Studio On Wheels: રબારી સમાજમાં પરિવર્તનનો શંખનાદ! MLA માવજીભાઈ દેસાઈના નેતૃત્વમાં ડીસામાં યોજાશે મહાસંમેલન
- ગુજરાત ફર્સ્ટની 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) ટીમે માવજીભાઈ દેસાઈ (Mavjibhai Desai) સાથે વિશેષ વાતચીત કરી
- ઉત્તર ગુજરાતના રબારી સમાજ (Rabari Samaj) માટે નવા બંધારણની રચના કરાશે
- 25 જાન્યુઆરીએ બનાસકાંઠાના (Banaskantha) ડીસા ખાતે મહાસંમેલનનું આયોજન
- સમાજના ભવિષ્ય, શિક્ષણ અને સુધારાની દિશા અંગે નિખાલસ વિચારો વ્યક્ત કર્યા
Studio On Wheels: હજારો વર્ષોની ભવ્ય સંસ્કૃતિ અને પરંપરા ધરાવતા રબારી સમાજમાં (Rabari Samaj) સુધારાના પવન ફૂંકાઈ રહ્યા છે. સમાજના અગ્રણી અને ધાનેરાના (Dhanera) ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના (Mavjibhai Desai) નેતૃત્વમાં, ઉત્તર ગુજરાતના રબારી સમાજ માટે નવા બંધારણની રચના કરવા માટે 25 જાન્યુઆરીએ બનાસકાંઠાના (Banaskantha) ડીસા ખાતે મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલન શ્રી એમ.એમ. દેસાઈ શૈક્ષણિક સંકુલમાં યોજાશે, જેમાં સમાજના આગેવાનો, પ્રતિનિધિઓ અને સભ્યો મોટી સંખ્યામાં ભાગ લેશે. ગુજરાત ફર્સ્ટની 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' ટીમે માવજીભાઈ દેસાઈ સાથે વિશેષ વાતચીત કરી, જેમાં તેમણે સમાજના ભવિષ્ય, શિક્ષણ અને સુધારાની દિશા અંગે નિખાલસ વિચારો વ્યક્ત કર્યા.
Studio On Wheels માં ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ (Mavjibhai Desai) સાથે વિશેષ વાતચીત
રબારી સમાજની મૂળ જડો સિંધ પ્રદેશમાં છે. ત્યાંથી રાજસ્થાન અને પછી ઘાસચારાની તંગીને કારણે ગુજરાત તથા કચ્છમાં ફેલાયેલો આ સમાજ આજે 133થી વધુ શાખાઓ અને પરગણાઓમાં વિખરાયેલો છે. માવજીભાઈ દેસાઈએ વાતચીતમાં જણાવ્યું કે, "સીંધ પ્રદેશથી રાજસ્થાન પછી ગુજરાતમાં આવ્યો સમાજ. રબારી સમાજની વર્ષો જૂની પોતાની પરંપરા છે અને પરંપરાઓના આધાર પર ચાલતો સમાજ છે." તેમણે ઉમેર્યું કે, રબારી સમાજમાં કોઠા સૂઝ ખૂબ છે, પરંતુ સમય સાથે પ્રથાઓમાં સુધારા કરવાની જરૂર છે.સમાજમાં પરંપરાગત રીતરિવાજોને કારણે કેટલીક પ્રથાઓ જેમ કે વધુ પડતા ખર્ચાળ લગ્ન અને દેખાદેખીના કારણે અનાવશ્યક વ્યય થતો હોય છે. માવજીભાઈએ કહ્યું, "પહેલા ઓછા ખર્ચમાં લગ્ન થતા હતા, પરંતુ આજે સામાન્ય લગ્ન 10 લાખથી ઓછામાં થતા નથી. દેખાદેખીમાં ખોટા ખર્ચાઓ થઈ રહ્યા છે." તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, "ખોટા ખર્ચા બંધ થાય, દેખાદેખી બંધ થાય તે જરૂરી છે. પૈસાનો ઉપયોગ શિક્ષણ માટે થાય તે જરૂરી છે."
View this post on Instagram
સમાજ સુધારા અને બંધારણની જરૂરિયાત
માવજીભાઈ દેસાઈને સમાજ સેવક કે સમાજ સુધારક કહી શકાય તેમ છે. તેમના કર્મ પાછળ કરુણાનો ભાવ સ્પષ્ટ દેખાય છે. તેમણે જણાવ્યું કે, ઠાકોર સમાજે સમયની માંગને અનુરૂપ બંધારણ નક્કી કર્યું છે અને હવે રબારી સમાજ પણ તે દિશામાં આગળ વધી રહ્યો છે. "અમારા સમાજમાં 6 મહિનાથી આગેવાનો વચ્ચે વાત થતી હતી," તેમણે કહ્યું. આ મહા સંમેલનમાં નવા બંધારણ પર ચર્ચા કરવામાં આવશે, જેમાં ખર્ચા પર કાપ મૂકીને સંપત્તિના સદુપયોગ પર ભાર મૂકવામાં આવશે.તેમણે ઉદાહરણ આપતાં કહ્યું કે, અખૂટ સંપત્તિ હોવા છતાં સમાજમાં ઓછા ખર્ચે લગ્ન થાય અને સમૂહ લગ્ન પ્રથાને પ્રોત્સાહન મળે તે માટે તેમણે પોતાની એકની એક દીકરીના લગ્ન સમૂહ લગ્નમાં કરાવ્યા છે. આ ઉદાહરણ સમાજને પ્રેરણા આપે છે. વધુમાં, તેમણે 'કસુંબા પ્રથા'ને સંપૂર્ણપણે બંધ કરીને સમાજને લાભ આપ્યો છે.
શિક્ષણને પ્રાથમિકતા: દાન અને પ્રયાસો
માવજીભાઈ દેસાઈ સમાજના શિક્ષણ માટે અથાગ પ્રયાસ કરી રહ્યા છે. તેમણે પોતાના ધારાસભ્ય તરીકેના સમગ્ર પગારને સર્વ સમાજના બાળકોના શિક્ષણ માટે અર્પણ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. "સમાજને શિક્ષણ કેવી રીતે વધારે મળે તેવો પ્રયાસ," તેમણે કહ્યું. તેમણે રબારી, ઠાકોર સહિત અનેક સમાજો માટે શૈક્ષણિક સંકુલો માટે ભૂમિદાન કર્યું છે. ઉદાહરણ તરીકે, ધાનેરામાં બે વીઘા જમીન દાન તરીકે આપી છે.પાછલા પ્રયાસોની વાત કરતાં તેમણે જણાવ્યું કે, "2019માં શિક્ષણ રથ અમે ગામડે ગામડે ફેરવ્યો હતો. શિક્ષણ માટે 9 વીઘા જમીન દાન કરી હતી અને 25 કરોડથી વધારે રકમ સમાજ દ્વારા ભેગી કરી હતી." તેમણે ભાર મૂક્યો કે, "શિક્ષણ વગરનો માણસ અંધ છે. દરેક તાલુકાઓમાં શિક્ષણ સંસ્થાઓ ઉભી કરી." આ પ્રયાસો દ્વારા સમાજને જાગૃત કરીને અંધશ્રદ્ધા દૂર કરવાનો બોધ તેમણે આપ્યો છે. તેમના અનુસાર, "આજે, જ્ઞાન, વિજ્ઞાન અને ટેક્નોલોજીનો જમાનો છે.
સમાજના ભવિષ્ય અને સંગઠનનો હેતુ
માવજીભાઈ દેસાઈએ વાતચીતમાં જણાવ્યું કે, "સમાજને શિક્ષણ અને સંસ્કારો સાથે આગળ કરવાનો હેતુ છે. સમાજને સંગઠીત કરવાનો હેતુ છે." તેમણે અન્ય સમાજોને પણ સારા બંધારણ બાંધવા માટે પ્રોત્સાહિત કર્યા અને કહ્યું કે, "દરેક સમાજે સારા બંધારણ બાંધવા જોઈએ. દરેક સમાજનાં આગેવાનો સારુ બંધારણ બનાવી શકે છે."આ મહા સંમેલનમાં મોટા ઉત્સાહ સાથે બંધારણનું કામ થવા જઈ રહ્યું છે. મતદારોના આશીર્વાદથી ચૂંટાયેલા આ પ્રતિનિધિ સમાજના હિતચિંતક અને ભામાશા તરીકે જાણીતા છે. તેમના પ્રયાસો રબારી સમાજને નવી દિશા આપશે અને અન્ય સમાજો માટે પ્રેરણારૂપ બનશે.
ગુજરાત ફર્સ્ટનો અથાગ સંકલ્પ
ગુજરાત ફર્સ્ટની 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' ટીમ રાજ્યના 34 જિલ્લાઓમાં સફર કરીને સ્થાનિક પ્રશ્નોને વાચા આપી રહી છે. 90 દિવસમાં 10 હજાર કિલોમીટરની યાત્રા દરમિયાન ધર્મ-ધરોહરથી લઈને સ્વાદિષ્ટ વાનગીઓ સુધી, વિરાસતથી વિકાસ સુધી અને રાજનીતિથી ગ્રાઉન્ડ રિયાલિટી સુધીના વિષયો પર ચર્ચા કરવામાં આવશે. નેતા, અભિનેતા અને લોક કલાકારો સાથે વાતચીત કરીને અમારી ટીમ તમારા જિલ્લામાં આવશે.


