Operation Sindoor ને લઈને સચિન તેંડુલકરે PM મોદી અને ત્રણેય સશસ્ત્ર દળોની કરી પ્રશંસા
- ઓપરેશન સિંદુરને લઈને સચિન તેંડુલકરની x પર પોસ્ટ
- ઓપરેશન સિંદૂરમાં આખો દેશ એક થયો:સચિન તેંડુલકર
- ત્રણેય સેનાઓની જબરદસ્ત તૈયારીને કારણે સફળતા: સચિન તેંડુલકર
- "ભારત કોઈપણ પડકારનો સામનો તાકાત અને સંયમથી કરી શકે છે"
Sachin Tendulkar : વિશ્વના મહાન ક્રિકેટરોમાંના એક, સચિન તેંડુલકરે 'ઓપરેશન સિંદૂર' માટે ભારતીય સંરક્ષણ દળો અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ખૂબ પ્રશંસા કરી છે. આ ઓપરેશન આતંકવાદ સામે ભારતની મજબૂત નીતિ અને એકતાનું પ્રતીક બન્યું છે. સચિને ભારતના 1.4 અબજથી વધુ નાગરિકોની એકતા, ત્રણેય સશસ્ત્ર દળોની બહાદુરી અને PM મોદીના નેતૃત્વની હૃદયસ્પર્શી પ્રશંસા કરી.
સચિનની સોશિયલ મીડિયા પોસ્ટ
સચિન તેંડુલકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી, જેમાં તેમણે 'ઓપરેશન સિંદૂર'ની સફળતા માટે ભારતીય સંરક્ષણ દળો અને PM મોદીની સરાહના કરી. તેમણે લખ્યું, "ઓપરેશન સિંદૂરમાં 1.4 અબજથી વધુ ભારતીયો એક થઈને ઉભા રહ્યા. નિશ્ચય અને સંયમ સાથે, ટીમ ઇન્ડિયા! માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં અને ત્રણેય સંરક્ષણ દળોના અથાક પ્રયાસોથી અદભૂત ટીમવર્ક જોવા મળ્યું. સરહદી વિસ્તારોના બહાદુર રક્ષકો અને નાગરિકોનો ખાસ આભાર. જય હિંદ!" આ પોસ્ટમાં સચિને દેશની એકતા અને આતંકવાદ સામેની લડાઈમાં સૈનિકોની બહાદુરીના વખાણ કર્યા.
View this post on Instagram
PM મોદીનું રાષ્ટ્રીય સંબોધન
સચિનની આ પોસ્ટ પહેલાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાષ્ટ્રને વીડિયો સંબોધન કરીને આતંકવાદ સામે ભારતની કડક નીતિનો પુનરોચ્ચાર કર્યો. તેમણે પાકિસ્તાનને આતંકવાદનું મુખ્ય કેન્દ્ર ગણાવ્યું અને 'પરમાણુ બ્લેકમેલ'ની ધમકીઓ છતાં ભારતના કડક જવાબની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. PM મોદીએ પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું, "આતંક અને વાતચીત, આતંક અને વેપાર, કે પાણી અને લોહી એકસાથે ન ચાલી શકે. પાકિસ્તાન સાથે ફક્ત આતંકવાદના મુદ્દે જ વાત થશે."
ભારતની મજબૂત હવાઈ સંરક્ષા
PM મોદીએ તેમના સંબોધનમાં ભારતની મજબૂત હવાઈ સંરક્ષણ પ્રણાલીની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલો દ્વારા ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતની અદ્યતન હવાઈ સંરક્ષણ વ્યવસ્થાએ આ હુમલાઓને આકાશમાં જ નાશ કર્યા. PM મોદીએ ઉમેર્યું કે જ્યારે પાકિસ્તાન સરહદ પર હુમલાની તૈયારી કરી રહ્યું હતું, ત્યારે ભારતે પાકિસ્તાનની છાતી પર પ્રહાર કર્યો, જે દેશની શક્તિ અને સંકલ્પનું પ્રતીક છે.
પાકિસ્તાનનો આતંકવાદી માળખો
વડા પ્રધાને પાકિસ્તાનની સેના અને સરકાર પર આતંકવાદને પોષવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, પાકિસ્તાનનું આતંકવાદી માળખું તેના પોતાના વિનાશનું કારણ બનશે. જો પાકિસ્તાને ટકી રહેવું હોય, તો તેણે આ માળખાને સંપૂર્ણપણે નષ્ટ કરવું પડશે. PM મોદીએ વૈશ્વિક સમુદાયને પણ આતંકવાદ સામે એકજૂટ થવા અપીલ કરી.
સચિનનો આતંકવાદ વિરોધી સંદેશ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન અને સદીના રેકોર્ડ ધરાવતા સચિન તેંડુલકરે આ પહેલાં પણ 'ઓપરેશન સિંદૂર'ના પ્રયાસોની પ્રશંસા કરી હતી. 7 મેના રોજ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં તેમણે લખ્યું, "એકતામાં નિર્ભય, શક્તિમાં અનંત. ભારતની ઠાલ તેના નાગરિકો છે. આતંકવાદ માટે આ દુનિયામાં કોઈ સ્થાન નથી. અમે એક ટીમ છીએ!" આ સંદેશ દ્વારા સચિને દેશની એકતા અને આતંકવાદ સામેની લડાઈને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો.
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે, 'ઓપરેશન સિંદૂર' ભારતની આતંકવાદ વિરોધી નીતિ અને સંરક્ષણ દળોની શક્તિનું ઉદાહરણ બની ગયું છે. સચિન તેંડુલકરની પોસ્ટ અને PM મોદીના સંબોધનથી દેશવાસીઓમાં એકતા અને રાષ્ટ્રભક્તિનો સંદેશ ફેલાયો છે. આ ઓપરેશન દ્વારા ભારતે વિશ્વ સમક્ષ સ્પષ્ટ કર્યું છે કે આતંકવાદ સામે તેની ઝીરો ટોલરન્સ નીતિ અડગ રહેશે.
આ પણ વાંચો : IPL 2025 નું નવું શેડ્યૂલ જાહેર થતા જ ઇંગ્લેન્ડના ખેલાડીઓ મૂંઝવણમાં આવ્યા, જાણો શું થયું