Takshashila Tragedy ના 7 વર્ષ પૂરા: તક્ષશિલા અગ્નિકાંડની વરસી પર ભાવુક થયા પરિવારો, યોજી પ્રાર્થના સભા!
Takshashila Tragedy: તક્ષશિલા અગ્નિકાંડની વરસી પર ભાવુક થયા પરિવારો
24 મે 2019ના રોજ બનેલી આ ગોઝારી ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી મૂક્યો હતો
22 આશાસ્પદ માસૂમ વિદ્યાર્થીઓ આગમાં જીવતા હોમાઈ ગયા હતા
Takshashila Tragedy : સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડ (Takshashila Arcade) માં બનેલી એ હૃદયદ્રાવક ઘટનાને આજે પૂરા 7 વર્ષ થઈ ગયા છે. 24 મે 2019ના રોજ બનેલી આ ગોઝારી ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી મૂક્યો હતો, જ્યાં સિસ્ટમની ઘોર બેદરકારીના કારણે 22 આશાસ્પદ માસૂમ વિદ્યાર્થીઓ આગમાં જીવતા હોમાઈ ગયા હતા. આજે આ ઘટનાના સાત વર્ષ પૂર્ણ થવા છતાં, પીડિત પરિવારોના આંસુ સુકાયા નથી અને તેઓ આજે પણ ન્યાય (Justice) મેળવવા માટે કોર્ટ-કચેરીના ચક્કર કાપી રહ્યા છે.
સત્યનારાયણ ભગવાનની કથા અને પ્રાર્થના સભા યોજી શ્રદ્ધાંજલિ અપાઈ
આજે આ કાળમુખા દિવસની વરસી પર 22 પીડિત પરિવારો દ્વારા પોતાના વહાલસોયા ભૂલકાઓની યાદમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરિવારો દ્વારા સત્યનારાયણ ભગવાનની કથા (Satyanarayan Katha) કરવામાં આવી હતી અને બપોરે 2:00 વાગ્યાથી લઈને સાંજના 07:00 વાગ્યા સુધી એક મૌન પ્રાર્થના સભા (Prayer Meeting) યોજીને માસૂમ આત્માઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ શ્રદ્ધાંજલિ સભા દરમિયાન વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું.
સરકારી દાવા પોકળ સાબિત થયા
પીડિત પરિવારોના માતા-પિતાનો આરોપ છે કે સાત વર્ષ બાદ આ તમામ દાવાઓ સાવ પોકળ સાબિત થયા છે. પરિજનોએ ભારે હૈયે જણાવ્યું કે, 22 ભૂલકાઓના મોતની ચાર્જશીટ (Charge sheet) માં પણ સિસ્ટમના મોટા મગરમચ્છોને બચાવી લેવાયા છે અને માત્ર નાના માછલાં જેવા કર્મચારીઓ માથે દોષનો ટોપલો ઢોળી દેવામાં આવ્યો છે. આજે તંત્ર આ ઘટનાને સાવ ભૂલી ગયું છે અને કોઈ તેમની ખબર પૂછવા પણ આવતું નથી. તમામ પરિવારો પોતાના ખર્ચે ન્યાયની આ આકરી લડત લડી રહ્યા છે અને દોષિતોને ફાંસી જેવી કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો: સુરત લિંબાયત અગ્નિકાંડ: 5 લોકો જીવતા ભૂંજાયા, સાડીઓના જથ્થાએ મકાનને સ્મશાન બનાવ્યું!


