T20 World Cup : બાંગ્લાદેશની ટીમ ભારતમાં રમવા નહીં આવે
- IPL માં બાંગ્લાદેશી ખેલાડીને લઇને મોટો વિવાદ સર્જાયો હતો
- વિવાદ બાદ બાંગ્લાદેશી ખીલાડીને રમાડવાનો નિર્ણય બદલવામાં આવ્યો છે
- આગામી T 20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશની ટીમ ભારત નહીં આવવાની જાહેરાત કરાઇ
Bangladesh Will Not Travel to India for T20 World Cup : બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે 7 ફેબ્રુઆરીથી ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે યોજાનારા T20 વર્લ્ડ કપ માટે ભારતનો પ્રવાસ નહીં કરવાનો નિર્ણય લીધો છે. બોર્ડે તાત્કાલિક અસરથી IPLમાં રમવા માટે મુસ્તફિઝુર રહેમાનના NOC રદ કરવાનો પણ નિર્ણય લીધો છે. BCB અને સંબંધિત અધિકારીઓ વચ્ચેની બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આનો અર્થ એ થયો કે, જો KKR પોતાનો નિર્ણય બદલી નાખે તો પણ BCB સુરક્ષાના કારણોસર મુસ્તફિઝુર રહેમાનને IPLમાં રમવાની મંજૂરી આપશે નહીં.
સરકારે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના નિર્ણયને મંજૂરી આપી
અગાઉ, કોલકાતા નાઈટ રાઈડર્સ ફ્રેન્ચાઈઝીએ BCCIના નિર્દેશો પર મુસ્તફિઝુર રહેમાનને IPLમાંથી છુટ્ટો કર્યો હતો. મુસ્તફિઝુર રહેમાનની મુક્તિ બાદ, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે શનિવારે મોડી રાત્રે કટોકટી બેઠક બોલાવી હતી. રવિવારે, બાંગ્લાદેશ રમતગમત મંત્રાલયના સલાહકાર ડૉ. આસિફ નજરુલે તેમના સત્તાવાર ફેસબુક હેન્ડલ પર પોસ્ટ કરીને T20 વર્લ્ડ કપ માટે ભારતનો પ્રવાસ નહીં કરવાના બાંગ્લાદેશના નિર્ણયની પુષ્ટિ કરી હતી. ડૉ. આસિફના જણાવ્યા અનુસાર, સરકારે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના નિર્ણયને મંજૂરી આપી છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ આ બાબતે ICCને પત્ર લખીને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરશે. બાંગ્લાદેશ હવે માંગ કરશે કે, તેની બધી મેચ શ્રીલંકામાં રમાય.
બાંગ્લાદેશને ગ્રુપ સીમાં રાખવામાં આવ્યું
વર્લ્ડ કપમાં, બાંગ્લાદેશ ગ્રુપ સીમાં ઈંગ્લેન્ડ, ઈટાલી, નેપાળ અને વેસ્ટ ઈન્ડિઝ સાથે છે. બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ 7 ફેબ્રુઆરીએ કોલકાતામાં વેસ્ટ ઈન્ડિઝ, 9 ફેબ્રુઆરીએ ઈટાલી અને 14 ફેબ્રુઆરીએ ઈંગ્લેન્ડ સામે T20 વર્લ્ડ કપમાં રમશે. બાંગ્લાદેશ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં તેની ચોથી ગ્રુપ મેચમાં નેપાળ સામે રમનાર છે.
બોર્ડ મીટિંગમાં પોતાનો વિચાર બદલી નાખ્યો
અહેવાલો અનુસાર, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે અગાઉ સુરક્ષાની સ્થિતિ વિશે પૂછપરછ કરવા માટે ICC અને BCCI ને પત્ર મોકલવાનો નિર્ણય લીધો હતો. જો કે, બાદમાં મોટાભાગના ડિરેક્ટરોની હાજરીમાં બોર્ડ મીટિંગમાં તેણે પોતાનો વિચાર બદલી નાખ્યો છે. એવું માનવામાં આવે છે કે, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ આ સંદર્ભે સત્તાવાર પ્રેસ રિલીઝ જારી કરી શકે છે.
ટીકાનો સામનો કરવો પડ્યો
તાજેતરમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર વધી રહેલા હુમલાઓ વચ્ચે BCCI, કોલકાતા નાઈટ રાઈડર્સ અને KKR ના સહ-માલિક અને બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને બાંગ્લાદેશી ક્રિકેટરના IPL ટીમ સાથે કરાર કરવા બદલ ટીકાનો સામનો કરવો પડ્યો હતો. શાસક પક્ષના કેટલાક નેતાઓએ હાલની પરિસ્થિતિમાં બોલરને ટીમમાં સમાવવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા.
રિપ્લેસમેન્ટ ખેલાડી પસંદ કરવાની મંજૂરી મળી શકે
નોંધનીય છે કે, KKR એ ગયા મહિને ખેલાડીઓની હરાજીમાં ડાબોડી ફાસ્ટ બોલર રહેમાનને રૂ. 9.20 કરોડમાં ખરીદ્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ સાથેની મુશ્કેલ બોલી પ્રક્રિયા પછી, KKR 30 વર્ષીય બોલરને તેની ટીમમાં ઉમેરવામાં સફળ રહ્યું. BCCI એ જણાવ્યું હતું કે, 26 માર્ચથી શરૂ થનારી લીગ માટે જો જરૂર પડે તો KKR ને રિપ્લેસમેન્ટ ખેલાડી પસંદ કરવાની મંજૂરી આપવામાં આવશે.
આ પણ વાંચો ------- Indian Hockey Team ના નવા કોચ તરીકે Sjoerd Marijne ની પુન:નિયુક્તિ


