Rajkot: ચાલુ ટ્રેને બુકાનીધારીઓએ નિવૃત્ત ASI પર કર્યો હુમલો, લૂંટ મચાવી થયા ફરાર
- ધ્રોલ પડધરી વચ્ચે ટ્રેનમાં વહેલી સવારે નિવૃત્ત ASI ઉપર જીવલેણ હુમલો
- જામનગરના નિવૃત્ત ASI અમદાવાદ કોર્ટની મુદત અર્થે જતા હતા ત્યારે હુમલો થયો
- ફાયર સેફ્ટીના બાટલા દ્વારા હિન્દી ભાષી બુકાનીધારીઓએ હુમલો કર્યો
- રેલ્વે પોલીસે ઘટનાને લઈને તપાસ હાથ ધરી
Rajkot: ગુજરાતમાં રેલ્વે મુસાફરોની સુરક્ષા પર સવાલ ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જામનગરના નિવૃત્ત આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ASI) ધર્મેન્દ્રસિંહ જાડેજા પર ચાલતી ટ્રેનમાં ચાર હિન્દી ભાષી બુકાનીધારી યુવકોએ જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં તેમની પાસેથી પરવાનાવાળી રિવોલ્વર તેમજ બે મોબાઇલ ફોનની લૂંટ કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.ઘટના ધ્રોલ અને પડધરી સ્ટેશન વચ્ચે વહેલી સવારે બની હતી.
ટ્રેનમાં નિવૃત્ત ASI પર જીવલેણ હુમલો
મળતી માહિતી મુજબ ધર્મેન્દ્રસિંહ જાડેજા જામનગરથી અમદાવાદ કોર્ટમાં હાજરી અર્થે જઈ રહ્યા હતા. ટ્રેનમાં અચાનક આરોપીઓએ ફાયર સેફ્ટીના બાટલા વડે તેમના પર હુમલો કર્યો, જેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા. હુમલા દરમિયાન ટ્રેનમાં અફરાતફરી મચી ગઈ હતી અને મુસાફરોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.ઘાયલ ધર્મેન્દ્રસિંહને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેમની હાલત સ્થિર જણાવાઈ છે.
રેલ્વે પોલીસે ઘટનાને લઈને તપાસ હાથ ધરી
આ ઘટનાની જાણ થતાં જ રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને રેલ્વે પોલીસે તપાસ હાથ ધરી છે. આરોપીઓની ઓળખ અને ધરપકડ માટે વિવિધ ટીમો કાર્યરત થઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને મુસાફરોના નિવેદનોના આધારે તપાસ તેજ કરી છે.આ ઘટનાએ રેલ્વેમાં મુસાફરોની સુરક્ષા અને ખાસ કરીને નિવૃત્ત પોલીસ અધિકારીઓના હથિયારોના સંરક્ષણ પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
આ પણ વાંચો: Ahmedabad: દંપતી વચ્ચે થયેલા ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું


