Studio On Wheels : વિશ્વનું પ્રથમ 'રોટલીયા હનુમાન' મંદિર, જાણો શું છે આ અનોખી પરંપરા પાછળનું કારણ?
- ગુજરાત ફર્સ્ટ (Gujarat first) નો સ્ટુડિયો ઓન વ્હીલ્સ (Studio On Wheels) પહોંચ્યું પાટણ (Patan)
- પાટણના ગોલ્ડન ચોકડીથી ડેરી રોડ પર આવેલું અનોખું રોટલીયા હનુમાન મંદિર (Rotliya Hanuman Temple)
- 'રોટલીયા હનુમાન' મંદિરે તેલ-સિંદૂરને બદલે ધરાવાય છે રોટલીઓનો પ્રસાદ
- ભક્તિ સાથે જીવદયાનું અનોખું મિલન, માનતા પૂરી થાય તો ભક્તો ચઢાવે છે રોટલી
- હજારો રોટલીઓ બને છે મૂંગા પશુઓનું અન્ન ,ગાય અને શ્વાનોને ખવડાવવામાં આવે છે પ્રસાદ
Studio On Wheels : ગુજરાતના ઐતિહાસિક શહેર પાટણ (Patan) માં ભક્તિ અને માનવતાનું એક એવું ઉદાહરણ જોવા મળે છે જે કદાચ સમગ્ર વિશ્વમાં અનોખું છે. સામાન્ય રીતે હનુમાનજીના મંદિરે તેલ, સિંદૂર કે બુંદીના લાડુ ચઢાવવાની પરંપરા હોય છે, પરંતુ પાટણના ગોલ્ડન ચોકડીથી ડેરી રોડ પર આવેલું રોટલીયા હનુમાન મંદિર (Rotliya Hanuman Temple) આ બાબતે સાવ અલગ તરી આવે છે. અહીં શ્રદ્ધાળુઓ દાદાને ગરમાગરમ રોટલીઓનો પ્રસાદ અર્પણ કરે છે. આ અનોખા મંદિર વિશે જાણવા માટે ગુજરાત ફર્સ્ટ (Gujarat first) ની સ્ટુડિયો ઓન વ્હીલ્સની ટીમ પણ રોટલીયા હનુમાન મંદિરે પહોંચી હતી.
Studio On Wheels : પાટણના 'રોટલીયા હનુમાન' મંદિરે તેલ-સિંદૂરને બદલે ધરાવાય છે રોટલીઓનો પ્રસાદ
આ મંદિરની પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય 'નર સેવા એ જ નારાયણ સેવા' અને 'જીવદયા' (Animal Welfare) છે. પાટણના વતની સ્નેહલ પટેલ (Snehal Patel) ને આ અનોખો વિચાર આવ્યો હતો. તેમણે અને તેમના સાથીદારો જેમ કે રાજુભાઈ (Rajubhai) અને અન્ય ભક્તોએ મળીને એક એવી જગ્યાનું નિર્માણ કર્યું જ્યાં ધાર્મિક આસ્થાની સાથે મૂંગા પશુઓની જઠરાગ્નિ પણ ઠારી શકાય. આ મંદિરની ટેગલાઈન 'જગતના પ્રથમ એવા શ્રી રોટલીયા હનુમાન' રાખવામાં આવી છે.
અનોખી પ્રસાદ પરંપરા
મંદિરના વહીવટકર્તાઓ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે અહીં માત્ર રોટલી કે રોટલાનો જ પ્રસાદ ચઢાવવામાં આવશે. શ્રીફળ, સિંદૂર કે અન્ય કોઈ મીઠાઈ અહીં સ્વીકારવામાં આવતી નથી. ભક્તો પોતાની માનતા પૂરી થતા સવા મણ, બે મણ કે શક્તિ મુજબ રોટલીઓ અર્પણ કરે છે. મંગળવાર અને શનિવારે અહીં રોટલીઓના ગંજ ખડકાય છે.
આધુનિક વ્યવસ્થા અને તુલા વિધિ
મંદિરમાં ભક્તોની સુવિધા માટે રોટલી બનાવવાનું મશીન (Roti Making Machine)પણ વસાવવામાં આવ્યું છે, જે પ્રતિ કલાક અંદાજે 1400 રોટલીઓ તૈયાર કરે છે. આ ઉપરાંત, અહીં 'તુલા' ની પણ વિશેષ વ્યવસ્થા છે. કોઈ શ્રદ્ધાળુ પોતાના બાળક કે વડીલની યાદમાં તેમના વજન બરોબર રોટલીઓ જોખીને દાદાને અર્પણ કરી શકે છે.
મૂંગા જીવો માટે અન્નપૂર્ણા
ભગવાનને ધરાવેલો આ પ્રસાદ વ્યર્થ જતો નથી. એકત્રિત થયેલી હજારો રોટલીઓને પાટણ શહેરના રસ્તાઓ પર રખડતા ગાયો (Cows) અને શ્વાનો (Dogs) ને ખવડાવવામાં આવે છે. આ રીતે, ભક્તોની આસ્થા મૂંગા જીવો માટે ભોજન બની જાય છે.
ચમત્કારિક અનુભવો
અહીં આવતા શ્રદ્ધાળુઓ પોતાના અનુભવો વર્ણવતા જણાવે છે કે માત્ર મનમાં ઈચ્છા રાખવાથી કે પાંચ રોટલીની માનતા રાખવાથી પણ તેમના અટકેલા કાર્યો પૂર્ણ થાય છે. આસ્થા અને સેવાના આ કેન્દ્રમાં હવે શિવજી અને નાગદેવતાના સ્થાનક પણ સ્થાપિત કરવામાં આવ્યા છે.


