Rajkot News: વડોદ ગામે બાબાસાહેબ આંબેડકરના બોર્ડને લઈને વિવાદ, દલિત આગેવાને કર્યો આત્મવિલોપનનો પ્રયાસ કર્યો
Rajkot News: જસદણના વડોદ (Vadod) ગામ ખાતે બાબાસાહેબ આંબેડકરના બોર્ડને હટાવવાની કાર્યવાહી મામલે મોટો વિવાદ સર્જાયો છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે તણાવની સ્થિતિ જોવા મળી છે. વિવાદ એટલો વકર્યો છે કે દલિત સમાજના આગેવાન રમેશભાઈ હમીરભાઈ ચાવડાએ ફીનાઈલ પીને આત્મવિલોપન (Self-immolation) કરવાનો પ્રયાસ કર્યો છે. તેમને તાત્કાલિક અસરથી 108 એમ્બ્યુલન્સ (Ambulance) દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
'જે જગ્યાએ બોર્ડ છે, ત્યાં જ રાખવામાં આવે'
મળતી જાણકારી અનુસાર છેલ્લા ઘણા સમયથી વડોદ ગામે બાબાસાહેબના બોર્ડને લઈને વિવાદ ચાલી રહ્યો છે. વડોદ ગ્રામ પંચાયત દ્વારા બાબાસાહેબનું બોર્ડ લગાવવા માટે અન્ય એક જગ્યા ફાળવવામાં આવી હતી, પરંતુ દલિત સમાજની માગ છે કે જે જગ્યાએ હાલમાં બોર્ડ છે, ત્યાં જ તેને યથાવત રાખવામાં આવે. આ બાબતે મામલતદાર અને ટીડીઓ ( TDO) દ્વારા આજે બોર્ડ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે આ કામગીરીનો દલિત સમાજે ઉગ્ર વિરોધ કર્યો છે.
દલિત સમાજના લોકો આકરા પાણીએ
દલિત સમાજના લોકોએ આકરા પાણીએ વિરોધ કરતા સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે, "બે ફૂટનું આ બોર્ડ નહીં હટે, ભલે અમારો જીવ જાય." આ ઘટનાને પગલે સ્થિતિ વણસતા જસદણ, આટકોટ, ભાડલા અને વીંછિયા સહિતના વિસ્તારોની પોલીસને ઘટનાસ્થળે બોલાવી લેવામાં આવી છે અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. વહીવટીતંત્ર અને દલિત સમાજ વચ્ચેની આ ખેંચતાણ હાલ ચર્ચાનો વિષય બની છે.


