Studio on Wheels:"મેં છૂટાછેડા આપ્યા પણ ગાવાનું બંધ ના કર્યું", જ્યારે દેવિકાબેન રબારીએ સંગીત માટે લીધો જીવનનો સૌથી કઠોર નિર્ણય!
- 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) માં ગુજરાતના લોકપ્રિય ગાયિકા દેવિકાબેન રબારી (Devikaben Rabari ) સાથે ખાસ વાતચીત
- દેવિકાબેને (Devikaben Rabari ) તેમના જીવનનાએ પાસાઓ ઉજાગર કર્યા જે અત્યાર સુધી દુનિયાથી અજાણ હતા
- શાળાના આચાર્યની એક સલાહ અને બદલાઈ ગયું આખું નસીબ
- દરેક સ્ત્રી માટે પ્રેરણારૂપ છે દેવિકાબેન રબારીની આ વાત
- બાળ લગ્નના બંધનથી લોકગાયિકા સુધીની સફર
Studio on Wheels: જીવનમાં જ્યારે સંઘર્ષ અપાર હોય અને સામે સવાલો હજાર હોય, ત્યારે માત્ર અડગ મનોબળ જ વ્યક્તિને સફળતાના શિખરે પહોંચાડી શકે છે. ગુજરાતના લોકપ્રિય ગાયિકા દેવિકાબેન રબારી (Devikaben Rabari) ની જીવન સફર પણ કંઈક આવી જ છે. તાજેતરમાં 'ગુજરાત ફર્સ્ટ' ના વિશેષ કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) માં ઉમંગ રાવલ (Umang Raval) સાથેની ખાસ વાતચીતમાં દેવિકાબેને તેમના જીવનના એ પાસાઓ ઉજાગર કર્યા જે અત્યાર સુધી દુનિયાથી અજાણ હતા.
લીંબાળાની એ 'દેવી' જેણે શાળાના આંગણેથી સૂર છેડ્યા
વાવ-થરાદના લીંબાળા ગામની ગલીઓમાં ઉછરેલી એક નાનકડી બાળકી, જેને સૌ પ્રેમથી 'દેવી' કહીને બોલાવતા, તેનામાં સરસ્વતીનો વાસ છે તે પારખવામાં તેના શિક્ષકોએ કોઈ ભૂલ નહોતી કરી. દેવિકાબેને જણાવ્યું કે, "શાળામાં અભ્યાસ દરમિયાન શિક્ષકો પહેલા મને ગાવાનું કહેતા. ભજન, કીર્તન અને ગરબા ગાઈને મેં મારા સંગીતની શરૂઆત કરી હતી." શાળાના આચાર્યએ તેમનામાં છુપાયેલી આ પ્રતિભાને ઓળખી અને તેમના પરિવારને પ્રોત્સાહિત કર્યા, જે દેવિકાબેન માટે વળાંક સાબિત થયો.
Studio on Wheels: સંઘર્ષ અપાર! બાળલગ્ન સામે લડીને Devikaben Rabari એ બનાવ્યું નામ | with Umang Raval
સંઘર્ષ અપાર, સવાલો હજાર... પણ માં સરસ્વતીના આશીર્વાદ અને અડગ મનોબળ સાથે જેઓ બન્યા ગુજરાતના લોકપ્રિય લોકગાયિકા, તેવા Devikaben Rabari સાથે Studio On Wheels માં Umang Raval એ… pic.twitter.com/Gj1cLN4vut
— Gujarat First (@GujaratFirst) January 29, 2026
બાળ લગ્ન અને છૂટાછેડા: સામાજિક બેડીઓ તોડીને સંગીતને અપનાવ્યું
દેવિકાબેનનું જીવન ફૂલોની પથારી નહોતું. નાની ઉંમરે જ તેમના 'બાળ લગ્ન' થઈ ગયા હતા. એક તરફ રૂઢિચુસ્ત સમાજની મર્યાદાઓ હતી અને બીજી તરફ સંગીત પ્રત્યેનો અખૂટ પ્રેમ. લગ્ન બાદ અનેક મુશ્કેલીઓ આવી, પરંતુ તેમણે હિંમત હારી નહીં. તેમણે અત્યંત કઠોર અને સાહસિક નિર્ણય લેતા જણાવ્યું કે, "મેં છૂટાછેડા આપ્યા પણ ગાવાનું બંધ ના કર્યું." એક સ્ત્રી માટે તે સમયના સમાજમાં આ નિર્ણય લેવો ખૂબ જ પડકારજનક હતો, પરંતુ કલા પ્રત્યેની તેમની નિષ્ઠા અડગ રહી.
શ્રી કૃષ્ણની ભક્તિ અને પરિવારનો સાથ
દેવિકાબેનની સફળતા પાછળ તેમનો શ્રી કૃષ્ણ પ્રત્યેનો અતૂટ વિશ્વાસ છે. તેઓ કહે છે કે, "ભગવાન શ્રી કૃષ્ણ મને ખૂબ વાહલા છે, તેમના માટે મેં અનેક ગીતો ગાયા છે." આ સંઘર્ષના સમયમાં તેમના માતા-પિતા અને પરિવારે તેમનો હાથ પકડી રાખ્યો, જેના કારણે આજે તેઓ 'દેવી' માંથી આખા ગુજરાતના લાડકા 'દેવિકાબેન રબારી' બની શક્યા છે. ગુજરાતી સંગીતના ભવિષ્ય અંગે તેઓ ખૂબ જ આશાવાદી છે.


