Junagadh : રાજ્ય સરકાર દ્વારા સૌ પ્રથમવાર ગિરનાર માટે લવાશે ખાસ પ્રોજેક્ટ, જાણો
જૂનાગઢમાં હવે ગિરનાર પર્વત સુવિધાઓથી સજ્જ થશે, રાજ્ય સરકાર દ્વારા સૌ પ્રથમવાર ગિરનાર માટે ખાસ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે, યાત્રાધામ વિકાસ બોર્ડની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો અને રૂપિયા 114 કરોડની ગિરનાર વિકાસ યોજનાને સૈધાંતિક મંજૂરી આપવામાં આવી છે, આ પ્રોજેક્ટ અંતર્ગત ગિરનાર પર્વત અને ભવનાથ તળેટીમાં યાત્રાધામ અને પર્યટન સબંધિ વિકાસકાર્યો કરવામાં આવશે.
ગિરનારની વિકાસ યોજનાને સૈધાંતિક મંજૂરી
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં મળેલી પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની બેઠકમાં રૂપિયા 114 કરોડની ગિરનારની વિકાસ યોજનાને સૈધાંતિક મંજૂરી આપવામાં આવી હતી જેને લઈને આગામી સમયમાં ગિરનાર પર્વત અને તળેટીમાં યાત્રાધામ તથા પર્યટન સંબંધી વિકાસકાર્યો કરવામાં આવશે.
114 કરોડ રૂપિયાની સૈધાંતિક મંજૂરી
જૂનાગઢની ભવનાથ તળેટીથી લઈને ગિરનાર પર્વત પર ગુરૂ દત્તાત્રેય શિખર સુધી અનેક ધર્મસ્થાનો આવેલા છે જેના દર્શનાર્થે દર વર્ષે લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવે છે, એશિયાનો સૌથી મોટો ગિરનાર રોપવે કાર્યરત થયા પછી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે ત્યારે આવનાર પ્રવાસીઓની સુવિધા હેતુ ગિરનાર પર્વત પર સુવિધાઓ ઉભી કરવી આવશ્યક હતો આ અંગે ધારાસભ્ય સંજય કોરડીયા દ્વારા સૂચવવામાં આવેલ તમામ પાસાઓને આવરી લઈને રાજ્ય સરકાર દ્વારા ગિરનાર તિર્થક્ષેત્રના વિકાસ માટે 114 કરોડ રૂપિયાની એક યોજનાને સૈધાંતિક મંજૂરી આપી છે જેમાં યાત્રીકોને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.
આ સુવિધા ઉભી કરાશે
ગિરનાર વિકાસ યોજના અંતર્ગત ગિરનારના પગથિયા એટલે કે સીડીની પહોળાઈ વધારવામાં આવશે જેથી ચાલીને જતાં યાત્રીકોને સુવિધા રહે, સીડી પર થોડા થોડા અંતરે બેસવાની વ્યવસ્થા અને ડસ્ટબીન મુકવામાં આવશે, જેથી સીડી ચઢીને જતાં યાત્રીકો વિશ્રામ કરી શકે અને ડસ્ટબીન થી જંગલમાં થતું પ્રદુષણ અટકાવી શકાય, આ ઉપરાંત પીવાના પાણી, સોલાર લાઈટ, સાઈનબોર્ડ, માહિતી કેન્દ્ર, આરોગ્ય સુવિધા, ખાણીપીણીની વ્યવસ્થા વગેરે એક યાત્રાધામ અને પ્રવાસન સ્થળ તરીકેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે, ગિરનાર પર્વત પર આવેલા ધર્મસ્થાનો હાલ વરસાદી પાણીના સંગ્રહ પર નિર્ભર છે અને જ્યારે પાણી ખુટે ત્યારે નીચે તળેટીમાંથી પાણી મંગાવું પડે છે ત્યારે ગિરનાર પર્વત પર પાણીનો સંગ્રહ વધુ થાય અને પીવાના તથા વાપરવાના પાણીની કોઈ સમસ્યા ન થાય તે માટે પાણીની પુરતી સુવિધા ઉભી કરવામાં આવશે.
જૂનાગઢના પ્રવાસનને વેગ મળશે
ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં ગિરનાર વિકાસ યોજનાના નકશાને મંજૂર કરવામાં આવ્યા છે, યાત્રીકોની સુવિધાને ધ્યાનમાં રાખીને વિકાસ કાર્યો કરવામાં આવનાર છે, ગિરનાર પર રોપવે સુવિધા થી યાત્રીકોની સંખ્યામાં તો વધારો થયો છે પરંતુ હવે જ્યારે સુવિધાઓમાં પણ વધારો થશે ત્યારે યાત્રીકોનો પ્રવાસ વધુ સુગમ અને યાદગાર બનશે, ગિરનાર પર્વત પર નવીનીકરણ થી જૂનાગઢના પ્રવાસનને વધુ વેગ મળશે.
અહેવાલ : સાગર ઠાકર, જૂનાગઢ
આ પણ વાંચો : ગુજરાતના વિકાસ મોડેલથી પ્રભાવિત થયાં એશિયન ઇન્વેસ્ટમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્રચર બેંકના પ્રેસિડેન્ટ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.






