BCCI ના ભૂતપૂર્વ પ્રમુખ ઈન્દરજીત સિંહ બિન્દ્રાનું નિધન, ભારતીય ક્રિકેટને બનાવ્યું હતું મજબૂત
- BCCI ના પૂર્વ અધ્યક્ષ ઈન્દરજીત સિંહ બિન્દ્રાનું નિધન
- ભારતીય ક્રિકેટને મજબૂત કરવામાં તેમનો મહત્વનો ફાળો
- ભારતીય ક્રિકેટ વહીવટના સ્તંભમાંથી હતા એક
- 1993-96 સુધી BCCI ના રહ્યા હતા અધ્યક્ષ
BCCI ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (Board of Control for Cricket in India) ના ભૂતપૂર્વ પ્રમુખ ઈન્દરજીત સિંહ બિન્દ્રા (Inderjit Singh Bindra) નું રવિવારે 84 વર્ષની વયે અવસાન થયું. લાંબા સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા બિન્દ્રાએ દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. બપોરે લંચ પછી બિન્દ્રાની તબિયત વધુ ખરાબ થઈ ગઈ હતી. અને સાંજે 6:30 વાગ્યે તેમનું અવસાન થયું હતું. બિન્દ્રાના પુત્ર અમર બિન્દ્રા (Amar Bindra) અને પુત્રી તેમના અંતિમ ક્ષણો દરમિયાન દિલ્હીમાં તેમની સાથે હતા.
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (International Cricket Council) (ICC) ના ચેરમેન જય શાહે (Jay Shah) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી હતી. જય શાહે BCCI ના ભૂતપૂર્વ પ્રમુખ અને ભારતીય ક્રિકેટ વહીવટના દિગ્ગજ નેતા IS બિન્દ્રાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. જય શાહે લખ્યું કે," ઇન્દરજીત સિંહ બિન્દ્રા ભારતીય ક્રિકેટ વહીવટમાં એક અગ્રણી અને પ્રભાવશાળી વ્યક્તિ હતા. તેઓ ભારતના 7મા રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલ સિંહના વિશેષ સચિવ તરીકે નિવૃત્ત થયા હતા. વર્ષ 1993 થી 1996 સુધી ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (BCCI) ના 23મા પ્રમુખ તરીકે સેવા આપી હતી.
Deepest condolences on the passing of Mr. I S Bindra, former BCCI president and a stalwart of Indian cricket administration. May his legacy inspire future generations. Om Shanti 🙏
— Jay Shah (@JayShah) January 25, 2026
BCCI ના પૂર્વ પ્રમુખ વિશે જાણવા જેવું
IS બિન્દ્રા અને જગમોહન દાલમિયાને કારણે BCCI ને નાણાકીય મજબૂતી મળી. IS બિન્દ્રા, BCCI ના અન્ય ભૂતપૂર્વ પ્રમુખ, જગમોહન દાલમિયા સાથે, ભારતને વર્ષ 1987 ના ODI વર્લ્ડકપનું આયોજન માટે મદદ કરવાનો શ્રેય જાય છે. ક્રિકેટ વહીવટમાં તેમની ચાર દાયકા લાંબી કારકિર્દી (Career) હતી, જે 1975 માં શરૂ થઈ હતી. જે દરમિયાન તેમણે ભારતીય ક્રિકેટ ટેલિવિઝન બજાર (Indian cricket television market) ખોલ્યું. અને BCCI ને વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ બનાવ્યું હતું. તેમના કાર્યકાળને ભારતીય ક્રિકેટમાં મોટા અને સકારાત્મક પરિવર્તન અને વ્યાવસાયિક માળખાને મજબૂત બનાવવાના સમયગાળા તરીકે ઓળખવામાં આવે છે. તેમણે 1978 થી 2014 સુધી પંજાબ ક્રિકેટ એસોસિએશન (PCA) ના પ્રમુખ તરીકે સેવા આપી હતી.
મોહાલીમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ક્રિકેટ સ્ટેડિયમ વિકસાવવામાં ઈન્દરજીત સિંહ બિન્દ્રાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. 2015 માં મોહાલીના PCA સ્ટેડિયમનું નામ બદલીને આઈ.એસ. બિન્દ્રા સ્ટેડિયમ રાખવામાં આવ્યું હતું. જેથી પ્રશાસક તરીકેની તેમની સેવાઓને માન આપી શકાય. આ સ્ટેડિયમને ભારતના સૌથી આધુનિક ક્રિકેટ મેદાનોમાંથી એક ગણવામાં આવે છે. બીસીસીઆઈના પ્રમુખ તરીકે બિન્દ્રાએ ક્રિકેટ વહીવટમાં પારદર્શિતા, માળખાકીય સુધારાઓ અને આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત ભારતીય હાજરી પર ભાર મૂક્યો હતો.
તેમના કાર્યકાળ દરમિયાન ભારતે ICC ફોરમમાં પોતાનું સ્થાન અને પ્રભાવ વધુ મજબૂત બનાવ્યો હતો. તેઓ ICC (આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ) સાથે પણ સંકળાયેલા રહ્યા હતા. વૈશ્વિક ક્રિકેટ રાજકારણ (Global cricket politics) માં ભારતનો અવાજ મજબૂત બનાવ્યો. ક્રિકેટ ઉપરાંત, ઇન્દ્રજીત સિંહ બિન્દ્રા એક સફળ અમલદાર પણ હતા. રમતગમત અને અમલદારશાહી બંનેમાં તેમના યોગદાન માટે તેમને રાષ્ટ્રીય આદર અને ઓળખ મળી. ભારતીય ક્રિકેટના માળખાગત સુવિધાઓ અને વહીવટી વિકાસમાં તેમના યોગદાનને યાદ કરવામાં આવશે.
આ પણ વાંચો----- પૂર્વ ક્રિકેટર Harbhajan Singh ના PCB અને Bangladesh પર આકરા પ્રહાર
આ પણ વાંચો----- Cricket માં Comeback નો શ્રેય પત્નીને આપતા Suryakumar Yadav, જાણો શું કહ્યું


