T20 World Cup Bangladesh Controversy : હવે દાદાગીરી પર ઉતરી આવ્યું બાંગ્લાદેશ! ICC ને આપી દીધી મોટી ચેતવણી
- બાંગ્લાદેશનો ભારત પ્રવાસ કરવાનો ઇનકાર (T20 World Cup Bangladesh Controversy )
- ICC એ આપી 21 જાન્યુઆરીની ડેડલાઇન
- બાંગ્લાદેશના સ્થાને સ્કોટલેન્ડને મળી શકે છે વર્લ્ડ કપમાં એન્ટ્રી
આગામી T20 વર્લ્ડ કપ 2026 ના આયોજનને લઈને ક્રિકેટ જગતમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ ભારત પ્રવાસ કરવાના મામલે આકરું વલણ અપનાવ્યું છે. બાંગ્લાદેશના રમતગમત સલાહકાર આસિફ નજરુલે સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈપણ પ્રકારના ગેરવાજબી દબાણ સામે ઝૂકશે નહીં. આ વિવાદ હવે એ સ્તરે પહોંચ્યો છે કે બાંગ્લાદેશ વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ શકે છે.
T20 World Cup Bangladesh Controversy : BCB ની ICC સામે કડક વલણ
મંગળવારે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આસિફ નજરુલે ICC અને BCCI ના કથિત દબાણની આકરી ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, "અમે ભારત પ્રવાસ ન કરવા માટે માન્ય કારણો રજૂ કર્યા છે, તેમ છતાં અમારા પર અવાસ્તવિક માંગણીઓ સ્વીકારવા દબાણ કરવામાં આવી રહ્યું છે." નજરુલે પાકિસ્તાનનું ઉદાહરણ આપતા કહ્યું કે જો ભારતના ઇનકાર પર સ્થળ બદલાઈ શકતું હોય, તો બાંગ્લાદેશની વિનંતી પર કેમ નહીં?
21 જાન્યુઆરીની ડેડલાઇન અને વિકલ્પ
ICC એ હવે આ મામલે કડક વલણ અપનાવીને બાંગ્લાદેશને 21 જાન્યુઆરી સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. જો આ સમયમર્યાદા સુધીમાં બાંગ્લાદેશ ભારત આવવા તૈયાર નહીં થાય, તો તેમને ટુર્નામેન્ટમાંથી બાકાત કરી દેવામાં આવશે. આવી સ્થિતિમાં રેન્કિંગ મુજબ સ્કોટલેન્ડની ટીમને વર્લ્ડ કપમાં બાંગ્લાદેશના સ્થાને સામેલ કરવામાં આવી શકે છે.
T20 વર્લ્ડ કપ 2026 નું સમયપત્રક
T20 વર્લ્ડ કપની શરૂઆત 7 ફેબ્રુઆરીથી થઈ રહી છે, જેમાં પ્રથમ મુકાબલો પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે રમાશે. બાંગ્લાદેશની પ્રથમ મેચ વેસ્ટ ઈન્ડિઝ સામે ઈડન ગાર્ડન્સ ખાતે નક્કી કરવામાં આવી છે. તે પછી તેમણે ઇટાલી, ઇંગ્લેન્ડ અને નેપાળ સામે રમવાનું છે. જોકે, વર્તમાન ગતિરોધને જોતા આ મેચો રમાશે કે કેમ તે મોટો પ્રશ્ન છે.
ભારતમાં રમવા સામે બાંગ્લાદેશનો વિરોધ
બાંગ્લાદેશ બોર્ડનું કહેવું છે કે તેઓ ભારત પ્રવાસ કરવા ઈચ્છતા નથી અને તેમણે વેન્યુ બદલવા માટે વારંવાર રજૂઆતો કરી છે. જોકે, ICC દ્વારા હજુ સુધી સ્થળ બદલવાની કોઈ ખાતરી આપવામાં આવી નથી. બોર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર, જો સ્કોટલેન્ડને સામેલ કરવાની ઔપચારિક જાણ કરવામાં આવશે, તો બાંગ્લાદેશ કાયદાકીય રસ્તો પણ અપનાવી શકે છે.


