Surat News : શ્વાનના ખસીકરણ મામલે વિવાદ ઉકેલાયો, પાલિકાની નોટિસ બાદ કામગીરી શરુ
Surat News : સુરતમાં રખડતા શ્વાનનો આતંક અને ડોગ બાઈટની (Dog Bite) વધતી જતી ફરિયાદો વચ્ચે, સુરત મહાનગરપાલિકાના શ્વાન ખસીકરણ (Dog Sterilization) પ્રોજેક્ટમાં સર્જાયેલો ગંભીર વિવાદ આખરે ઉકેલાઈ ગયો છે. લાંબા સમયથી ચાલી રહેલા વિવાદના કારણે ભેસ્તાન સેન્ટર (Bhestan Center) ખાતે છેલ્લા બે દિવસથી કામગીરી ઠપ થઈ ગઈ હતી, જે હવે ફરી ધમધમતી થઈ છે.
શું હતો વિવાદ?
સુરતના ભેસ્તાન ખાતે ચાલી રહેલા શ્વાન ખસીકરણના કામમાં કોન્ટ્રાક્ટર અને ડોક્ટર (Doctor-Contractor Dispute) વચ્ચે આંતરિક વિવાદ સામે આવ્યો હતો. આ વિવાદનું મુખ્ય કારણ છેલ્લા 4 મહિનાથી બાકી રહેલો પગાર હોવાનું જાણવા મળ્યું હતું. પગાર ન મળવાને કારણે તબીબી સ્ટાફ દ્વારા કામગીરીથી અલિપ્ત રહેવાનો નિર્ણય લેવાયો હતો, જેને લઈને સમગ્ર કામગીરી ખોરવાઈ ગઈ હતી. આ દરમિયાન શ્વાનોના ખસીકરણનું કામ અટકી જતાં સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.
પાલિકા દ્વારા એજન્સીઓને પાઠવી નોટિસ
સુરતની ગંભીર સ્થિતિને જોતા સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું. પાલિકા દ્વારા સંબંધિત એજન્સીને કડક નોટિસ પાઠવવામાં આવી હતી. તંત્રની હસ્તક્ષેપ બાદ આખરે કોન્ટ્રાક્ટર અને ડોક્ટર વચ્ચેનો વિવાદ ઉકેલાયો હતો અને કામગીરી ફરી રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવી છે.
સુરતમાં ડોગ બાઈટની ઘટનામાં થયો વધારો
વર્ષ 2026 ના આંકડાઓ પર નજર કરીએ તો પરિસ્થિતિ ચિંતાજનક છે. આ વર્ષે અત્યાર સુધીમાં શહેરમાં 18,000 થી વધુ ડોગ બાઈટના કેસો નોંધાયા છે, જેમાં છેલ્લા માત્ર 7 દિવસમાં જ 200 નવા કેસ સામે આવ્યા છે. વધુમાં, હડકવા (Rabies Symptoms) લક્ષણ ધરાવતા શ્વાનની ફરિયાદોમાં પણ વધારો થતાં નાગરિકોમાં ભયનો માહોલ છે. નોંધનીય છે કે, પાલિકા દ્વારા અત્યાર સુધીમાં કુલ 3,506 શ્વાનને પકડીને તેમનું ખસીકરણ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Panchayat Election ડ્રામા: ક્યાંક ચિઠ્ઠી ઉછળી તો ક્યાંક બહુમતી છતાં પક્ષ હાર્યો! હાઇવોલ્ટેજ સત્તાનો સંગ્રામ


