશરે 900 જેટલા સિંહોને આ રોગચાળાથી સુરક્ષિત રાખવા માટે વન વિભાગે યુદ્ધના ધોરણે મોનિટરિંગ અને સારવારની કામગીરી શરૂ કરી છે.
Babesia Virus સામે સિંહોની સુરક્ષા માટે વન વિભાગનો 'મેગા પ્લાન'
ધારી ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વન વિભાગમાં સિંહોને 'બેબીસિયા' વાયરસનો ખતરો હોવાથી વન વિભાગ કામે લાગ્યું છે.વન વિભાગ દ્વારા સિંહોના સ્વાસ્થ્ય પર ચાંપતી નજર રાખવા માટે 300 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓની વિશેષ ટીમ તૈનાત કરવામાં આવી છે. આ ટીમ જંગલ વિસ્તારમાં ચોવીસ કલાક સક્રિય રહીને સિંહોની હિલચાલ અને તેમના સ્વાસ્થ્યનું સતત નિરીક્ષણ કરી રહી છે.
સઘન સ્ક્રીનિંગ અને સેમ્પલિંગની કામગીરી
જંગલની કુલ 16 રેન્જમાં બેબેસિયા વાયરસના સંભવિત ફેલાવાને રોકવા માટે સેમ્પલિંગ અને સ્ક્રીનિંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ખાસ કરીને જામવાળા, જસાધાર અને બાબરીયા રેન્જમાં વન વિભાગ દ્વારા વિશેષ તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે આ વિસ્તારોમાં વાયરસનો ખતરો વધુ હોવાની આશંકા છે.
15 સિંહો ઓબ્ઝર્વેશન હેઠળ
સાવચેતીના ભાગરૂપે, સંક્રમણના લક્ષણો ધરાવતા અથવા નબળા દેખાતા આશરે 15 જેટલા સિંહોને તાત્કાલિક અસરથી જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલ આ સિંહોને તબીબી નિષ્ણાતોની દેખરેખ હેઠળ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે, જેથી સમયસર યોગ્ય સારવાર આપી શકાય.
સિંહબાળો પર સૌથી વધુ જોખમ
નિષ્ણાતોના મતે, બેબેસિયા વાયરસ સિંહબાળો માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. તેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાને કારણે તેમના પર આ વાયરસનો ખતરો સૌથી વધુ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને વન વિભાગે સિંહોના અલગ-અલગ ગ્રુપ પાડીને ચોકસાઈપૂર્વક મોનિટરિંગ કરવાનું શરૂ કર્યું છે, જેથી કોઈપણ સિંહબાળ સંક્રમિત ન થાય અને સમગ્ર વસ્તીને સુરક્ષિત રાખી શકાય.
વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી આ સઘન કામગીરીથી જંગલના રાજા ગણાતા સિંહોને આ ગંભીર રોગચાળામાંથી ઉગારી લેવાના શ્રેષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
8 વર્ષ જૂનો વાયરસ ફરી સક્રિય
લગભગ 8 વર્ષ પૂર્વે આ જ બેબીસીયા રોગચાળાએ ગીરના જંગલમાં હાહાકાર મચાવ્યો હતો, જેમાં 23 જેટલા સિંહોએ જીવ ગુમાવ્યા હતા. 2018 માં આ રોગચાળાને નિયંત્રિત કરવા માટે અમેરિકા (USA) થી ખાસ વેક્સિન (Vaccine) મંગાવવાની ફરજ પડી હતી. હવે ફરી એકવાર આ વાયરસના લક્ષણો દેખાતા વન વિભાગ (Forest Department) એલર્ટ મોડ પર આવી ગયું છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન મોનિટરિંગ હાથ ધરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Anand Cyber Crime News: આણંદ સાયબર ક્રાઈમની મોટી સફળતા, રૂ. 770 કરોડનું આંતરરાષ્ટ્રીય કૌભાંડ પકડાયું


