Rajkot Crime news: સોશિયલ મીડિયા પર યુવતી તરીકેની ખોટી ઓળખ આપી સંબંધ બાંધવો એક યુવાનને ભારે પડ્યો છે. રાજકોટ ગ્રામ્યના શાપર-વેરાવળ વિસ્તારમાં રેલવે ટ્રેક નજીકથી મળેલી અજાણ્યા વ્યક્તિની કોહવાયેલી લાશનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે, સોશિયલ મીડિયા પર મિત્રતા બાદ બંને વચ્ચેના સંબંધોમાં આવેલા કડવાશને કારણે આ હત્યા કરવામાં આવી હતી.
શું છે સમગ્ર ઘટના ?
હૈદરાબાદમાં રહેતા પીયુષકુમાર ખરવાર નામના યુવાનની ફેસબુક પર 'નિશા કુમાર' અને ઇન્સ્ટાગ્રામ પર 'પૂનમ' નામની આઈડી સાથે મિત્રતા થઈ હતી. આ આઈડી ચંદનકુમાર નામનો યુવક ચલાવતો હતો. ચંદને પોતે યુવતી હોવાનું જણાવી પીયુષનો વિશ્વાસ જીતી લીધો અને બંને સાથે રહેવા લાગ્યા હતા. પીયુષે તેને પત્ની તરીકે સ્વીકારીને માંગમાં સિંદૂર પણ ભર્યું હતું. જોકે, બાદમાં જ્યારે પીયુષને સત્યની જાણ થઈ કે ચંદન ખરેખર પુરુષ છે અને સમલૈંગિક સંબંધમાં રસ ધરાવે છે, ત્યારે બંને વચ્ચે વિવાદ શરૂ થયો હતો.
હત્યા અને પુરાવાનો નાશ
આ વિવાદ હૈદરાબાદથી શરૂ થઈને યુપી, રાજસ્થાન થઈને છેક રાજકોટના પડવલા સુધી પહોંચ્યો હતો. ગત 21 જૂનના રોજ પડવલા સ્થિત કારખાનામાં બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થતા આરોપી પીયુષે ચંદનને રેલવે ટ્રેક નજીક એકાંત સ્થળે લઈ જઈ પથ્થરોના ઘા મારી તેની ઘાતકી હત્યા કરી દીધી હતી. હત્યા બાદ લાશ પર પથ્થરો ઢાંકી પુરાવા છુપાવવાનો પ્રયાસ કરી આરોપી ફરી કામે પહોંચી ગયો હતો.
20 વર્ષીય આરોપી પીયુષકુમાર ખરવારની ધરપકડ
રાજકોટ ગ્રામ્ય પોલીસે CCTV ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ઉત્તર પ્રદેશના 20 વર્ષીય આરોપી પીયુષકુમાર ખરવારની ધરપકડ કરી છે. હાલ પોલીસ દ્વારા BNS કલમ 103(1) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કિસ્સો સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથેની મિત્રતામાં સાવચેતી રાખવા માટે એક ગંભીર ચેતવણી સમાન છે.
આ પણ વાંચો: Gujarat Government: ખેતરમાં વિજપોલ આંદોલન અંગે કૃષિ મંત્રીનું નિવેદન, કહ્યું- "ખેડૂતોના વિશાળ હિતમાં લેવાશે નિર્ણય"