ખેડૂતોના સપના પર પાણી: ભાડાની રકમથી વંચિત
કંપનીએ ખેડૂતો પાસેથી કુલ 550 વીઘાથી વધુ જમીન 29 વર્ષ અને 11 મહિનાના ભાડા કરાર પર લીધી હતી. શરૂઆતમાં ભાડું મળતા ખેડૂતો ખુશ હતા, પરંતુ છેલ્લા બે વર્ષથી 30 થી વધુ ખેડૂતોને નક્કી કરેલું ભાડું ચૂકવવામાં આવ્યું નથી. ખેડૂતોની હાલત એવી છે કે તેઓ ન તો પોતાની જમીન પર ખેતી કરી શકે છે, ન ભાડું મળે છે, કે ન તો જમીન પર લોન લઈ શકે કે વેચી શકે. આમ ખેડૂતોની આજીવિકા પર મોટું સંકટ ઊભું થયું છે.
ઘુડખર અભ્યારણ્ય અને પર્યાવરણીય જોખમ
આક્ષેપ છે કે આ વિસ્તાર ઘુડખર સેન્ચ્યુરી (Wild Ass Sanctuary) ની નજીક આવેલો હોવા છતાં કંપનીએ ફોરેસ્ટ વિભાગની મંજૂરી (NOC) લીધા વગર ગેરકાયદેસર બાંધકામ કર્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, પ્રોજેક્ટના બ્લોક નંબર 7 માં શોર્ટ-સર્કિટથી 5થી વધુ ઘુડખરના મૃત્યુ થયા છે, જેમને કંપનીએ રાતોરાત દાટી દીધા હતા. વન વિભાગની જમીન પર અતિક્રમણ કરીને બાઉન્ડ્રી વોલ બનાવી દેવામાં આવી છે. તંત્ર દ્વારા નોટિસ આપવા છતાં, કંપનીએ અત્યાર સુધી ગેરકાયદેસર બાંધકામ દૂર કર્યું નથી.
ગેરકાયદેસર વીજપોલ અને બાળકોના જીવનું જોખમ
કંપનીએ ગોચર, તળાવ અને ગ્રામ પંચાયતની જગ્યામાં કોઈપણ પ્રકારના રોડમેપ (Roadmap) વગર 12થી વધુ વીજપોલ નાખી દીધા છે, જેમાંથી 200 KV નો પાવર સપ્લાય કરવામાં આવે છે. નિયમ મુજબ, વીજ લાઇન રહેણાંક વિસ્તાર કે શાળાથી 150 મીટર દૂર હોવી જોઈએ, પરંતુ અહીં શાળાની માત્ર 80 થી 100 મીટર દૂર જ હાઇ-વોલ્ટેજ લાઇન ખડકી દેવામાં આવી છે. આ ગેરકાયદેસર કામગીરી માટે મંજૂરી આપનાર ક્લાસ-વન અધિકારી અશ્વિન ચૌધરી થોડા સમય પહેલા જ 5 લાખની લાંચ લેતા એસીબી (ACB) દ્વારા પકડાયા હતા, જે સમગ્ર પ્રકરણમાં તંત્રની મિલીભગતની ચાડી ખાય છે.
![પેટ્રો કેમિકલ્સ દ્વારા આપેલ મંજૂરી-images-0]()
દેસાઈ એન્ટરપ્રાઇઝ સાથે કરોડોની છેતરપિંડી
આક્ષેપ છે કે આ કંપનીએ માત્ર ખેડૂતો જ નહીં, પણ લેન્ડ એગ્રીગેટર દેસાઈ એન્ટરપ્રાઇઝ સાથે પણ મોટો વિશ્વાસઘાત કર્યો છે. દેસાઈ એન્ટરપ્રાઇઝે 1 કરોડની બેંક ગેરંટી અને અન્ય સેવાઓ મળી કુલ 4.74 કરોડ લેવાના થાય છે, જે રકમ કંપની આજ દિન સુધી ચૂકવતી નથી. ધમકીઓ આપીને કંપનીએ વ્યવહાર ટાળ્યો છે, જેના કારણે પોલીસ અને સ્થાનિક નેતાઓને રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પરિણામ મળ્યું નથી.
સોલાર પ્લાન્ટ દ્વારા નિયમોનો ભંગ!
સાથે સાથે આક્ષેપ છે કે વન વિભાગની મંજૂરીની શરતોના કથિત ભંગ અંગે મામલતદાર દ્વારા કરવામાં આવેલી તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. કંપનીએ સોલાર પ્લાન્ટથી સબ-સ્ટેશન સુધી વીજળી પહોંચાડવા માટે નાખેલી વીજ લાઇન અને 73 પોલના રૂટ અંગે માંગવા છતાં કંપની કોઈ પણ અધિકૃત રૂટમેપ રજૂ કરી શકી નથી. નિયમોનું ઉલ્લંઘન કરીને ખાનગી અને સરકારી જમીનમાં વીજ લાઇન પસાર કરવામાં આવતા સ્થાનિક સ્તરે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.
![27 12 2025 ના પ્રાંત અધિકારીશ્રી નો અભિપ્રાય_gujaratfirst]()
સરકારી તિજોરીને નુકસાન
નાયબ કલેક્ટરના પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કંપની દ્વારા સરકારી સંપત્તિને અંદાજે 2.10 કરોડનું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. ગામના સરપંચથી લઈને સીએમઓ (CMO) સુધી લેખિત રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા ગ્રામજનોમાં ભારે રોષ છે. શું સરકાર આ કંપનીની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આંખ આડા કાન કરવાનું ચાલુ રાખશે કે પછી ખેડૂતોને ન્યાય મળશે?
આ પણ વાંચોઃ Patan: "મારા ઠાકોર સમાજ તરફથી દેવીપૂજક સમાજની માફી માગુ છું", વરઘોડા પર થયેલા હુમલા બાદ તારક ઠાકોર બોલ્યા