Studio On Wheels: દાંતા સ્ટેટના રાજા સાહેબ સાથે ખાસ વાતચીત, જુઓ રજવાડાની રોચક અને અજાણી સફર
- Studio On Wheels હેઠળ દાંતા સ્ટેટના રાજા મહારાજ સાહેબ પરમવીરસિંહ પરમારજી વિશેષ સંવાદ
- રાજા સાહેબની ઐતિહાસિક વાતચીતમાં મોટા ખુલાસા થયા
- અલાઉદ્દીન ખિલજીની તલવારથી અંબાજી મંદિરના રહસ્ય સુધી વિશેષ સંવાદ
- હિંદુ સનાતન સંસ્કૃતિ બચાવવા ચૂંટણી લડીશું: રાજા પરમવીરસિંહનું નિવેદન
Studio On Wheels: ગુજરાત ફર્સ્ટના વિશેષ અભિયાન 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ'માં (Studio On Wheels) હેઠળ ગુજરાત ફર્સ્ટની ટીમે દાંતા સ્ટેટના રાજા મહારાજ સાહેબ પરમવીરસિંહ પરમારજી (Raja Paramvir Singh) સાથે એક વિશેષ સંવાદ કર્યો હતો. આ વાતચીતમાં રાજા સાહેબે તેમના વંશના ઇતિહાસ, આધ્યાત્મિક વારસા, અંબાજી મંદિર સાથેના જોડાણ અને વર્તમાન રાજકીય-સામાજિક મુદ્દાઓ પર વિસ્તારથી વાત કરી હતી.
પરમાર વંશનો ઐતિહાસિક વારસો, બારડ પરમારની ઉત્પત્તિ
રાજા સાહેબ પરમવીરસિંહ પરમારજીએ વાતચીતમાં જણાવ્યું કે, "અમે બારડ પરમાર છીએ, અમારો ઇતિહાસ આધ્યાત્મિક છે." તેમણે વંશની ઉત્પત્તિ વિશે વિસ્તારથી વર્ણન કર્યું. તેમના મુજબ, મહારાજ બાલ કુમાર જ્યારે રડતા હતા ત્યારે દેવી માતાએ કહ્યું, "બાળ રડ મા." ત્યારથી આ વંશને 'બારડ' તરીકે ઓળખવામાં આવ્યો. તેમના જણાવ્યા મુજબ પરમાર વંશની મૂળ રાજધાની સિંધ પ્રદેશમાં 'નગરઠ્ઠા' હતી, જે આજે પાકિસ્તાનમાં આવેલું છે. મહારાજા જસરાજસિંહજી નગરઠ્ઠા સિંધના ગાદીપતી હતા.
પૂર્વજોના વીરતાની વાત કરતા રાજા સાહેબ પરમવીરસિંહ પરમારજીએ શું કહ્યું ?
વઘુમાં તેમણે કહયુ કે, વિક્રમ સંવત 1101માં અમે નગરઠ્ઠા સિંધ પ્રદેશથી નીકળ્યા હતા. પહેલા ચંદ્રાવતી (માઉન્ટ આબુ રોડ પર આવેલું)માં રાજધાનીની સ્થાપના થઈ, જ્યાં આજે પણ તેના પુરાવા જોવા મળે છે. ત્યારબાદ ચંદ્રાવતીથી 28 કિલોમીટર આગળ તરસંગમાં રાજધાની સ્થાપિત થઈ. અંતે દાંતા આવ્યા ત્યારે એક સાથે ત્રણ ગાદી પર રાજતિલક થયા. રાજા સાહેબે કહ્યું કે, "સિંધ પ્રદેશથી લઈને ગુજરાત સુધી પરમાર રાજ્ય કહેવાતું હતું. તે સમયે ગાંધારથી લઈને શ્રીલંકા સુધી અખંડ ભારત કહેવાતું હતું." વધુમાં તેમણે પૂર્વજોની વીરતાની વાત કરતા જણાવ્યું કે, પરમાર વંશે અલાઉદ્દીન ખિલજી સાથે યુદ્ધ કર્યું હતું. અલાઉદ્દીન ખિલજીની તલવાર અમે ખેંચી લીધી અને મા ભગવતીને સમર્પિત કરી દીધી.
અંબાજી મંદિર સાથે અટુટ જોડાણ
આ વાતચીતમાં અંબાજી મંદિરના ઇતિહાસ પર વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો. રાજા સાહેબે જણાવ્યું કે, અંબાજી મંદિરની પહેલી ઈંટ વિક્રમ સંવત 1101માં મુકવામાં આવી હતી અને 1136માં તેનું નિર્માણ પૂર્ણ થયું. તે જ વર્ષે મંદિરમાં શ્રી યંત્રની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. "અંબાજી મંદિરમાં જે દેવી છે તે અમારા રાજ પરિવારની કુળ દેવી છે. મંદિરની નીજ પુજા રાજ પરિવાર દ્વારા થાય છે," તેમણે વધુમાં કહ્યું કે, ગબ્બર પર્વત પર મા અંબાની જ્યોત છે, જ્યારે અંબાજી મંદિરમાં શ્રી યંત્રની પુજા થાય છે. રાજગડીમાં માતાજીની સવા નવ ઈંચની મૂર્તિ છે. મહારાજા જસરાજી તરસંગની ગાદી પર બેઠા હતા ત્યારે વર્ષમાં એક વખત સિંધમાં દર્શન કરવા જતા હતા. તે સમયે દેવી શક્તિ સાથે સીધો સંવાદ થતો હતો, એમ તેમણે ઉલ્લેખ કર્યો.
મુઘલ કાળની ઐતિહાસિક વાર્તાઓ
રાજા સાહેબે મુઘલ કાળની રસપ્રદ વાર્તાઓ પણ શેર કરી. તેમણે જણાવ્યું કે, જ્યારે સલીમે તેમના પિતા અકબરની વિરુદ્ધ બગાવત કરી ત્યારે તરસંગમાં તેમને શરણ આપવામાં આવી હતી. પછી દિલ્હી જઈને સલીમ શહેનશાહ બન્યા અને તેમણે મહારાજાને 'શરણાગત સાધાર'નું ટાઈટલ આપ્યું. વધુમાં, તેમણે કહ્યું કે, બકિંગહામ પેલેસમાં આવેલી ગોલ્ડન ચેર અમે ગિફ્ટ કરી છે.
વ્યક્તિગત જીવન અને સમાજસેવા
38 વર્ષના રાજા શ્રી પરમવીરસિંહ પરમારજીએ તેમના વ્યક્તિગત જીવન વિશે વાત કરતા જણાવ્યું કે, "હું 8 વર્ષનો હતો ત્યારથી પૂજા-પાઠ શરૂ કરી દીધા હતા, નેગેટિવ ઊર્જા હોય તો સમજો પોઝિટિવ ઊર્જા પણ છે." તેમણે અનેક મંદિરો બનાવ્યા છે અને તેમના સમયગાળા દરમિયાન 99 મંદિરોનું નિર્માણ કર્યું છે. તેમની ગૌશાળામાં 43 ગૌ માતા છે. તેમણે કહ્યું કે, "ગૌ, બ્રાહ્મણ, અબલા-નાર અને ચૌથા બાલ અનાથની રક્ષા કરવા જ પરશુરામજીએ યજ્ઞ દ્વારા અમને ઉત્પન્ન કર્યા છે."રાજા સાહેબે કહ્યું કે, " મારા પિતા શ્રી રઘુવીરસિંહ હનુમાન દાદાના ભક્ત હતા,
વર્તમાન રાજકીય અને સામાજિક મુદ્દાઓ પર વિચારો
રાજા સાહેબે વર્તમાન પરિસ્થિતિ પર વાત કરતા જણાવ્યું કે, "દેશમાં ષડયંત્રો ચાલી રહ્યા છે, પરંતુ સંતોષ એ છે કે દેશમાં મોદી સરકાર છે." તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શક્તિના ઉપાસક તરીકે વર્ણવ્યા અને કહ્યું કે, "રામ મંદિરના નિર્માણનું કોઈએ વિચાર્યું ન હતું, પરંતુ તે સંભવ થયું." તેમણે અંબાજી મંદિર પર મોદીજીની હંમેશા નજર રહે છે એમ ઉલ્લેખ કર્યો
પાર્ટી કહેશે તો ચૂંટણીમાં ઉતરીશું: દાંતા સ્ટેટના મહારાજા સાહેબ
રાજનીતિ વિશે વાત કરતા તેમણે કહ્યું કે, "રાજનીતિમાં છીએ, પાર્ટી કહેશે તો ચૂંટણીમાં ઉતરીશું. હિંદૂ સનાતન સંસ્કૃતિને બચાવવા માટે ચૂંટણી લડીશું." તેમણે દાંતાને પછાતની છબીમાંથી બહાર કાઢવા પ્રયાસો કરવાની વાત કરી. વધુમાં, તેમણે RSSના ભગવા ધ્વજને સ્વરાજનો ધ્વજ તરીકે વર્ણવ્યો.
ગુજરાત ફર્સ્ટનો અથાગ સંકલ્પ
'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' ગુજરાત ફર્સ્ટના અભિયાનનો ભાગ છે, જેમાં 34 જિલ્લાઓમાં આવી જ સફર કરવાનો સંકલ્પ છે. 90 દિવસમાં 10 હજાર કિલોમીટરની યાત્રા દરમિયાન સ્થાનિક પ્રશ્નોને વાચા આપવામાં આવશે. આ અભિયાનમાં ધર્મ-ધરોહરથી લઈને વિરાસતથી વિકાસ સુધી અને રાજનીતિથી ગ્રાઉન્ડ રિયાલિટી સુધીના વિષયોને આવરી લેવામાં આવશે. જેમાં નેતા, અભિનેતા અને લોક કલાકારો સાથે ચર્ચા કરવામાં આવશે. ગુજરાત ફર્સ્ટની ટીમ તમારા જિલ્લામાં આવીને અજાણી વાતો પર પ્રકાશ પાડશે.
આ પણ વાંચો: Studio On Wheels: આ.. ભામાશાએ તો 'દાન'ની સરાવણી વહાવી સૌનું 'દિલ' જીતી લીધું !


