પ્રાચીન માન્યતાઓ અનુસાર આ ભવ્ય મંદિર એક સમયે સદીઓ સુધી સમુદ્રની રેતીમાં સંપૂર્ણપણે દબાયેલું રહ્યું હતું. પ્રભુના આ ધામનો પુનઃઉદ્ધાર કેવી રીતે થયો અને વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રાની શરૂઆત પાછળ કઈ રોચક કથાઓ જોડાયેલી છે, તેની વિગતવાર માહિતી ખૂબ જ રસપ્રદ છે.
Jagannath Rath Yatra 2026: રાજા ઇન્દ્રદ્યુમ્ન અને નીલમાધવની કથા
પૌરાણિક ઇતિહાસ અનુસાર માલવા પ્રદેશના પરમ ભક્ત રાજા ઇન્દ્રદ્યુમ્ન ભગવાન વિષ્ણુના સાક્ષાત દર્શન કરવા આતુર હતા. તેમને માહિતી મળી કે ઉત્કલ ક્ષેત્રમાં શબર જનજાતિના લોકો છુપાઈને 'નીલમાધવ' નામના દિવ્ય સ્વરૂપની પૂજા કરે છે. રાજાએ ખૂબ જ પ્રયત્નો કર્યા પરંતુ નીલમાધવ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારબાદ ભગવાન જગન્નાથે રાજાને સપનામાં આવીને આદેશ આપ્યો કે તેઓ સમુદ્ર કિનારે તરતા એક વિશેષ પવિત્ર લાકડાના ટુકડામાંથી તેમની મૂર્તિઓ તૈયાર કરાવે અને ભવ્ય મંદિરનું નિર્માણ કરે.
રાજાએ ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું અને તેમાં પવનપુત્ર હનુમાનજીએ પણ સમુદ્રના મોજાને રોકીને રાજાની મદદ કરી હતી. મૂર્તિઓ કંડારવા માટે ખુદ દેવશિલ્પી વિશ્વકર્મા એક વૃદ્ધ સુથારનું વેશ ધારણ કરીને આવ્યા હતા. તેમણે શરત મૂકી હતી કે 21 દિવસ સુધી તેઓ બંધ ઓરડામાં મૂર્તિઓ બનાવશે અને ત્યાં સુધી કોઈએ દરવાજો ખોલવો નહીં. પરંતુ ઉત્સુકતાના કારણે રાણી ગુંડિચાએ 15 મા દિવસે ઓરડાનો દરવાજો ખોલી નાખ્યો હતો. શરત તૂટવાના કારણે દેવશિલ્પી ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. અને મૂર્તિઓના હાથ-પગ અધૂરા રહી ગયા, જે આજે પણ આ જ દિવ્ય સ્વરૂપમાં (અધુરા સ્વરૂપમાં) પૂજાય છે.
Jagannath Rath Yatra 2026: સદીઓ સુધી રેતી નીચે દબાયેલું રહ્યું ધામ
એક પૌરાણિક માન્યતા એવી પણ છે કે જ્યારે રાજા ઇન્દ્રદ્યુમ્ને મંદિરનું નિર્માણ પૂર્ણ કર્યું, ત્યારે તેઓ તેના પ્રતિષ્ઠા મહોત્સવ માટે બ્રહ્મલોક ગયા હતા. સૃષ્ટિના સર્જનહાર ભગવાન બ્રહ્માજીને પૃથ્વી પર લાવવામાં ઘણો સમય વીતી ગયો. બ્રહ્મલોક અને પૃથ્વીના સમય ચક્રમાં મોટો તફાવત હોવાના કારણે પૃથ્વી પર સદીઓ પસાર થઈ ગઈ. આ લાંબા સમયગાળા દરમિયાન ભારે વાવાઝોડા અને દરિયાઈ ભરતીના કારણે આખું ભવ્ય મંદિર સમુદ્રની તેજસ્વી રેતી અને માટી નીચે સંપૂર્ણપણે દબાઈ ગયું હતું. લોકો આ સ્થળ વિશે ભૂલી ગયા હતા. ત્યાર બાદ સદીઓ પછી આકાશવાણી અને રાજાઓની શોધખોળને કારણે મંદિર ફરી પ્રકાશમાં આવ્યું. ઇતિહાસકારોના મતે 12 મી સદીમાં પૂર્વી ગંગા રાજવંશના પ્રતાપી રાજા અનંતવર્મન ચોડગંગા દેવે આ પવિત્ર મંદિર સંકુલનો જીર્ણોદ્ધાર કરાવીને તેને આધુનિક સ્વરૂપ આપ્યું હતું.
જગન્નાથ રથયાત્રાની પવિત્ર શરૂઆત પાછળનું રહસ્ય
દર વર્ષે અષાઢ મહિનાની શુક્લ પક્ષની દ્વિતિયા તિથિએ પુરીમાં ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ પરંપરાની શરૂઆત પાછળ કથા છે કે, એકવાર બહેન સુભદ્રાએ દ્વારકા નગર જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ અને મોટા ભાઈ બલભદ્રે તેમને રથમાં બેસાડીને આખું નગર ફેરવ્યું હતું. આ દિવ્ય યાદમાં દર વર્ષે ત્રણેય ભાઈ-બહેન પોતાના મુખ્ય મંદિરથી નીકળીને આશરે 3 કિલોમીટર દૂર આવેલા પોતાની માસીના ઘર એટલે કે ગુંડિચા મંદિરમાં નવ દિવસ માટે મુકામ કરે છે.
આ યાત્રા શરૂ થતાં પહેલાં પુરીના ગજપતિ રાજા સોનાના સાવરણાથી રથની આગળના માર્ગને સાફ કરે છે, જેને 'છેરા પહરા' વિધિ કહેવામાં આવે છે. આ વિધિ દર્શાવે છે કે ભગવાનની સામે રાજા અને સામાન્ય માણસ બધા સમાન છે. રથયાત્રામાં સૌથી આગળ બલભદ્રનો 'તાલધ્વજ' રથ, વચ્ચે બહેન સુભદ્રાનો 'પદ્મધ્વજ' રથ અને સૌથી પાછળ પ્રભુ જગન્નાથનો 'ગરુડધ્વજ' રથ ભક્તોના ભારે જયઘોષ સાથે આગળ વધે છે.
વિજ્ઞાનને પણ અચંબામાં મૂકતા અપરંપાર રહસ્યો
પુરીનું આ જગન્નાથ મંદિર પોતાની સ્થાપત્ય કલા અને અકલ્પનીય રહસ્યો માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. આ મંદિરના શિખર પર લગાવેલી ધ્વજ હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં લહેરાય છે. આ સિવાય મંદિરના સૌથી ઉપરના ભાગમાં સ્થાપિત સુદર્શન ચક્રને તમે નગરના કોઈપણ ખૂણેથી જુઓ, તેનો મુખ હંમેશા તમારી સામે જ દેખાય છે. આ પવિત્ર ધામની ઉપરથી ક્યારેય કોઈ પક્ષી કે વિમાન ઉડી શકતું નથી અને દિવસના કોઈપણ સમયે મંદિરનો પડછાયો જમીન પર પડતો નથી. આ આદિ અનાદિ પરંપરાઓ અને વિજ્ઞાનને પણ અચંબામાં મૂકતા રહસ્યો આજે પણ કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું મુખ્ય કેન્દ્ર બનેલા છે.
સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આ પવિત્ર ધામની ઉપરથી ક્યારેય કોઈ પક્ષી કે વિમાન ઉડી શકતું નથી, તેથી આ વિસ્તારને 'નો ફ્લાય ઝોન' માનવામાં આવે છે. આ ઉપરાંત દિવસના કોઈપણ સમયે મુખ્ય મંદિરનો પડછાયો ક્યારેય જમીન પર પડતો નથી. મંદિરના રસોડામાં ભગવાનનો મહાપ્રસાદ માટીના 7 વાસણો એકબીજાની ઉપર મૂકીને લાકડાના ચૂલા પર બનાવવામાં આવે છે, જેમાં સૌથી ઉપરના વાસણનો પ્રસાદ સૌથી પહેલા રંધાય છે. આ અદ્રશ્ય શક્તિઓ અને આસ્થાનું અનોખું કેન્દ્ર આજે પણ કરોડો શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે.
આ પણ વાંચો--- Jagannath Rathyatra 2026 : 149મી રથયાત્રા પૂર્વે અમદાવાદમાં ભક્તિ સાથે સેવાનો ત્રિવેણી સંગમ, જગન્નાથ મંદિરે યોજાયેલા મેગા બ્લડ કેમ્પમાં 435 બોટલ રકત એકત્રિત કરાયું