Surat: લિંબાયતમાં ખૂની ખેલ, 24 વર્ષીય યુવકની નિર્મમ હત્યાથી ચકચાર!
- લિંબાયતમાં યુવકની હત્યાનો મામલો
- 24 વર્ષીય યુવકની હત્યાને લઇ સમાજ અને પરિવારમાં રોષ.
- આદિવાસી સમાજમાંથી આવતા યુવકની હત્યાને લઇ મૃતદેહ નો અસ્વીકાર
- આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરવાની માંગ
Surat: સુરત શહેરના લિંબાયત વિસ્તાર (Limbayat area) માં અસામાજિક તત્ત્વોના વધતા જતા આતંક વચ્ચે વધુ એક યુવકની લોહીલુહાણ હત્યાની ઘટના સામે આવી છે. 24 વર્ષીય જયેશ પટેલ (Jayesh Patel) નામના યુવકને પાંચથી છ જેટલા શખ્સોએ ઘેરીને તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો છે. આ ઘટનાને પગલે આદિવાસી સમાજ અને મૃતકના પરિવારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોષે ભરાયેલા પરિવારે જ્યાં સુધી આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો ન નોંધાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.
માર્કેટિંગનું કામ કરતા યુવકને અડધી રાત્રે ટાર્ગેટ કરાયો
મળતી માહિતી મુજબ, મૃતક જયેશ પટેલ માર્કેટિંગના વ્યવસાય સાથે સંકળાયેલો હતો અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગત રાત્રિના અંદાજે 11 થી 12 વાગ્યાના સમયગાળા દરમિયાન, જ્યારે શહેર પોલીસ અન્ય બંદોબસ્તમાં વ્યસ્ત હોવાનો લાભ ઉઠાવી અસામાજિક તત્ત્વો બેફામ બન્યા હતા. લિંબાયત વિસ્તારમાં જયેશ પર અચાનક 5 થી 6 લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ અત્યંત ક્રૂરતાપૂર્વક ચપ્પુના ઘા ઝીંકી જયેશને લોહીલુહાણ કરી નાખ્યો હતો. ગંભીર ઈજાઓને કારણે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું કરુણ મોત નીપજ્યું હતું.
માસૂમ બાળકીએ પિતાની છત્રછાયા ગુમાવી
આ હત્યાકાંડને કારણે એક અઢી વર્ષની માસૂમ બાળકીએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. જયેશની હત્યાથી પરિવારનો આધારસ્તંભ છીનવાઈ ગયો છે. ઘટનાને પગલે સ્મીમેર હોસ્પિટલ ખાતે એકઠા થયેલા પરિવારજનોના રૂદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, જૂની અદાવતને રાખીને આ સોપારીબદ્ધ રીતે હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે.
પિતાની રાહ જોતી રહી માસૂમ પરંતુ નવા વર્ષે પિતા પાછા જ ન ફર્યા | Gujarat First
દીકરી પપ્પાની રાહ જોતી રહી પણ અસામાજિક તત્વોએ તેને પિતા વિહોણી કરી દીધી
સુરતમાં સચિન અને લિંબાયત વિસ્તારમાં ખૂની ખેલ
24 વર્ષીય જયેશ પટેલની છરી મારી પતાવી દેવાયો
અઢી વર્ષની માસૂમ બાળાએ ગુમાવી પિતાની… pic.twitter.com/xmUMlIbAMw— Gujarat First (@GujaratFirst) January 1, 2026
Surat ની સ્મીમેર હોસ્પિટલ બહાર ભારે સૂત્રોચ્ચાર અને આક્રોશ
હત્યાની જાણ થતા જ આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં સ્મીમેર હોસ્પિટલના પીએમ રૂમ બહાર એકઠા થઈ ગયા હતા. પરિવાર અને સમાજના અગ્રણીઓએ પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવી ભારે નારેબાજી કરી હતી. તેમની મુખ્ય માંગણી છે કે આ ઘટનામાં માત્ર હત્યાનો જ નહીં, પરંતુ અનુસૂચિત જનજાતિ પરના અત્યાચાર મુજબ 'એટ્રોસિટી એક્ટ'ની કલમો પણ ઉમેરવામાં આવે. પરિવારે આક્ષેપ કર્યો છે કે જ્યાં સુધી પોલીસ લેખિતમાં ખાતરી ન આપે અને તમામ આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી તેઓ અંતિમ સંસ્કાર માટે મૃતદેહ સ્વીકારશે નહીં.
માથાભારે શખ્સો સામે કડક સજાની માંગ
પરિવારજનોએ સીધો આક્ષેપ કર્યો છે કે આ હત્યા 'વિશાલ અને તેની ટોળકી' દ્વારા કરવામાં આવી છે. આ ટોળકી લિંબાયત વિસ્તારમાં માથાભારે તરીકેની છાપ ધરાવે છે અને અગાઉ પણ અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. લિંબાયત પોલીસે હાલમાં 8 શખ્સો સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે, પરંતુ સમાજની માંગ છે કે આ કેસમાં કોઈ પણ કચાશ રાખ્યા વગર કડકમાં કડક દાખલો બેસે તેવી કાર્યવાહી કરવામાં આવે. હાલમાં લિંબાયત પોલીસે વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે બંદોબસ્ત વધારી દીધો છે અને ફરાર આરોપીઓને પકડવા અલગ-અલગ ટીમો બનાવી છે.
આ પણ વાંચોઃ Surat: બિલ્ડિંગ પરથી યુવકે પડતું મૂકતાં નીચે ઉભેલા વાહનમાં પછડાયો, પછી..!


