મહિલા સશક્તિકરણનું એક ઉત્તમ ઉદાહરણ બની છે ડેડીયાપાડાના બોરીપીઠા ગામની વતની શુક્રાબેન વસાવા તેમણે બોરીપીઠા ગામની બહેનોને જાગૃત કરી આત્મનિર્ભર બનાવી આજે આ ગામની મહિલા ઓ પ્રાકૃતિક ખેતી તરફ વળી સાથે પ્રાકૃતિક ખાતર બનાવી આર્થિક ઉપાર્જન પણ લઇ રહી છે. શુક્રાબેન “ઉન્નતિ જૈવિક ઉત્પાદન કેન્દ્ર” થકી કુદરતી જંતુનાશક દવાઓનું નિર્માણ કરીને સારી આવક પ્રાપ્ત કરી રહી છે. સાથોસાથ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરવાની કામગીરીને પણ આગળ ધપાવી રહી છે. અને આવી રીતે તેઓ આત્મનિર્ભર બન્યા છે.
જૈવિક દવાઓ બનાવી
નર્મદા જિલ્લામાં સુગર ફેક્ટરી ના ખેડૂતો થી લઈને ડેડીયાપાડા સાગબારા ના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે જેમને સરકાર દ્વારા પણ અનેક પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. આ પ્રયાસો થકી એક આદિવાસી બહેન શુક્રાબેન વસાવા જાગૃત બની પ્રાકૃતિક ખેતીને વેગવાન બનાવવાનું બિડું ઉપાડીને આસપાસના ખેડૂતોની જમીનને ફળદ્રુપ બનાવવા માટે કુદરતી છાણીયા ખાતરના તત્વોના મિશ્રણથી જૈવિક દવાઓ તૈયાર કરી રહી છે.
સારી આવક મેળવી
ઉન્નતિ જૈવિક ઉત્પાદન કેન્દ્ર ની શરૂઆત કરીને જમીનને ફળદ્રુપ બનાવવા માટે કુદરતી રીતે તૈયાર કરેલી આ જૈવિક દવાઓ માટે શુક્રાબેને અન્ય બહેનોની પણ મદદ લીધી છે. જેના વેચાણ થકી બહેનો માસિક રૂ. 50 હજારથી વધુની આવક મેળવી રહ્યાં છે. શુક્રાબેનની કંઈક કરવાની ધગશના કારણે પોતાની સાથે અન્ય બહેનોની જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તનો આવ્યા છે. બહેનો પોતાના પરિવારને આર્થિક ટેકો આપીને સ્વાવલંબી જીવન જીવી રહી છે. અને આત્મનિર્ભર તરફ સ્વબળે આગળ વધી રહી છે. જે મહિલાઓ માટે એક દિશાસૂચક બની છે.
અન્ય મહિલાઓને પણ રોજગારી મળી
અત્રે ઉલ્લેખનીય છે કે રાસાયણિક દવાઓના બદલે કુદરતી તત્વોથી બનતી જૈવિક દવાઓના વેચાણ દ્વારા છેલ્લા બે વર્ષમાં શુક્રાબેન સહિત અન્ય બહેનોના જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. આજે જૈવિક દવાઓની માંગ ડેડીયાપાડાના આજુબાજુના ગામો સહિત ઝઘડિયા, નિઝર અને સુરત સુધી તેમની માંગ પહોંચી છે. જે શુક્રાબેનના સફળ પ્રયાસોનું પરિણામ છે. આજે આત્મનિર્ભર બની રહેલા શુક્રાબેન અન્ય બહેનોને રોજગારી પુરી પાડીને સન્માનભેર જીવન જીવી રહ્યાં છે. જે ખરેખર બીજા માટે પ્રેરણારૂપ છે.અને બહેનો માટે પૂરક રોજગારીનું એક સાધન બન્યું છે.
પરિણામ સારું મળતા માંગ વધી
આગાખાન સંસ્થા દ્વારા તાલીમ થકી જૈવિક દવાઓ અંગે માહિતગાર થયા હતા. સરળતાથી ઉપલબ્ધ થતી પ્રાકૃતિક વસ્તુઓ-વનસ્પતિઓનો ઉપયોગ કરીને જૈવિક દવાઓ તૈયાર કરવાની પદ્ધતિ શીખ્યા બાદ સૌ પ્રથમ દવાઓનો ઉપયોગ પોતાના ખેતરમાં જ કર્યો હતો. આસપાસના ખેડૂતમિત્રોને શરૂઆતમાં પોતાની નવનિર્મિત પરિણામલક્ષી પ્રોડક્ટને નિશુલ્ક ઉપલબ્ધ કરાવ્યા હતા. પાકમાં સુધારો જોવા મળતા ખેડૂતોની માંગ વધતી ગઈ અને જે બાદ ગામમાં જ “ઉન્નતિ જૈવિક ઉત્પાદન કેન્દ્ર” શરૂ કર્યું. આજે તેમની સાથે પાંચ લોકો જોડાયેલા છે.
જીવતથી પાકને રક્ષણ મળે છે
કોઈપણ પ્રકારના કેમિકલ વગર આંકડાનાં પાંદડા, બેસન કે કોઈ પણ દાળનો લોટ, ગોળ, લીમડાનાં પાદંડા, ગૌમૂત્ર, તાજી છાસ, પાણી માંથી અમૃતપાણી જે પાકના વિકાસ માટે ઉપયોગમાં આવે છે. ખેતીના પાકમાં આવતી હાનિકારક કીડો કીટકોને નાશ કરવા માટે પેન્ટાફાઈટર. ગૌમૂત્ર, કડવા લીમડા, તીખા મરચા, દેશી લસણ માંથી અગ્નિયાસ્ત્ર જે ઈયળ અને કોઈ પણ પ્રકારના જીવાને રક્ષણ આપવામાં મદદ કરે છે. ડાંગર તુવેરના બીજને પડ આપવા માટે બીજામૃત દવા ઉપયોગ કરવામાં આવે છે. બોરીપીઠા ગામમાં પ્રવેશતાની સાથે જ શુક્રાબેનના ઘરે મીઠાબેન, લલીતાબેન, સવિતાબેન, અને સુભાષભાઈ, જેવિક કુદરતી દવાઓ બનાવતા જોવા મળે છે.
અહેવાલ : આશિષ પટેલ, નર્મદા
આ પણ વાંચો : સુરતમાં આજે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો યોજાશે દિવ્ય દરબાર
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.