Rain in Surat: સુરત જિલ્લામાં વરસી રહેલા ધોધમાર વરસાદને લઈ તંત્ર સતર્ક, SDRF ટીમ સક્રિય
- સુરતના SRP વાવ કેમ્પ ખાતે SDRF ટીમ સ્ટેન્ડ બાય થઈ છે
- કડોદરા રોડ પર ખાડીપુરના પાણી ફરી વળતા લોકોને હાલાકી પડી
- લોકોને તંત્રની સૂચનાનું પાલન કરવા અપીલ પણ કરાઈ છે
Rain in Surat: સુરત જિલ્લામાં વરસી રહેલા ધોધમાર વરસાદને લઈ તંત્ર સતર્ક થયુ છે. જેમાં સુરતના SRP વાવ કેમ્પ ખાતે SDRF ટીમ સ્ટેન્ડ બાય થઈ છે. કુલ ત્રણ ટીમ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. ત્રણ પૈકી એક ટીમને નવસારી રવાના કરવામાં આવી છે. તેમજ ફાયબર બોટ, રબ્બર બોટ, લાઇફ જેકેટ, કટર મશીન સહિતની સામગ્રી સાથે SDRF ટીમ સજ્જ છે. જેમાં લોકોને તંત્રની સૂચનાનું પાલન કરવા અપીલ પણ કરાઈ છે.
સુરતમાં ફરી એક વખત ખાડીપુરના પાણી ફરી વળ્યા
સુરતમાં ફરી એક વખત ખાડીપુરના પાણી ફરી વળ્યા છે. જેમાં કડોદરા રોડ પર ખાડીપુરના પાણી ફરી વળતા લોકોને હાલાકી પડી છે. ઠેર ઠેર કમર સુધી ખાડીપુરના પાણી ભરાયા છે. 2થી 3 કિલોમીટર સુધી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તથા ભારે ટ્રાફિક જામના પગલે લોકોને મુશ્કેલી પડી રહી છે. તેમજ સુરતનું ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં પાણીની ભારે આવક થઇ છે. દર વર્ષે સિઝનનો સૌથી વધુ વરસાદ ઉમરપાડા તાલુકામાં નોંધાતો હોય છે. જેમાં વિરાહ નદી, મોહન નદી અને વાવ્યા નદીમાં પાણીની ભારે આવક થઇ છે. વાડીથી ઉમરપાડાને જોડતા માર્ગ પર નદીના પાણી ફરી વળ્યા છે. વાડીથી ઉમરપાડાને જોડતો માર્ગ બંધ કરવામાં આવ્યો છે.
સુરતમાં સતત બીજા દિવસે પણ મેઘો મુશળધાર થયો
સુરતમાં સતત બીજા દિવસે પણ મેઘો મુશળધાર થયો છે. જેમાં સુરતના કામરેજ તાલુકામાં ધોધમાર વરસાદ આવ્યો છે. કામરેજના ઉદ્યોગ નગર નજીક હાઈવે પર પાણી ભરાયા છે. નેશનલ હાઈવે નં-48ના સર્વિસ રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયા છે. ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે. તેમજ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં સુરત જિલ્લાના બારડોલીમાં ભારે વરસાદથી જળબંબાકાર થયુ છે. બારડોલીના ડી.એમ.નગરના 150થી વધુ ઘરોમાં પાણી ભરાયા છે. ડી.એમ.નગરમાં કમર સુધીના પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પડી છે. ઘરમાં પાણી ભરાતા ઘરવખરીને મોટુ નુકસાન થયુ છે. કમર સુધી પાણી ભરાતા વહીવટી તંત્રની પોલ ખુલી છે.
ભારે વરસાદને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા
સુરતમાં ભારે વરસાદને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે ભારે વરસાદના કારણે જળભરાવની સ્થિતિ છે. ગઈકાલથી મનપા પાણી નિકાલની કામગીરી કરી રહી છે. ભારે વરસાદના કારણે આજે ફરી પાણી ભરાયા છે. વહેલી તકે પાણીના નિકાલ થાય તે કામગીરી ચાલુ છે.
આ પણ વાંચો: Rain in Surat: સુરતમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત, ફાયર દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયુ