Surat Firing Case: 48 દિવસ બાદ RFO સોનલ સોલંકીનું અવસાન, જાણો સમગ્ર મામલો!
- સુરતમાં RFO સોનલ સોલંકી પર ફાયરિંગનો મામલો
- લાંબી સારવાર બાદ અંતે RFO સોનલ સોલંકીનું થયું મોત
- RTO ઇન્સ્પેક્ટર પતિ નિકુંજ ગોસ્વામીએ કરાવ્યું હતું ફાયરિંગ
- 6 નવેમ્બરના રોજ સોનલ સોલંકી પર થયું હતું ફાયરિંગ
Surat Firing Case: દક્ષિણ ગુજરાતના વહીવટી અને વન વિભાગના વર્તુળોમાં ભારે ચર્ચા જગાડનાર સુરતના રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) સોનલ સોલંકી (Sonal Solanki) પર થયેલા ફાયરિંગના કેસમાં આજે એક કરૂણ વળાંક આવ્યો છે. ગત 6 નવેમ્બરના રોજ થયેલા જીવલેણ હુમલા બાદ સુરતની હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતા સોનલ સોલંકીનું 48 દિવસની લાંબી સારવાર બાદ અવસાન થયું છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા વન વિભાગ સહિત સમગ્ર સુરતમાં શોકની લાગણી જન્મી છે.
ઝાડ સાથે અથડાયેલી કાર મળી હતી
આ ઘટનાની શરૂઆત 6 નવેમ્બર 2024ના રોજ થઈ હતી. સુરતના અડાજણ વન વિભાગની ઓફિસમાં ફરજ બજાવતા RFO સોનલ સોલંકી વહેલી સવારે પોતાના ઘરેથી ઓફિસ જવા માટે નીકળ્યા હતા. તે સમયે કામરેજ નજીક જોખા રોડ પર તેમની કાર રહસ્યમય સંજોગોમાં ઝાડ સાથે અથડાયેલી હાલતમાં મળી આવી હતી. પોલીસને જ્યારે ઘટનાની જાણ થઈ ત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ આ એક અકસ્માત જણાતો હતો. પરંતુ જ્યારે પોલીસ અને મેડિકલ ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ચોંકાવનારી વિગત સામે આવી કે સોનલ સોલંકીને માથાના ભાગે ગોળી વાગી હતી. કારમાં તેમની સાથે તેમનો માસૂમ પુત્ર પણ હાજર હતો, જે આ આખી લોહિયાળ ઘટનાનો સાક્ષી બન્યો હતો.
તપાસમાં બહાર આવ્યું સત્ય!
પોલીસે જ્યારે આ મામલે તપાસ તેજ કરી ત્યારે પાયાના પુરાવાઓ સીધા જ સોનલ સોલંકીના પતિ અને RTO ઇન્સ્પેક્ટર નિકુંજ ગોસ્વામી તરફ નિર્દેશ કરતા હતા. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે, પતિ-પત્ની વચ્ચેના આંતરિક વિખવાદ અને કૌટુંબિક કલેશને કારણે નિકુંજ ગોસ્વામીએ જ પોતાની પત્નીની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. નિકુંજે અન્ય શખસોની મદદથી આ ફાયરિંગ કરાવ્યું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ મામલે RTO ઇન્સ્પેક્ટર નિકુંજ ગોસ્વામી અને ફાયરિંગ કરનાર શખસોની ધરપકડ કરી હતી, જેઓ હાલ જેલના સળિયા પાછળ છે.
48 દિવસ બાદ થયું અવસાન
સોનલ સોલંકીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાથી તેમને સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબીબોની સ્પેશિયલ ટીમ દ્વારા અનેક સર્જરીઓ કરવામાં આવી હતી. તેમની સ્થિતિ અત્યંત નાજુક હોવા છતાં તેઓ 48 દિવસ સુધી મોત સામે લડ્યા હતા. જોકે, મગજમાં થયેલી ગંભીર ક્ષતિ અને ઈન્ફેક્શનને કારણે તેમની તબિયત લથડતી ગઈ અને અંતે આજે તેમણે હોસ્પિટલના બિછાને અંતિમ શ્વાસ લીધા હતા.
હવે પોલીસની કાર્યવાહી થશે વધુ કડક
પ્રાપ્ત માહિતી અનુસાર સોનલ સોલંકીના નિધન સાથે જ આ કેસની કાયદાકીય દિશા સંપૂર્ણપણે બદલાઈ જશે. અત્યાર સુધી પોલીસ આ કેસમાં 'હત્યાના પ્રયાસ' (Attempt to Murder) સંબંધિત કલમો હેઠળ તપાસ કરી રહી હતી. પરંતુ હવે ભોગ બનનારનું મોત થતા પોલીસ મુખ્ય આરોપી નિકુંજ ગોસ્વામી અને તેના મળતિયાઓ વિરુદ્ધ 'હત્યા' (Murder) નો ગુનો દાખલ કરશે.
આ પણ વાંચોઃ Kheda: નડિયાદ મનપાનું 'મેગા ડિમોલિશન', 47 વર્ષ જૂના સરદાર ભુવનની 48 દુકાનો પર બુલડોઝર ફરી વળ્યું!


