Rajkot: 'મામા ભાગી છૂટ્યા, ભાણેજ ફસાઈ ગયો', બિહારી યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો, જાણો
- Rajkot: ગોંડલના ભરૂડી GIDC પાસે બિહારી યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો
- મામાના પ્રેમ પ્રકરણની અદાવતમાં ભાણેજની ક્રૂર હત્યા
- પ્રોગ્રામના બહાને બોલાવી છરી અને પથ્થરના ઘા ઝીંકી ચંદનને મોત આપ્યું
- ગોંડલ પોલીસે મુખ્ય આરોપી રાકેશ સહિત કુલ 6 શખ્સોની ધરપકડ કરી
- પોલીસે BNS ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી
Rajkot: ગોંડલ તાલુકાના ભરૂડી GIDC પાસે ગત 17 ડિસેમ્બરના રોજ થયેલી બિહારી યુવાન ચંદનકુમાર (ChandanKumar) ની ઘાતકી હત્યા (Murder) ના કેસમાં પોલીસે સફળતા મેળવી છે. મામાના પ્રેમ પ્રકરણનો ખાર રાખીને ભાણેજની હત્યા કરનારા મુખ્ય આરોપી રાકેશ સહિત કુલ 6 શખ્સોને પોલીસે કલાકોના ગણતરીમાં જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આ હત્યા પાછળ ત્રિકોણીય પ્રેમ સંબંધ જવાબદાર હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.
શું હતો સમગ્ર મામલો?
મૂળ બિહારના બાંકા જિલ્લાના વતની લાલુકુમાર તપેસર રાઉતે નોંધાવેલી ફરિયાદ મુજબ મુખ્ય આરોપી રાકેશકુમારે 17 ડિસેમ્બર, 2025ના રોજ લાલુકુમાર, તેના 22 વર્ષીય ભાણેજ ચંદનકુમાર અને મિત્ર વિવેકકુમારને એક પ્રોગ્રામના બહાને બોલાવ્યા હતા. રાકેશ આ તમામને એક જ બાઈક પર બેસાડી ભરૂડી હાઈવે પાસે આવેલી એક અવાવરુ જગ્યાએ લઈ ગયો હતો. ત્યાં રાકેશના ભાઈઓ અને મિત્રો અગાઉથી જ ઘાટ ઘડીને બેઠાં હતા.
મામા ભાગી છૂટ્યા, ભાણેજ ફસાઈ ગયો
સ્થળ પર પહોંચ્યા બાદ નાસ્તો કરી રાકેશે લાલુ સાથે બોલાચાલી શરૂ કરી હતી. રાકેશના ભાઈ નવીનની પત્ની પ્રીતિ સાથે લાલુને પ્રેમસંબંધ હોવાની શંકા રાખી રાકેશે લાલુનો મોબાઈલ માંગ્યો હતો. આ દરમિયાન ઝઘડો ઉગ્ર બનતા આરોપીઓએ લાલુ પર હુમલો કર્યો હતો, પરંતુ લાલુ જીવ બચાવીને ત્યાંથી ભાગવામાં સફળ રહ્યો હતો. જોકે, તેનો ભાણેજ ચંદનકુમાર ત્યાં જ ફસાઈ ગયો હતો. ચંદને જ્યારે આરોપીઓનો પ્રતિકાર કર્યો અને "ક્યા કર લેગા તુ?" તેમ કહી પડકાર ફેંક્યો, ત્યારે આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ચંદન પર તૂટી પડ્યા હતા.
અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા
આરોપ છે કે રાકેશે ચંદનનું ગળું પકડી રાખ્યું હતું અને તેના પર છરીના ઉપરાઉપરી ઘા ઝીંક્યા હતા. અન્ય આરોપીઓએ પથ્થર અને બોથડ પદાર્થો વડે ચંદનને ઢોર માર માર્યો હતો. હુમલો એટલો ભયાનક હતો કે યુવાનના પેટના આંતરડા બહાર નીકળી ગયા હતા. ગંભીર હાલતમાં ચંદનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
Rajkot: પોલીસે 6 આરોપીને દબોચ્યા
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ગોંડલ તાલુકા પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી હતી. 20 જેટલા પોલીસ કર્મચારીઓની મદદથી ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી ગણતરીના કલાકોમાં તમામ 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં રાકેશ સુભાષ દરવે (મુખ્ય સૂત્રધાર), છોટેલાલ સુભાષ દરવે, નવીનકુમાર સરગુન મંડલ, છોટુકુમાર નરેશ મંડલ, ગણેશકુમાર ઉર્ફે ડમરૂ રાજપુત અને નિરજકુમાર ઉર્ફે ભાલુ ભગતનો સમાવેશ થાય છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે મુખ્ય આરોપી રાકેશને પણ તેના ભાભી સાથે પ્રેમસંબંધ હતો, જેના કારણે તેણે આ ખૂની ખેલ ખેલ્યો હતો.
પોલીસે શું કહ્યું?
ગોંડલ ડિવિઝનના DYSP કિશોર સિંહ ઝાલા દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હત્યાની તપાસ સંદર્ભે પોલીસ દ્વારા ગુનાના કામે વાપરવામાં આવેલી છરી તેમજ પથ્થર કબજે કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. મૃતક એક મહિના પૂર્વે જ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં કામકાજ અર્થે આવ્યો હોવાનું સામે આવ્યું છે. મૃતક ત્રણ બહેનોનો એકનો એક ભાઈ હોવાનું તેમજ અગાઉ પણ પોતે મજૂરી કામકાજ અર્થે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં કામકાજ કરતો હોવાનું પણ સામે આવ્યું છે. મૃતકને પેટના ભાગે તેમજ હાથ તેમજ પગના ભાગે છરી વડે ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. તેમજ પથ્થરના ઘા પણ ઝીંકવામાં આવ્યા હતા. ત્યારે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી તેમના રિમાન્ડની માગણી પણ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ Vadodara: વાઘોડિયા GIDC માં કંપનીમાં બનેલી દુર્ઘટના બાદ ધરણા, જાણો પરિવારે શું કરી માંગ?


