Studio on Wheels: આંખની સુરક્ષા અને આધુનિક સારવાર અંગે ડૉ. પાર્થ રાણા સાથે વિશેષ સંવાદ, શું ચેતવણી આપી?
- Studio on Wheels માં ડૉ. પાર્થ રાણા સાથે વિશેષ સંવાદ
- અમદાવાદમાં આંખના પડદાની અત્યાધુનિક સારવાર
- "હું ડૉક્ટર છું, ભગવાન નથી; સમયસર તપાસ કરાવો": ડૉ. પાર્થ રાણાની ચેતવણી
- નેત્રાલય સુપર સ્પેશિયાલિટી આંખના જટિલ રોગો માટે આધુનિક ટેકનોલોજીનું સરનામું
- તમારા બાળકની આંખો બચાવવી હોય તો આજે જ સ્ક્રીન ટાઈમ ઘટાડો - ડૉ. પાર્થ રાણા
Studio on Wheels: Gujarat First ની Studio on Wheels ની ટીમ અમદાવાદ સ્થિત Netralaya Super Speciality Eye Hospital પહોંચી હતી, જ્યાં આંખના પડદાના નિષ્ણાંત (Retina Specialist) ડૉ. પાર્થ રાણા ( Dr. Parth Rana) સાથે ખાસ સંવાદ યોજાયો હતો. જેમાં ડાયાબિટીસ, ડિજિટલ લાઈફસ્ટાઈલ અને બાળકોની આંખો પર મંડરાતા જોખમો વિશે ડૉક્ટરે ચેતવણી આપી હતી.
Studio on Wheels માં ડૉ. પાર્થ રાણા સાથે વિશેષ સંવાદ
ડૉ. પાર્થ રાણાએ જણાવ્યું કે ડાયાબિટીસ માત્ર કિડની જ નહીં, પરંતુ આંખના પડદાને પણ ગંભીર નુકસાન પહોંચાડે છે. ડાયાબિટીસના કારણે આંખમાં આવતા અંધાપાને ડાયાબિટીક રેટિનોપેથી કહેવામાં આવે છે. તેની સૌથી મોટી સમસ્યા એ છે કે શરૂઆતના તબક્કે દ્રષ્ટિમાં કોઈ ફેરફાર થતો નથી, પરિણામે દર્દી જ્યારે ડૉક્ટર પાસે પહોંચે છે ત્યારે સ્થિતિ ખૂબ જ ગંભીર (Advanced Stage) થઈ ગઈ હોય છે.
રેટિના ચેકઅપનું અનિવાર્ય મહત્વ
જો તમને ડાયાબિટીસ હોય, તો વર્ષમાં 1 વાર રેટિના ચેકઅપ કરાવવું ફરજિયાત છે. ડૉક્ટરે સ્પષ્ટતા કરી કે એડવાન્સ સ્ટેજ પર સારવાર માત્ર અઘરી જ નહીં, પણ અત્યંત ખર્ચાળ (Expensive) પણ બની જાય છે. આંખના પડદાના ઇન્જેક્શન મોંઘા હોય છે અને ઘણીવાર મેડિક્લેમ (Mediclaim) માં પણ કવર થતા નથી, જેના કારણે દર્દીના ખિસ્સા પર મોટો આર્થિક બોજ પડે છે. આ બધાથી બચવાનો એક જ શ્રેષ્ઠ રસ્તો સમયસર ચેકઅપ છે.
Studio on Wheels: આંખના પડદાના નિષ્ણાંત Dr. Parth Rana સાથે આંખની સુરક્ષા પર વિશેષ સંવાદ
નમસ્કાર દર્શક મિત્રો, 'Studio on Wheels' ના આ વિશેષ એપિસોડમાં આજે અમે એક એવા વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે આપણા સ્વાસ્થ્ય માટે અનિવાર્ય છે. #DrParthRana #NetralayaHospital #Ahmedabad… pic.twitter.com/R0u8ooChaM— Gujarat First (@GujaratFirst) May 11, 2026
ડિજિટલ સ્ક્રીન અને બાળકોનું ભવિષ્ય
આજના યુગમાં બાળકોમાં મોબાઈલનો વપરાશ વધવા માટે વાલીઓ જ મુખ્યત્વે જવાબદાર છે. ડૉક્ટરે ચેતવણી આપી કે સતત સ્ક્રીન સામે રહેવાથી બાળકોમાં માઇનસ નંબર (Myopia) નું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. જો આ રીતે જ ચાલશે તો આગામી 15 વર્ષમાં 50% બાળકો માઇનસ નંબરના ચશ્માં પહેરતા હશે. આ ઉપરાંત, બાળકોમાં આંખના કેન્સર (Retinoblastoma) ના કિસ્સાઓ પણ જોવા મળે છે, જેનું જો વહેલું નિદાન ન થાય તો જીવનું જોખમ વધી શકે છે.
આંસુની કિંમત અને ડ્રાય આઈ
આંસુ એ માત્ર પાણી નથી પણ આંખને પોષણ (Nutrition) અને ઓક્સિજન આપતું એક જટિલ પડ છે. એસી, પ્રદૂષણ અને સ્ક્રીન ટાઈમને કારણે ડ્રાય આઈની સમસ્યા સામાન્ય બની છે. નેત્રાલય ખાતે આ માટે લેટેસ્ટ લેસર ટ્રીટમેન્ટ (IRPL) ઉપલબ્ધ છે, જે ટીપાં નાખવાની કાયમી માથાકૂટમાંથી મુક્તિ અપાવી શકે છે. ડૉક્ટરે ખાસ સલાહ આપી કે આંખમાં પાણીની છાલકો મારવી (Splashing water) હાનિકારક છે, કારણ કે તે કુદરતી આંસુના પડને ધોઈ નાખે છે.
"હું ભગવાન નથી": સમયસર જાગૃતિની હાકલ
સંવાદના અંતે ડૉ. પાર્થ રાણાએ ખૂબ જ ગંભીરતાથી કહ્યું, "હું ડૉક્ટર છું, ભગવાન નથી; જો સમય વીતી જશે તો આંખ બચાવવી મુશ્કેલ છે." તેઓ ગમે તેટલી એડવાન્સ ટેકનોલોજી વાપરે, પણ જો પેશન્ટની બેદરકારીને કારણે દ્રષ્ટિ 90% નાશ પામી હોય, તો કોઈ પણ ડૉક્ટર તેને 100% પાછી લાવી શકતું નથી.


