Rajkot માં સૌરાષ્ટ્રનું સૌથી મોટું મેગા ડિમોલિશન, આજી નદીના પટ અને જંગલેશ્વરમાં 1489 મકાનો પર ચાલશે બુલડોઝર
- Rajkot માં સૌરાષ્ટ્રનું સૌથી મોટું મેગા ડિમોલિશન
- રાજકોટ મનપાનો અત્યાર સુધીનો સૌથી મોટો સપાટો
- એકસાથે 7 ઝોનમાં ડિમોલિશનની કામગીરી શરૂ
- રાજકોટમાં 1489 મકાનો તોડી પાડવાની કામગીરી શરૂ
- જંગલેશ્વરમાં SRP ની 11 ટીમો સાથે રાજકોટ પોલીસ સજ્જ
Rajkot : રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા આજે શહેરના ઇતિહાસનું અને સમગ્ર સૌરાષ્ટ્રનું સૌથી મોટું ડિમોલિશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આજી નદીના પટ અને જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર ખડકાયેલા વર્ષો જૂના દબાણોને દૂર કરવા માટે તંત્રએ કમર કસી છે. અંદાજે 1489 જેટલા કાચા-પાકા મકાનો અને દબાણો પર મનપાનું બુલડોઝર ફેરવી દેવામાં આવશે.
કયા વિસ્તારમાં કેટલી કામગીરી?
રાજકોટ મનપાએ આ ઓપરેશનને કુલ 7 ઝોનમાં વહેંચી દીધું છે. મુખ્યત્વે બે ભાગમાં કામગીરી કરવામાં આવી રહી છે:
જંગલેશ્વર વિસ્તાર:અહીંથી પસાર થતા 15 મીટરના રોડમાં અડચણરૂપ બનતા 497 નાના-મોટા દબાણો દૂર કરવામાં આવશે.
આજી નદી પટ્ટ: આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અને સરકારી જમીન પર ખડકાયેલા 992 જેટલા ગેરકાયદે દબાણોને જમીનદોસ્ત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, તંત્ર દ્વારા અગાઉ જ તમામ રહેવાસીઓને નોટિસ આપી દેવામાં આવી હતી, જેના પગલે કેટલાક લોકોએ સ્વેચ્છાએ પોતાના દબાણો હટાવવાની કામગીરી પણ શરૂ કરી દીધી છે.
લોખંડી બંદોબસ્ત અને સાધન-સામગ્રી
ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ કમિશનર અને જોઈન્ટ પોલીસ કમિશનરના સીધા સુપરવિઝન હેઠળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
પોલીસ ફોર્સની વિગતો:
અધિકારીઓ: 5 DCP, 17 ACP, 35 PI અને 140 PSI.
જવાનો: 1000 થી વધુ પોલીસ કોન્સ્ટેબલ અને SRP ની 11 ટીમો.
ટેકનોલોજી:સમગ્ર વિસ્તાર પર નજર રાખવા માટે 3 ડ્રોન ટીમો અને પ્રિઝમ 22 QRT (ક્વિક રિસ્પોન્સ ટીમ) ની 3 ટીમો તહેનાત છે.
મશીનરી અને શ્રમિકો:
ડિમોલિશનને ઝડપથી પૂર્ણ કરવા માટે મનપાએ ટેકનિકલ સાધનોનો મોટો કાફલો ઉતાર્યો છે:
21 JCB અને 26 ટ્રેક્ટરો.
38 ગેસ કટર અને 18 ટ્રેક્ટર બ્રેકર.
150 થી વધુ મજૂરોની ટીમ.
શા માટે આ ડિમોલિશન જરૂરી?
રાજકોટના આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને વેગ આપવા અને જંગલેશ્વર વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે 15 મીટરના રોડનું નિર્માણ ખૂબ જ મહત્વનું છે. વર્ષોથી સરકારી જમીન પર થયેલા આ દબાણોને કારણે શહેરના વિકાસમાં અવરોધ આવતો હતો, જે હવે દૂર કરવામાં આવી રહ્યો છે.હાલમાં પ્રાથમિક કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને સાંજ સુધીમાં મોટાભાગના દબાણો દૂર કરી જમીન ખુલ્લી કરવામાં આવે તેવી શક્યતા છે.
આ પણ વાંચો: Junagadh: "સૂરજ ભુવાજીના ઈશારે અમને ફસાવાયા", હોસ્પિટલના બિછાનેથી દિવ્યા સાવલાણીના પોલીસ પર ગંભીર આક્ષેપો


