Rajkot Mayor controversial Construction : મેયરના પતિનું બાંધકામ વિવાદમાં, શું RMC ચલાવશે બુલડોઝર?
- રાજકોટ: મેયરના પતિનું ગેરકાયદે બાંધકામ? નિયમોના ઉડ્યા ધજાગરા!
- સંત કબીર રોડ પર સૂચિત પ્લોટમાં નિયમ વિરુદ્ધ નિર્માણનો આક્ષેપ
- એક ફૂટ પણ માર્જિન છોડ્યા વગર બે માળનું કોમર્શિયલ બિલ્ડિંગ ખડકાયું
- PGVCL ના વીજ થાંભલાને અડકતી દીવાલ ઊભી કરાતા જોખમની ભીતિ
- વિપક્ષે બજેટ બોર્ડમાં અધિકારીઓની મિલીભગત સામે મચાવ્યો હોબાળો
Rajkot Mayor controversial Construction : રાજકોટ (Rajkot) શહેરમાં 'કાયદો બધા માટે સમાન' હોવાના દાવાઓ ત્યારે પોકળ સાબિત થતા જણાયા જ્યારે શહેરના પ્રથમ નાગરિક એટલે કે મેયરના પરિવાર સામે જ ગેરકાયદે બાંધકામના ગંભીર આક્ષેપો થયા. રાજકોટના સંત કબીર રોડ (Sant Kabir Road) પર આવેલી શિવ શક્તિ સોસાયટીમાં હાલમાં જે બાંધકામ ચાલી રહ્યું છે, તેણે આખા શહેરમાં ટાઉન પ્લાનિંગ (Town Planning) ના નિયમો અને સત્તાના દુરુપયોગ અંગે નવી ચર્ચા છેડી દીધી છે.
Rajkot Mayor controversial Construction : નિયમોના ધજાગરા અને જોખમી નિર્માણ
નંદુબાગ વિસ્તારમાં આવેલા એક કોર્નર પ્લોટ પર હાલ બે માળનું કોમર્શિયલ બાંધકામ (Commercial Construction) ચાલી રહ્યું છે. આ બાંધકામ ખુદ મેયર નયનાબેન પેઢડીયા (Nayanaben Pedhadiya) ના પતિ દ્વારા કરાવવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. ચોંકાવનારી બાબત એ છે કે, આ વિસ્તાર 'સૂચિત' (Proposed) શ્રેણીમાં આવે છે, જ્યાં નવા કોમર્શિયલ બાંધકામ પર કડક પ્રતિબંધ છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે, જીડીસીઆર (GDCR) ના નિયમોને નેવે મૂકીને અહીં એક ઇંચનું પણ માર્જિન (Margin) છોડવામાં આવ્યું નથી. એટલું જ નહીં, પીજીવીસીએલ (PGVCL) ના જીવંત વીજ થાંભલાને અડકતી દીવાલ ઊભી કરી દેવામાં આવી છે, જે ગમે ત્યારે મોટી હોનારતને આમંત્રણ આપી શકે છે.
Rajkot માં મેયર પરિવારના ગેરકાયદે બાંધકામનો વિવાદ | Gujarat First
મનપા મેયર હોવાથી અધિકારીઓ આંખ આડા કાન!
અમારી બાપ-દાદાની જ જગ્યા છે ખોટું કંઈ નથી: મેયર
હું 55 વર્ષથી સૂચિત મકાનમાં જ રહું છું: મેયર
ઈંપેક્ટ ફી ભરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે: મેયર
કોર્પોરેશનના નિયમોનું પાલન… pic.twitter.com/2cJgFcK9PB— Gujarat First (@GujaratFirst) February 18, 2026
મનપા બોર્ડમાં વિપક્ષનો હલ્લો
નાણાકીય વર્ષ 2026-27ના બજેટ (Budget Session) ને મંજૂરી આપવા માટે મળેલી જનરલ બોર્ડની બેઠકમાં આ મુદ્દે ભારે હોબાળો થયો હતો. વિપક્ષી નેતા વશરામ સાગઠીયા (Vashram Sagathiya) એ સીધો સવાલ કર્યો હતો કે, "જો સામાન્ય નાગરિકનું નાનું એવું દબાણ હોય તો તંત્ર બુલડોઝર લઈને પહોંચી જાય છે, તો મેયરના પતિના આ ગેરકાયદે બાંધકામ સામે અધિકારીઓ કેમ લાચાર છે?" વિપક્ષનો આક્ષેપ છે કે સત્તાના જોરે ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓએ જાણીજોઈને મૌન ધારણ કર્યું છે.
શાસક પક્ષમાં વિરોધાભાસી સૂર
આ સમગ્ર વિવાદમાં શાસક પક્ષમાં જ બે ફાટા જોવા મળ્યા છે. એક તરફ મેયર નયનાબેન દાવો કરી રહ્યા છે કે આ તેમની ખાનગી જમીન છે અને બધું નિયમ મુજબ છે. બીજી તરફ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર (Jaymin Thaker) એ જાહેરમાં સ્વીકાર્યું છે કે સૂચિત પ્લોટમાં બાંધકામની મંજૂરી મળી શકે નહીં અને ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે રાજકોટ મહાનગરપાલિકા (RMC) કાયદાનું પાલન કરાવે છે કે પછી સત્તા આગળ ઘૂંટણ ટેકે છે.
આ પણ વાંચો : Rajkot: ઇકો કાર સાથેની ટક્કર બાદ કારમાં શું એવું મળ્યું કે લોકો ચોંકી ગયા?


