Rajkot: જનાના હોસ્પિટલે 20 દિવસના નવજાત શિશુને શ્વાસ લેતું કર્યું, જાણો
- Rajkot ની જનાના હોસ્પિટલે નવજાત શિશુને નવજીવન આપ્યું
- 20 દિવસના બાળકની જટિલ સર્જરી સફળ
- શ્વાસમાં અવરોધક દુર્લભ ગાંઠ દૂર કરાઈ
- માસૂમ બાળક હવે વેન્ટિલેટર વગર સુરક્ષિત
Rajkot: કહેવાય છે કે ડોક્ટર ભગવાનનું રૂપ હોય છે, અને આ ઉક્તિને રાજકોટની સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital) અંતર્ગત કાર્યરત જનાના હોસ્પિટલ (Janana Hospital) ના તબીબોએ સાબિત કરી બતાવી છે. માત્ર 20 દિવસના માસૂમ બાળક (Infant) ને જન્મજાત શ્વાસની તકલીફમાંથી મુક્તિ અપાવી તબીબોની ટીમે તેને નવજીવન બક્ષ્યું છે. મોઢાના ભાગે નેઝોફેરિંક્સમાં અત્યંત દુર્લભ ગાંઠ (Tumor) હોવા છતાં, તબીબોએ જટિલ સર્જરી પાર પાડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
Rajkot: ગંભીર હાલતમાં શિશુને દાખલ કરાયું હતુ
સામાન્ય રીતે બાળકનું પહેલું રુદન માતા-પિતા (Parents) માટે આનંદના સમાચાર લાવે છે, પરંતુ આ કિસ્સામાં બાળકની તકલીફ ચિંતાનો વિષય બની હતી. જન્મ સમયે માત્ર 1.8 કિલોગ્રામ વજન ધરાવતા આ નવજાત શિશુને જન્મથી જ શ્વાસ લેવામાં ભારે હાડમારી વેઠવી પડતી હતી. શરૂઆતમાં બાળકને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યું હતું. ત્યાં વારંવાર પ્રયાસો કરવા છતાં બાળક વેન્ટિલેટર વગર શ્વાસ લઈ શકતું નહોતું. અંતે, ગંભીર સ્થિતિને જોતા ગત 26 ડિસેમ્બરના રોજ બાળકને રાજકોટની જનાના હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ Rajkot: સિવિલ હોસ્પિટલના ન્યુરોસર્જન ઉપર હુમલો, 300 જેટલા ડોક્ટરો હડતાળ પર ઉતર્યા, જાણો સમગ્ર મામલો
માસૂમને ફીડિંગમાં પણ પડતી મુશ્કેલી
જનાના હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરોએ જ્યારે તપાસ હાથ ધરી ત્યારે જાણવા મળ્યું કે બાળક જ્યારે રડે છે ત્યારે તેના મોંની અંદરથી એક માંસલ ગાંઠ જેવો ભાગ બહાર આવતો હતો. આ ગાંઠ શ્વાસનળીના માર્ગમાં અવરોધ ઊભી કરતી હતી, જેના કારણે બાળક કુદરતી રીતે શ્વાસ લઈ શકતું નહોતું અને તેને ફીડિંગ (દૂધ પીવડાવવામાં) પણ તકલીફ પડતી હતી. પ્રાથમિક તપાસમાં આ કેસ ‘ઈસોફેજિયલ ફાઇબ્રો-વાસ્ક્યુલર પોલિપ’ હોવાની શંકા હતી. તપાસ કરતાં સ્પષ્ટ થયું કે ગાંઠ નેઝોફેરિંક્સ (નાક અને ગળાના જોડાણનો ભાગ) માંથી ઉદ્ભવી રહી હતી. 20 દિવસના બાળક માટે આ સ્થિતિ અત્યંત જોખમી હતી.
ઈમરજન્સી ઓપરેશન કરવાનો નિર્ણય લીધો!
પરિસ્થિતિની ગંભીરતાને સમજી પીડિયાટ્રિક સર્જન ડૉ. જયદીપ ગણાત્રા અને તેમની ટીમે તાત્કાલિક ઈમરજન્સી ઓપરેશન કરવાનો નિર્ણય લીધો. એનેસ્થેસિયા વિભાગના ડૉ. ધ્વની અને તેમની ટીમ માટે આટલા નાના અને ઓછા વજન ધરાવતા બાળકને બેભાન કરવું એ મોટો પડકાર હતો. જોકે, કુશળતાપૂર્વક સર્જરી પાર પાડવામાં આવી અને ગાંઠને મૂળમાંથી દૂર કરવામાં આવી. સર્જરી બાદ 24 કલાક બાળકને ઓબ્ઝર્વેશન હેઠળ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને વેન્ટિલેટર પરથી સફળતાપૂર્વક હટાવવામાં આવ્યું. હવે બાળક કોઈપણ મશીનરીના સહાય વગર શ્વાસ લઈ રહ્યું છે અને માતાનું દૂધ પણ પી શકવા સક્ષમ છે.
Rajkot તબીબ ટીમનું સરાહનીય કાર્ય
ટીમવર્ક અને માનવતાનો વિજય સિવિલના આર.એમ.ઓ. ડૉ. હર્ષદ દૂસરાએ જણાવ્યું કે આ સફળતા પાછળ પીડિયાટ્રિક હેડ ડૉ. પંકજ બુચ, ડૉ. મનાલી વિરપરિયા અને સમગ્ર ઓ.ટી. સ્ટાફનો સિંહફાળો છે. ખાનગી હોસ્પિટલોમાં લાખોનો ખર્ચ અને અનિશ્ચિતતા વચ્ચે સિવિલ હોસ્પિટલે નિઃશુલ્ક અને શ્રેષ્ઠ સારવાર આપીને એક મધ્યમવર્ગીય પરિવારના આંગણે ખુશીઓ પાછી લાવી છે.
અહેવાલઃ રહિમ લાખાણી
આ પણ વાંચોઃ Rajkot: 'તમારા દિકરાને DSP ની પરિક્ષામાં પાસ કરાવી દઈશ', નકલી IPS નીકળ્યો ફિલ્મ પ્રોડ્યુસર!


