ICC Bangladesh ultimatum : ICC એ બાંગ્લાદેશની તમામ માંગણીઓ ફગાવી, હવે 24 કલાકમાં થશે મોટો ફેંસલો
- બાંગ્લાદેશને ICC એ આપી છેલ્લી ચેતવણી ( ICC Bangladesh ultimatum)
- વેન્યુ બદલવાની બાંગ્લાદેશની માંગણી ફગાવાઈ
- નિર્ણય લેવા માટે BCB ને માત્ર 24 કલાકની મહોલત અપાઈ
આગામી T20 વર્લ્ડ કપ 2026 ના આયોજન પૂર્વે એક મોટો વિવાદ સર્જાયો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) ની બુધવારે યોજાયેલી મહત્વની બેઠકમાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ને કડક શબ્દોમાં અલ્ટીમેટમ આપી દેવામાં આવ્યું છે. ICC એ સ્પષ્ટ કર્યું છે કે બાંગ્લાદેશે કાં તો ભારતમાં રમવા માટે આવવું પડશે અથવા તો બહુમતીના આધારે વર્લ્ડ કપમાંથી ખસી જવું પડશે. બાંગ્લાદેશ પાસે આ અંગે નિર્ણય લેવા માટે હવે માત્ર 24 કલાકનો સમય બચ્યો છે.
ICC Bangladesh ultimatum : સુરક્ષાના બહાને ભારત આવવા ઇનકાર
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સુરક્ષાના કારણો આગળ ધરીને તેમની મેચો ભારતથી શ્રીલંકા ખસેડવાની માંગ કરી હતી. એટલું જ નહીં, તેમણે ICC પાસે પોતાનું ગ્રુપ બદલવાની પણ દરખાસ્ત મૂકી હતી. જોકે, ICC ના ચેરમેન જય શાહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં બાંગ્લાદેશની આ તમામ માંગણીઓને ફગાવી દેવામાં આવી છે. ICC એ સ્પષ્ટ કર્યું છે કે ટૂર્નામેન્ટના શિડ્યુલમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.
ICC બોર્ડ મીટિંગમાં કોણ રહ્યું હાજર?
આ હાઈ-પ્રોફાઈલ બેઠકમાં વિશ્વભરના ક્રિકેટ બોર્ડના દિગ્ગજો હાજર રહ્યા હતા. ICC ચેરમેન જય શાહ ઉપરાંત, BCB પ્રમુખ અમીનુલ ઈસ્લામ, BCCI સચિવ દેવજીત સૈકિયા અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના મોહસીન નકવી સહિત ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. બેઠકમાં હાજર રહેલા મોટાભાગના સભ્યોએ બાંગ્લાદેશના વલણ સામે નારાજગી વ્યક્ત કરી હતી અને રિપ્લેસમેન્ટ ટીમની તરફેણમાં મતદાન કર્યું હતું.
રિપ્લેસમેન્ટ ટીમ માટે મતદાન
અહેવાલ મુજબ, ICC એ BCB ને અલ્ટીમેટમ આપ્યું છે કે જો તેઓ ભારત આવવાનો ઇનકાર ચાલુ રાખશે, તો તેમના સ્થાને બીજી ટીમને ટુર્નામેન્ટમાં એન્ટ્રી આપવામાં આવશે. ICC એ બાંગ્લાદેશ સરકાર સાથે ચર્ચા કરીને અંતિમ નિર્ણય જણાવવા માટે એક દિવસની મહોલત આપી છે. જો બાંગ્લાદેશ નમતું નહીં જોખે, તો T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં આ એક મોટી ઘટના સાબિત થશે.
આ પણ વાંચો : T20 World Cup Bangladesh Controversy : હવે દાદાગીરી પર ઉતરી આવ્યું બાંગ્લાદેશ! ICC ને આપી દીધી મોટી ચેતવણી


