સ્વચ્છતા અભિયાન અંતર્ગત અંબાજી બસ ડેપોમા સફાઇ ઝુંબેશ હાથ ધરાઇ
અહેવાલ - શક્તિસિંહ રાજપુત
હાલ સમગ્ર રાજ્યમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ અભિયાન હેઠળ ઠેર ઠેર સફાઇ કરવામાં આવી રહી છે. આ અભિયાન હેઠળ રાજ્યભરમાં આગામી બે મહિના સુધી સ્વચ્છતા હી સેવાના વિવિધ કાર્યક્રમો યોજાવાના છે. જેમાં લોકો પણ સ્વયંભૂ જોડાઈને શ્રમદાન કરી રહ્યા છે.
આજે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીના બસ સ્ટેશનમાં સ્વચ્છતા અભિયાન હેઠળ સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં અંબાજી ડેપો મેનેજર રઘુવીરસિંહ ચૌહાણ, અંબાજી પોલીસ ઇન્સપેક્ટર અને તથા પોલીસ સ્ટાફ અને એસ. ટી. ડેપોના કર્મચારીઓ સફાઈ અભિયાનમાં જોડાયા હતા. આ અધિકારીઓ અને કર્મચારીઓએ એસ.ટી. ડેપો અને તેના આસપાસના વિસ્તારની સફાઇ કરીને યાત્રાધામ અંબાજીને સ્વચ્છ, સુંદર રાખવા માટે જ્યાં ત્યાં પ્લાસ્ટીકની થેલીઓ અને કચરો ન ફેંકવા અપીલ કરી હતી.
બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સફાઇ માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ત્યારે સમગ્ર રાજ્ય અને દેશભરમાંથી મા અંબાના દર્શનાર્થે અંબાજી આવતા યાત્રાળુઓ પણ સ્વયં સ્વચ્છતા જાળવે અને સ્વચ્છતાના આગ્રહી બને તો યાત્રાધામ ચોખ્ખુ- ચણાક અને રમણીય બની રહે.


