શું હવે વિનેશને ન્યાય નહીં મળે?
આ પહેલા એવું માનવામાં આવતું હતું કે આ મામલામાં 16 ઓગસ્ટે ચુકાદો આવશે, પરંતુ CASએ અચાનક નિર્ણય લઈને વિનેશ (Vinesh) ની અપીલને નકારી દીધી છે. ત્યારે હવે સવાલ એ ઉભો થાય છે કે, શું કોઇ રસ્તો નથી જે રીતે વિનેશને ન્યાય મળી શકે? તો જવાબ છે હા. CAS દ્વારા અપીલ નકારી કાઢ્યા બાદ પણ વિનેશ ફોગાટ (Vinesh Phogat) પાસે CASના આ નિર્ણય સામે ફરી અપીલ કરવાની તક છે. જેના પર ફરીથી સુનાવણી થઈ શકે છે. આ મામલે વિનેશની તરફથી દેશના ટોચના વકીલો હરીશ સાલ્વે અને વિદુષ્પત સિંઘાનિયાએ રજૂઆત કરી છે.
ફોગાટના કેસમાં CAS માં ફરી થશે સુનાવણી?
જણાવી દઈએ કે વિનેશ ફોગાટ કેસનો CASમાં દેશના ટોચના વકીલ હરીશ સાલ્વે અને વિદુષ્પત સિંઘાનિયા દ્વારા બચાવ કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં જ તેણે કોર્ટમાં વિનેશ ફોગટ (Vinesh Phogat) નો પક્ષ પણ રજૂ કર્યો હતો. પહેલા આ મામલે નિર્ણય 11 ઓગસ્ટે આવવાનો હતો, પરંતુ બાદમાં તેને 13 ઓગસ્ટ અને પછી 16 ઓગસ્ટ સુધી મુલતવી રાખવામાં આવ્યો હતો. વિનેશે તેના કેસમાં યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (UWW) અને ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)ના નિર્ણયો વિરુદ્ધ અપીલ કરી હતી. આ કેસમાં ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)નું પ્રતિનિધિત્વ વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે દ્વારા કરવામાં આવ્યું હતું. વકીલોએ કોર્ટમાં દલીલ કરી હતી કે ફાઈનલ પહેલા વિનેશનું વજન 50 કિલોથી ઓછું હતું, પરંતુ નેચરલ રિકવરી પ્રક્રિયાને કારણે તેમાં 100 ગ્રામનો વધારો થયો હતો. વિનેશે રમતના નિયમો તોડ્યા નથી કે કોઈ છેતરપિંડી કરી નથી. તમારા શરીરની કાળજી લેવી એ પણ દરેક રમતવીરનો મૂળભૂત અધિકાર છે.
CAS એ રોમાનિયન એથ્લેટને મેડલ આપ્યો
જણાવી દઈએ કે, CASએ અગાઉ એક એથ્લેટને મેડલ આપીને વિનેશની આશા જીવંત રાખી હતી. CAS એ પોતાનો નિર્ણય રોમાનિયન એથ્લેટ એના બાર્બોસુની તરફેણમાં આપ્યો હતો. બાર્બોસુની અપીલ પર, તેને ફરીથી બ્રોન્ઝ મેડલ આપવામાં આવ્યો હતો. જોકે, વિનેશ અને બાર્બોસુનો મામલો અલગ છે. વિનેશના કિસ્સામાં, કુસ્તીની સર્વોચ્ચ સંસ્થા UWW એ નિયમોનું પાલન કર્યું હતું. અગાઉ UWW એ વિનેશના કેસમાં કહ્યું હતું કે બધું નિયમો મુજબ થયું છે. આવી સ્થિતિમાં તેઓ આ મામલે કંઈ કરી શકતા નથી.
શું છે સમગ્ર મામલો?
ઉલ્લેખનીય છે કે, વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાં 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ રેસલિંગ ફાઇનલમાં 100 ગ્રામ વધારે વજન હોવાના કારણે ગેરલાયક ઠેરવવામાં આવી હતી. જેના કારણે તે ફાઈનલ રમી શકી નહોતી. જો વિનેશે ફાઈનલ રમી હોત તો તે ગોલ્ડ જીતી શકી હોત, અન્યથા તેને ઓછામાં ઓછો સિલ્વર મેડલ મળ્યો હોત, પરંતુ ડિસક્વોલિફાઈ થયા બાદ તેનું મેડલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું. આ કેસના એક દિવસ પછી વિનેશે નિવૃત્તિની જાહેરાત પણ કરી હતી. વિનેશના એલિમિનેશન બાદ ક્યુબાના કુસ્તીબાજ યુસ્નેલિસ ગુઝમેન લોપેઝને ફાઇનલમાં રમવાની તક મળી. જેમાં તેને હાર બાદ સિલ્વર મળ્યો હતો. વિનેશે લોપેઝ સાથે સંયુક્ત રીતે સિલ્વર મેડલની માંગણી કરી હતી. કુસ્તીબાજ 17 ઓગસ્ટે દિલ્હી પરત ફરી રહ્યો છે.
આ પણ વાંચો: ઓલિમ્પિક મેડલને લઇને ભારતને મોટો ઝટકો, વિનેશને નહીં મળે હવે કોઇ મેડલ