બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કેમ કરવું પડ્યું?
કલેક્ટર મિહિરભાઈ પટેલે જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લો ગુજરાતના સૌથી વિશાળ જિલ્લાઓમાંનો એક છે, જેના કારણે વહીવટી વ્યવસ્થા અને સેવાઓ પહોંચાડવામાં અનેક અડચણો આવતી હતી. "વિભાજન પહેલા લોકોને ખૂબ હાલાકી પડતી હતી. જિલ્લાનું વિભાજન કરવું પડ્યું કારણ કે તેની વિશાળતા વહીવટને જટિલ બનાવી રહી હતી" તેમણે કહ્યું, હાલમાં જ બે નવા જિલ્લા બનાવવામાં આવ્યા છે, જેમાં વાવ-થરાદ જિલ્લો નવો ઉમેરો છે. આ વિભાજનથી 8 તાલુકા બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવ્યા છે, જ્યારે 6 તાલુકાનો સમાવેશ વાવ-થરાદ જિલ્લામાં કરવામાં આવ્યો છે. કુલ 14 તાલુકાના લોકોએ આ અંતિમ નિર્ણયને સ્વીકાર્યો છે.વિભાજનની પ્રક્રિયા અત્યંત પારદર્શક અને લોકભાગીદારીવાળી હતી.
1.5 લાખ લોકોના અભિપ્રાય બાદ લેવાયો નિર્ણય
કલેક્ટરે જણાવ્યું કે, "વિભાજન પહેલા અભિપ્રાય મંગાવવામાં આવ્યા હતા. દોઢ લાખ લોકોએ તેમના અભિપ્રાય આપ્યા હતા." આ અભિપ્રાયોના આધારે નિર્ણય લેવાયો, જેનાથી વહીવટી સરળતા વધી છે. વાવ-થરાદ જિલ્લાની કક્ષાની ઓફિસ થરાદમાં સ્થાપિત કરવામાં આવી છે, અને સમાન કક્ષાની કચેરીઓ બંને જિલ્લાઓમાં કાર્યરત છે.
શું વાવ-થરાદ જિલ્લો બનવાથી લોકોને ફાયદો થશે?
આ વિભાજનથી અધિકારીઓ પર કામનું ભારણ ઘટ્યું છે, અને લોકોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ થઈ શકશે. "વિભાજન થવાથી લોકોને સરકારની સેવાનો લાભ વધુ સરળતાથી મળશે," કલેક્ટરે ભારપૂર્વક જણાવ્યું.લોકોને મળનારા ફાયદા અને વિકાસનું વિઝનઆ વિભાજનથી લોકોને અનેક ફાયદા થશે તેવું કલેક્ટરનું વિઝન છે. વહીવટી સરળતા વધવાથી સરકારી સેવાઓની પહોંચ વધુ અસરકારક બનશે. તેમણે જણાવ્યું કે, "સમતુલન સાથેનો વિકાસ થાય તેવું કામ ચાલી રહ્યું છે." જિલ્લામાં પાણીની સમસ્યા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. "બનાસકાંઠા જિલ્લો પાણીદાર બની રહ્યો છે. ખેડૂતો પણ પહેલા કરતા વધુ સદ્ધર થઈ રહ્યા છે. જળ સંચય અભિયાન હવે રંગ લાવી રહ્યું છે,"
'શક્તિ કૉરિડોર' અને અંબાજીના વિકાસ પર નિખાલસ ચર્ચા
ઇન્ટરવ્યુમાં 'શક્તિ કૉરિડોર' મુદ્દે વિસ્તૃત વાત કરવામાં આવી હતી જેમાં કલેક્ટરે જણાવ્યું કે, અંબાજી ધામ 51 શક્તિપીઠમાં અગત્યનું સ્થાન ધરાવે છે, અને અહીં વર્ષે દોઢ કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આવે છે. તેઓ મા અંબા અને માતા નડેશ્વરીના દર્શન કરવા આવે છે. "શક્તિ કૉરિડોરનું ડેવલોપમેન્ટ થઈ રહ્યું છે. અંદાજે 1632 કરોડનો આ પ્રોજેક્ટ છે. અઢી કિલોમીટર જેટલો કૉરિડોર બનશે, જેનાથી ચાચર ચોકનું વિસ્તરણ થશે,"
પ્રોજેક્ટમાં જમીન મુદ્દે ચર્ચા
તેમણે જણાવ્યું કે, "સરકારી જમીન અને ખાનગી જમીન છે. સમજુતી સાથે જમીન લઈ રહ્યા છીએ. 15 પ્રોપર્ટી ધારકો સાથે સંવાદ ચાલે છે, અને 40 જેટલા માલિકો સાથે ચર્ચા સફળ થઈ છે," કલેક્ટરે કહ્યું, સરકાર સંવેદનશીલ અભિગમ રાખીને કામ કરી રહી છે. અંબાજી સાથે ભક્તોની આસ્થા જોડાયેલી છે, તેથી વિકાસ કાર્યોમાં તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.આ ઉપરાંત, અંબાજી રેલવે સ્ટેશનનું કામ ઝડપી ચાલી રહ્યું છે, અને બાયપાસનું કામ પણ પ્રગતિમાં છે. બોર્ડર પાસે 'સીમા દર્શન' પ્રોજેક્ટ છે, જેમાં છેલ્લા 5 વર્ષમાં 25 લાખ લોકોએ ભાગ લીધો છે. BSFના જવાનો સુરક્ષાની જવાબદારી નિભાવી રહ્યા છે. ડીસામાં જંગલ સફારીનું આયોજન થઈ રહ્યું છે, અને અંબાજી તારંગા હિલનું કામ પણ પ્રગતિમાં છે.
ગુજરાત ફર્સ્ટ'નું અભિયાન: સ્ટુડિયો ઓન વ્હીલ્સ
'ગુજરાત ફર્સ્ટ'ના વિશેષ અભિયાન 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ'ના ભાગરૂપે ગુજરાત ફર્સ્ટની ટીમ 34 જિલ્લાઓમાં સફર કરશે અને 90 દિવસમાં 10 હજાર કિલોમીટરની યાત્રા કરશે. અભિયાનનો ઉદ્દેશ સ્થાનિક પ્રશ્નોને વાચા આપવાનો છે, જેમાં ધર્મ-ધરોહરથી લઈને સ્વાદિષ્ટ સફર સુધી, વિરાસતથી લઈ વિકાસ સુધી અને રાજનીતિથી લઈ ગ્રાઉન્ડ રિયાલિટી સુધીના વિષયોને આવરી લેવામાં આવશે. નેતા, અભિનેતા અને લોક કલાકારો સાથે પણ ચર્ચા કરવામાં આવશે. "અમારી ટીમ આવશે તમારા જિલ્લામાં,ગુજરાત ફર્સ્ટ આવી રહ્યું છે તમારા આંગણે.
આ પણ વાંચો: Studio On Wheels: અંબાજીનો કાયાકલ્પ! ગબ્બર સુધી બની રહ્યો છે 'શક્તિ કૉરિડોર', ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ