Surat News: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના શિક્ષણ સ્તરને ઉન્નત બનાવવા અને દરેક બાળકને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવાના ઉમદા હેતુ સાથે યોજાતા 'રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ'નો સુરતમાં પણ ભવ્ય પ્રારંભ થયો છે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલી ખટોદરા કોલોની ખાતેની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળામાં આયોજિત કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી.
Surat માં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે શાળા પ્રવેશોત્સવ
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નવોદિત બાળકોને શાળામાં પ્રવેશ કરાવી તેમના શિક્ષણની સફરનો શુભારંભ કરાવ્યો હતો. તેમણે બાળકોને નોટબુકનું વિતરણ કરી પ્રોત્સાહિત કર્યા હતા. ખાસ કરીને 'કન્યા કેળવણી મહોત્સવ'ના ભાગરૂપે દીકરીઓના કંકુ પગલાં કરાવી તેમનું શાળામાં ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પોલીસ કમિશનર, શિક્ષણ અધિકારી, નગર શિક્ષણ સમિતિના અધ્યક્ષ સહિતના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સુરતનું સર્વસમાવેશક શિક્ષણ મોડેલ
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સુરતની વિશેષતા જણાવતા કહ્યું કે, સુરત દેશનું એકમાત્ર એવું શહેર છે જ્યાં સરકાર દ્વારા 6 અલગ-અલગ માધ્યમોમાં શાળાઓ ચલાવવામાં આવે છે. બહારથી આવીને વસેલા પરિવારોને પોતાની માતૃભાષામાં શિક્ષણ મળી રહે તે માટે સુરત મહાનગરપાલિકા કટિબદ્ધ છે. સુરત વસતા તમામ લોકોને સુરતી, ગુજરાતી અને ભારતીય માનવામાં આવે છે અને અહીં ભાષાને લઈને ક્યારેય કોઈ વિવાદ થયો નથી. હાલમાં મહાનગરપાલિકા દ્વારા 1,99,186 બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, જેમાં ખાનગી શાળાઓમાંથી સ્થળાંતર કરીને 4,708 બાળકોએ સરકારી શાળાઓમાં પ્રવેશ લીધો છે, જે સરકારી શિક્ષણ પરનો વિશ્વાસ દર્શાવે છે.
શિક્ષણની પદ્ધતિ અને શિક્ષકોની જવાબદારી
શિક્ષકોને માર્ગદર્શન આપતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, બાળકોને માત્ર પુસ્તકિયા જ્ઞાનથી પરીક્ષા પાસ ન કરાવો, પરંતુ રમતા-રમતા અને હસતા-હસતા શિક્ષણ આપવાનો પ્રયાસ કરો. જો માત્ર પુસ્તકો પર ધ્યાન આપીશું તો બાળકને સાચા અર્થમાં હોશિયાર બનાવવામાં આપણે નિષ્ફળ જઈશું. તેમણે શિક્ષકો અને વાલીઓને અનુરોધ કર્યો કે બાળકોને મોબાઈલ ગેમ્સથી દૂર રાખીને તેમને મેદાનની રમત અને સંગીત જેવી પ્રવૃત્તિઓ સાથે જોડો. આ ઉપરાંત, કોર્પોરેટરો અને કાર્યકર્તાઓને સરકારી શાળાઓની સ્વચ્છતા જાળવવા માટે વિશેષ પ્રયાસ કરવા વિનંતી કરી હતી.
પરિવારની સુરક્ષા માટે 'ઘરના પોલીસ' બનો
હેલ્મેટ જાગૃતિ અંગે બાળકોને અપીલ કરતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, જે બાળકોને પોતાના માતા-પિતા વહાલા હોય, તેમણે ઘરેથી નીકળતી વખતે માતા-પિતાને હેલ્મેટ પહેરવાનો આગ્રહ રાખવો જોઈએ. જો માતા-પિતા હેલ્મેટ ન પહેરે તો બાળકોએ ઘરે જઈને પલાંઠી વાળીને બેસી જવું અને જીદ કરવી કે "તમે હેલ્મેટ પહેરો પછી જ બહાર જાવ." તેમણે કહ્યું કે આપણે સૌએ આપણા ઘરમાં જ 'પોલીસ' બનીને માતા-પિતાની સુરક્ષાની જવાબદારી નિભાવવી જોઈએ, જેથી તેઓ સુરક્ષિત રહે.
રાજ્યવ્યાપી મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય
આ રાજ્યવ્યાપી મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય વધુમાં વધુ બાળકોને શિક્ષણ સાથે જોડવાનો, ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવાનો અને શિક્ષણ પ્રત્યે જનજાગૃતિ ફેલાવવાનો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર દ્વારા દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે માટે વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેના પરિણામે રાજ્યમાં 100 ટકા નામાંકન અને 0 ટકા ડ્રોપ-આઉટ રેશિયો સિદ્ધ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Ahmedabad News: "શિક્ષણ પર ધ્યાન આપો, પૈસાની પાછળ દોડમાં બાળકોને ન ભૂલો" CM Bhupendra Patel ની વાલીઓને શીખ