વીજ કંપનીની લાલયાવાડીના કારણે કામરેજ તાલુકાના ખેડૂતો થયા પરેશાન
અહેવાલ - ઉદય જાદવ | વીજ કંપનીની લાલયાવાડીના કારણે કામરેજ તાલુકાના ચારથી વધુ ગામના ખેડૂતો હેરાન પરેશાન થયા છે. ત્રણ મહિના પહેલા થયેલ વીજ વાયરની ચોરીને લઈ ખેડૂતોને વાવેતરમાં પડી રહી છે હાલાકી. વીજવાયર ઉપલબ્ધ હોવાનું વીજ કંપનીનું રટણ.
તસ્કરો એગ્રીકલ્ચર લાઈનનો વીજવાયર ચોરી કરી ફરાર
ત્રણ મહિના પહેલા કામરેજ તાલુકાના પાલી, અલુરા, વાંસદા, રૂંધી સહિતના ગામોમાંથી તસ્કરો એગ્રીકલ્ચર લાઈનનો વીજવાયર ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ત્યારથી આ ગામના ખેડૂતોને વીજનો પુરવઠો નથી મળી રહ્યો. જેને લઈ ખેડૂતો હેરાન થઈ ચૂક્યા છે. આ વિસ્તારમાં ઓક્ટોબર મહિનામાં સામાન્ય રીતે ખેડૂતો શેરડીની વાવણી કરતા હોય છે.
પરંતુ વીજપુરવઠો નહિ મળવાના કારણે ખેડૂતો હજી સુધી શેરડીની વાવણી કરી શક્યા નથી. બીજી તરફ આ વિસ્તારમાં નહેરની પણ સુવિધા નથી. જે ખેડૂતોએ ઓક્ટોબર પહેલા શેરડીની વાવણી કરી દીધી હતી. તેવા ખેડૂતોના શેરડી, શાકભાજી સહિતનો પાક લગભગ સુકાઈ ચુક્યો છે. ખેડૂતો પોતાનો મહામૂલી પાક બચાવવા પોતાના સ્વ ખર્ચે બેથી ત્રણ કિલોમીટર સુધી યેનકેન પ્રકારે વીજ લાઈન નાખી પાક બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ખેડૂતો દ્વારા વારવાર લેખતી,મૌખિક અને ઓફિસ પર જઈને વારવાર રજૂઆત કર્યા છતાં પણ GEB વિભાગના અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી,કોઈના કોઈના કારનો મૂકી ખેડૂતોને રવાના કરી દે છે.જેને લઇને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. GEB વિભાગ દ્વારા કરવામાં આવતી લાલિયા વાડીને લઈને હાલ ખેડૂતોના આખા વર્ષના આયોજન પર પાણી ફરી રહ્યા છે.ખેડૂતો દ્વારા કામરેજના ધારાસભ્ય અને સરકારના રાજ્યકક્ષાના મંત્રી પ્રધાન પ્રફુલ પાનસેરિયાને રજૂઆત કરવા છતાં પણ કોઈ પરિણામ ન આવતા આખરે ખેડૂતો લાચાર થઈ બેસી ગયા છે.
જોકે સમગ્ર બાબતે વીજની કંપનીની મુલાકાત લેતા કંપનીના અધિકારી એ જણાવ્યું હતું કે, લગભગ છેલ્લા ચાર મહિનામાં ૧૨૦ કિમિ જેટલો વીજ વાયર ચોરી થયો છે. જે પૈકીની 75 કિમિ જેટલી લાઈન ફરીથી નાખી વીજપુરવઠો પૂન: કાર્યરત કરાયો છે. સમગ્ર ઘટનાને લઈ ખેડૂતોએ વીજ કંપનીની ઓફિસે જઈ ઉગ્ર રજુઆત કરતા ૧૦ થી ૧૫ દિવસ માં બાકી પડેલી વીજ-લાઈનના વાયર નાખી વીજ પુરવઠો શરૂ કરવાની બાંહેધરી આપી હતી. જોકે વીજકંપનીના અધિકારી એ પણ સ્વીકાર્યું હતું કે ઉપલી કચેરીથી વાયરનો જથ્થો આપવામાં વિલંબ થઈ રહ્યો હોવાને કારણે સમયસર વીજપુરવઠો આપી શકાય નથી.
આ પણ વાંચો -- રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે આ ગ્રુપ દ્વારા વિશેષ ઘડિયાળ અર્પણ કરાશે