Vijay Rupani : ગૃહમંત્રી અમિત શાહ સામે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા અંજલીબેન!
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે સ્વ.વિજય રૂપાણીને પાઠવી શ્રદ્ધાંજલિ
- પૂર્વ CM વિજય રૂપાણીના અંતિમ સંસ્કારમાં થયા સામેલ
- સ્વ. વિજય રૂપાણીના પરિજનોને મળીને પાઠવી સાંત્વના
- ટ્વીટ કરી સ્વ. વિજયભાઈ રૂપાણીને પાઠવી શ્રદ્ધાંજલિ
- શિસ્તબદ્ધ સાથીને ગુમાવવા બદલ ખોટ: અમિતભાઈ શાહ
- પરિજનોને દુ:ખ સહન કરવાની શક્તિ આપે : અમિતભાઈ શાહ
Vijay Rupani : ગુજરાતના રાજકીય ક્ષેત્રે એક શોકનું મોજું ફરી વળ્યું છે, કારણ કે ભાજપના પ્રમુખ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અવસાન થયું છે. આજે રાજકોટમાં તેમના અંતિમ દર્શન કરવા માટે લોકોનું ઘોડાપૂર ઉમટ્યું હતું, જ્યાં હજારો લોકોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી. વિજયભાઈ રૂપાણીના નિધનથી ભાજપ પરિવાર અને ગુજરાતના રાજકીય સમુદાયમાં એક ક્યારેય ન પૂરી શકાય તેવી ખોટ થઈ હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. તેમના અંતિમ દર્શનાર્થે ઘણા રાજનેતાઓ આવ્યા છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ (Amit shah)પણ હાલમાં અહીં હાજર છે.
વિજયભાઈ રૂપાણી એવા નેતા હતા, જેમણે પોતાનું સમગ્ર જીવન ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને તેની વિચારધારા પ્રત્યે સમર્પિત કર્યું હતું. સંગઠનના પાયાના કાર્યથી લઈને રાજ્યના સર્વોચ્ચ હોદ્દા સુધી, તેમણે હંમેશા શિસ્ત, નિષ્ઠા અને વફાદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું. તેમની નમ્રતા, સમર્પણ અને જનસેવાની ભાવનાએ લાખો લોકોના હૃદયમાં તેમના માટે ખાસ સ્થાન બનાવ્યું હતું.
રાજકોટમાં આજે યોજાયેલા અંતિમ દર્શન દરમિયાન ભાજપના અનેક નેતાઓ, કાર્યકર્તાઓ અને સામાન્ય નાગરિકોએ વિજયભાઈને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે પણ પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ આપી. આ દરમિયાન તેમનું એક ટ્વીટ પણ સામે આવ્યું, જેમા તેમણે લખ્યું છે કે, આજે રાજકોટમાં વિજયભાઈ રૂપાણીજીના અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી. વિજયભાઈ સંગઠનથી લઈને સરકાર સુધી જીવનભર વિચારધારાને સંપૂર્ણપણે સમર્પિત રહ્યા. વિજયભાઈ જેવા શિસ્તબદ્ધ અને વફાદાર સાથીદારને ગુમાવવા એ સમગ્ર ભાજપા પરિવાર સાથે મારા માટે પણ વ્યક્તિગત ખોટ છે. તેઓ હવે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની સ્મૃતિ હંમેશા આપણા મનમાં જીવંત રહેશે. સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું કે તેઓ પુણ્યશાળી દિવંગત આત્માને સદ્ગતિ આપે તેમજ શોકગ્રસ્ત પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.
શિસ્તબદ્ધ અને પ્રેરણાદાયી જીવનશૈલીની પ્રશંસા કરી
ઉલ્લેખનીય છે કે, આ પ્રસંગે લોકોની આંખો ભીની હતી, અને દરેકના ચહેરા પર એક મહાન નેતાને ગુમાવવાનો શોક સ્પષ્ટ દેખાતો હતો. ભાજપના નેતાઓએ વિજયભાઈની શિસ્તબદ્ધ અને પ્રેરણાદાયી જીવનશૈલીની પ્રશંસા કરી અને તેમને પાર્ટીના આધારસ્તંભ ગણાવ્યા.